________________
Compodium of Jainism - Part (II)
1.5 મેઘકુમાર
ભારતના બિહાર રાજ્યમાં આવેલા મગધ પ્રાંતમાં રાજા શ્રેણીક તેની સુંદર પત્ની ધારીણી સાથે રાજ્ય કરતો હતો. એક વખત રાણી સુતા હતા ત્યારે તેના મોંમાં સફેદ હાથી પ્રવેશ્યો તેવું સ્વપ્ન આવ્યું. તે તરત જ જાગી ગઈ અને તેણે રાજાને પોતાને આવેલા સપનાની વાત કરી. રાજા શ્રેણિક જાણતા હતા કે તે માંગલિક સપનું હતું. રાજાએ સ્વપ્ન પાઠકોને બોલાવી સ્વપ્નનો અર્થ કરાવ્યો. તેઓએ જણાવ્યું કે થોડા જ સમયમાં રાણી સુંદર અને હોશિયાર પુત્રને જન્મ આપશે. રાજા અને રાણી આ સાંભળીને ખૂબ જ પ્રસન્ન થયા.
ગર્ભાવસ્થાના ત્રણ માસ પછી રાણીને આકાશમાં વાદળો છવાયેલા હોય, વીજળીના કડાકા થતા હોય અને વરસાદ પડતો હોય તેવા વાતાવરણમાં રાજાની સાથે હાથી પર બેસીને ફરવાની તીવ્ર ઇચ્છા થઈ. ભારતમાં લગભગ જૂનથી ઓકટોબર દરમિયાન ચોમાસું હોય છે અને તે દિવસોમાં વરસાદ પડતો હોય છે. ધારિણીની ઇચ્છા થઇ ત્યારે ચોમાસાની ઋતુ ન હતી. તેથી તેની ઈચ્છા પૂર્ણ કરી શકાય તેમ ન હતું. ગર્ભવતી રાણીની ઈચ્છા ન સંતોષાય તો તેની અસર તેના તબિયત પર અને ન જન્મેલા બાળક ઉપર થાય એટલા માટે રાજ્યના વડા પ્રધાન તરીકેનો હોદ્દો સંભાળતા મોટા દીકરા અલયકુમારને તેના ઉકેલ માટે કહ્યું. અક્ષયકુમારનો એક મિત્ર ચમત્કાર કરી જાણતો હતો. મિત્રએ રાણીની ઇચ્છા મુજબનું વાતાવરણ ઊભું કર્યું અને રાજા રાણી સાથે હાથી ઉપર સવારી કરી શકયા.
યોગ્ય સમયે રાણીએ સુંદર પુત્રને જન્મ આપ્યો. વરસાદને મેઘ પણ કહેવાય છે. રાણીને ગર્ભાવસ્થા દરમ્યાન વરસાદમાં હાથી પર ફરવાની ઈચ્છા થઈ હતી તેથી તેનું નામ મેઘકુમાર રાખવામાં આવ્યું. ૮ વર્ષની ઉંમરે તેને નિશાળે બેસાડવામાં આવ્યો. યુવાન થતાં તે ૭ર જાતની કલાઓ તથા ઉદ્યોગોમાં કુશળ થયા. યોગ્ય ઉંમરે તેના લગ્ન થયા અને દુનિયાના તમામ સુખો આનંદપૂર્વક ભોગવ્યા.
એક વખત મહાવીર સ્વામી મગધની રાજધાની રાજગૃહી નગરીમાં ગુણશીલ ઉપાશ્રયમાં પધાર્યા. શહેરના લગભગ બધા જ લોકો તેમનું વ્યાખ્યાન સાંભળવા ગયા. મેઘકુમાર પણ મહાવીર સ્વામીના દર્શને ગયા. મેઘકુમાર પર તેમના ઉપદેશની ઊંડી અસર થઈ. આ દુનિયાના ક્ષણભંગુર સુખોને છોડી દેવાનું નક્કી કર્યું. તેમના માતા-પિતા તેમની ઇચ્છા જાણીને ખુબ દુખી થયા. દુનિયાના સુખોનો ત્યાગ કરવાનાં તેમના નિર્ણયને અટકાવવા શક્ય તેટલા પ્રયત્નો કર્યા પણ તે મક્કમ હતા. માતા-પિતાને સંતોષ આપવા માટે ફક્ત એક દિવસ માટે રાજા થવા તૈયાર થયા, અને રાજ્યાભિષેકની તમામ વિધિ કરી તાજ પહેરી રાજા બન્યા. તરત જ બધું છોડીને જગતના તમામ સુખોનો ત્યાગ કરીને તે ભગવાન મહાવીરના શિષ્ય બની સાધુ થયા.
Page 232 of 307