________________
Compodium of Jainism - Part (II)
G.7 આચાર્ય હેમચંદ્ર
આચાર્ય હેમચંદ્ર ઈ.સ. ૧૦૮૮માં ગુજરાતમાં અમદાવાદથી ૬૦ માઈલ દૂર આવેલા ધંધુકા નગરમાં મોઢ વણિક જાતિમાં જન્મ્યા હતા. ચાંચદેવ તેમના પિતા અને પાહિનીદેવી તેમની માતા હતા. પાહિની દેવી જયારે ગર્ભવતી હતા ત્યારે તેમણે એક સુંદર સ્વપ્ન જોયું. તેમણે પોતાનું આ સ્વપ્ન આચાર્ય દેવસૂરિને કહ્યું કે જે એ સમયે ધંધુકામાં હતા. આચાર્ય દેવસૂરિએ આગાહી કરી કે તે એક ખુબ જ તેજસ્વી પુત્રને જન્મ આપશે કે જે આધ્યાત્મિકતા, આચાર અને તર્કના ક્ષેત્રમાં ખુબ જ પ્રગતિ કરશે. જયારે તેમને પુત્ર થયો ત્યારે તેનું નામ ચાંગદેવ રાખવામાં આવ્યું.
ફરીથી જયારે આચાર્ય દેવસૂરિ ધંધુકા આવ્યા ત્યારે તેમણે પાફિનને પુત્રી સાથે જોયો. તેમણે પાહિનીને કહ્યું ,"આ તેજસ્વી પુત્રની સંભાળ મને રાખવા દે. તેનામાં મહાન આધ્યાત્મિક ગુરુ બનવાની ક્ષમતા છે." શરૂઆતમાં તો પાહિની દેવીએ તેમનો પુત્ર સોંપી દેવાની ના પડી દીધી પરંતુ આચાર્ય દેવસૂરિ એ સતત સમજાવ્યું કે આ પુત્ર એક મહાન આચાર્ય બનીને જૈન સંઘની મહિમા વધારી શકે છે. આચાર્ય એ પાહિનીને પોતાના પુત્ર પ્રત્યેનો મોહ અને સ્વાર્થને છોડવા જણાવ્યું અને માનવજાતના કલ્યાણ માટે વિચારવા સમજાવ્યું. છેવટે પાહિનીદેવી માન્યા અને તેમના પુત્રને આચાર્યને સોંપ્યો. તેમણે ચાંગદેવનો જૈન સાધુધર્મમાં પ્રવેશ કરાવ્યો અને તેમનું સોમચંદ્ર એવું નામ રાખવામાં આવ્યું.
સોમચંદ્ર ખુબ જ હોશિયાર હતા અને થોડા જ સમયમાં તત્વજ્ઞાન, તર્ક, શાસ્ત્રો, નય, વ્યાકરણ એવા દરેક વિષયમાં નિષ્ણાત થઇ ગયા. સાથે સાથે તેમનામાં સહનશીલતા, સમતા, પવિત્રતા, સાદગી, શિસ્ત, દયા અને કરુણા જેવા ગુણો પણ કેળવાતા ગયા. સોમચંદ્ર વહીવટકુશળતા અને કાર્યક્ષમતામાં અનુપમ હતા.તેઓ માત્ર ૨૧ વર્ષના હતા ત્યારે દેવસૂરિએ તેમને આચાર્યની પદવી આપી અને તેમનું નામ હેમચંદ્ર આચાર્ય રાખ્યું.
હેમચંદ્ર આચાર્યના જ્ઞાનની સુવાસ ચારે દિશામાં ફેલાઈ ગઈ. હેમચંદ્રના પ્રયત્નોને લીધે ગુજરાતના રાજા સિદ્ધરાજના રાજ્યમાં સંસ્કાર અને સંસ્કૃતિના ઊંચા ધોરણો સ્થાપિત થયા. જયારે સિદ્ધરાજ મૃત્યુ પામ્યા ત્યારે કુમારપાળ રાજા બન્યા. રાજા કુમારપાળ અને હેમચંદ્રાચાર્ય જીવનભર ગુરુ- શિષ્યના સુંદર સંબંધમાં રહ્યા. આ આધ્યાત્મિક સંબંધના બીજ પહેલેથી જ વવાઈ ચુક્યા હતા. હેમચંદ્ર આચાર્ય એ સાત વર્ષ પહેલા જ આગાહી કરી હતી કે કુમારપાળ રાજા બનશે. વધારામાં એમને ભવિષ્યના થનાર રાજાનો એક વખત જીવ પણ બચાવ્યો હતો. આથી કુમારપાળ હેમચંદ્રાચાર્યને આધ્યાત્મિક ગુરુ અને શુભચિંતક માનતા અને તેમને ખુબ જ માનવંતુ સ્થાન આપતા. કુમારપાળ રાજ્યના વિકાસ માટેના બધા નિર્ણયોમાં હેમચંદ્રાચાર્યની સલાહ લેતા અને થોડાક જ સમયમાં ગુજરાત એ અહિંસા, શિક્ષણ અને સંસ્કૃતિનું કેન્દ્રસ્થાન બની રહ્યું.
Page 199 of 307