________________
Compodium of Jainism – Part (II)
હેમચંદ્રાચાર્ય કોઈ દિવસ પોતાના ફાયદા માટે વિચારતા ન હતા પરંતુ માત્ર પ્રજાજનોના હિતનો જ વિચાર કરતા. જોકે અમુક બ્રાહ્મણોને આ વાત ખટકતી અને તે હેમચંદ્રાચાર્ય અને જૈન ધર્મનું નીચું દેખાય તેવા પ્રયત્નો કરતા. તેમણે કુમારપાળ રાજાને કહ્યું કે હેમચંદ્રાચાર્ય એ ખુબ જ અભિમાની છે અને હિન્દુ દેવતાઓનું સમ્માન કરતા નથી. રાજા કુમારપાળ પોતાના ગુરુ પરના આવા આરોપો માનવા તૈયાર ન હતા. આથી બ્રાહ્મણોએ રાજાને વિનંતી કરી કે તે પોતાના ગુરુ ને શિવ ભગવાનના મંદિરમાં બોલાવે. તેમણે વિચાર્યું કે તેઓ રાજાની હાજરીમાં હેમચંદ્રાચાર્યનું અપમાન કરશે કેમ કે તે શિવ ભગવાનના મંદિરમાં જઈને તેમને નમશે નહિ. જયારે હેમચંદ્રાચાર્ય મળ્યા ત્યારે રાજા કુમારપાળે તેમને કહ્યું કે આપણે શિવ ભગવાનના મંદિરમાં જઇશુ. હેમચંદ્રાચાર્યએ કોઈ પણ ખચકાટ વગર તેમની વાત માની લીધી. બ્રાહ્મણો તેમના કાવતરાને સફળ થતું જોઈને ખુબ જ ખુશ થયા. તેમના આશ્ચર્ય વચ્ચે હેમચંદ્રાચાર્ય ભગવાન શિવને નમ્યા અને બોલ્યા,
" ભવબીજાન્કુર જનના રાગદ્વેષમ્યહં ક્ષયમુપાગતાઃ યસ્ય,
બ્રહ્મા વા વિષ્ણુરવા હરો જીનો વા નામસ્તસ્મૈ"
“જેણે સંસાર વધારાનારા એવા પોતાના રાગ અને દ્વેષ જીત્યા છે તે પછી ભલે બ્રહ્મા હોય વિષ્ણુ હોય શિવ હોય કે જિન હોય, તેને હું નમન કરું છું.”
હેમચંદ્રાચાર્યએ પોતાની આ વિનમ્ર વર્તણુકથી બીજા ધર્મ પ્રત્યે પોતાના આદરનો અને અન્ય દેવતાઓ પ્રત્યે સન્માનનો પરિચય આપ્યો. જૈન ફિલસૂફીમાં આ ઉદાર વર્તાવ સહજ છે. જૈન દર્શન પોતાને બીજા ધર્મ કરતા ઊંચું માનતું નથી પરંતુ બધા સાથે શાંતિપૂર્વક સહજીવનથી રહેવામાં માને છે. હેમચંદ્રાચાર્યના પ્રભાવથી રાજા કુમારપાળે જૈન ધર્મ અંગીકાર કર્યો અને પોતાના રાજ્યમાં પ્રાણીઓના વધ કરવાની મનાઈ ફરમાવી અને બીજા પણ એવા ઘણા નિયમો બનાવ્યા જેનાથી જૈન ધર્મને પ્રોત્સાહન મળ્યું. શાકાહાર માત્ર જૈનોમાં જ નહિ પરંતુ ગુજરાતના લોકોમાં પણ પ્રચલિત બન્યું.
હેમચંદ્રાચાર્યએ ઘણી સાહિત્યિક રચનાઓ પણ રચી.તેઓ અહિંસાને રાજકીય ફલક પર મુકનારા પ્રથમ આચાર્ય હતા અને ગુજરાતની મહાન સંસ્કૃતિ અને એકતાના ઘડવૈયા હતા. આધ્યાત્મિક દ્રષ્ટિએ તેઓ યોગી હતા. યોગ-શાસ્ત્ર - તેમના યોગના વિવરણ વિષેનો ગ્રંથ ખુબ જ પ્રખ્યાત છે. લોકો તેમને 'કલિકાલસર્વજ્ઞ' એટલે કે 'આ કળિયુગમાં બધું જ જાણનાર' એવું કહીને સંબોધતા. તેઓ ઈ.સ.૧૧૭૩માં ૮૪ વર્ષની ઉંમરે કાળધર્મ પામ્યા. હેમચંદ્રાચાર્યના પ્રયત્નોના લીધે જ જૈન સમાજ આજે પણ ગુજરાતમાં દમદાર સ્થાન ધરાવે છે.
Page 200 of 307