________________
Compodium of Jainism – Part (II)
ઉ.1.4 ગૌતમ સ્વામીનું કેવળજ્ઞાન
જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ ગૌતમ સ્વામીના બધા શિષ્યોને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થવા લાગી. જો કે ગૌતમ સ્વામી કેવળજ્ઞાન મેળવવા હજી સુધી અસમર્થ હતા. તેમને એવું લાગ્યું કે કદાચ આ ભવમાં તેમને કેવળજ્ઞાન નહિ મળી શકે. એક દિવસ ગૌતમ સ્વામીએ મહાવીર સ્વામીને પૂછ્યું, "જયારે મેં તમારી પાસે દીક્ષા લીધી ત્યારે મારી સાથે બીજા ૧૦ વિદ્વાનોએ દીક્ષા લીધી. એમાંથી ૯ ને કેવળજ્ઞાન મળી ગયું છે. મારા બધા અનુયાયીઓને પણ કેવળજ્ઞાન મળી ગયું છે. હું જ કેમ એવો અભાગીયો છું કે મને કેવળજ્ઞાનની પ્રાપ્તિ નથી થઇ રહી?" ભગવાન મહાવીર એ જવાબ આપ્યો કે,"ગૌતમ, એ એટલા માટે કે તને મારા પ્રત્યે ખુબ જ રાગ છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે બધા જ રાગથી દૂર થવું જરૂરી છે; તમારા ગુરુ પ્રત્યેના રાગથી પણ." જ્યાં સુધી તું મારા ઉપરનો રાગ નહિ છોડે ત્યાં સુધી તને કેવળજ્ઞાનની પ્રાપ્તિ નહિ થાય.
જે દિવસે મહાવીર સ્વામીને નિર્વાણની પ્રાપ્તિ થવાની હતી તે દિવસે તેમણે ગૌતમ સ્વામીને નજીકના નગરમાં એક દેવશર્મા નામે વ્યક્તિને બોધ કરવા મોકલ્યા. પાછા ફરતી વખતે તેમને ખબર પડી કે પ્રભુ મહાવીરનું નિર્વાણ થયું છે. તેમને દુઃખ સાથે આઘાતની લાગણી થઇ. " પ્રભુ મહાવીરને ખબર હતી કે આ પૃથ્વી પર તેમનો આખરી દિવસ હતો તે છતાં તેમણે મને કેમ દૂર મોકલી દીધો?" એમના આંસુ અટકવાનું નામ નતા લેતા. તેમણે એ પણ વિચાર્યું કે, "મહાવીર સ્વામી જીવિત હતા ત્યારે મને કેવળજ્ઞાન ન મળ્યું. હવે જયારે એ નથી ત્યારે તો મને કેવળજ્ઞાન મળવાની કોઈ આશા જ નથી." જો કે થોડા સમય પછી એમને એમની ભૂલ સમજાઈ અને તેમણે વિચાર્યું, "કોઈ અમર નથી. કોઈ સંબંધ કાયમી નથી. હું પ્રભુ મહાવીર સાથે આટલો બધો કેમ જોડાયેલો છુ?" એમને ખબર પડી કે એ પોતે ખોટા હતા અને તેમણે પ્રભુ મહાવીર સાથેનો લગાવ છોડી દીધો. આ ગહન ચિંતનની સ્થિતિમાં તેમના બધા ઘાતી કર્મોનો નાશ થયો અને તેમને ૮૦ વર્ષની વયે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ અને ૯૨ વર્ષની વયે તેમનું નિર્વાણ થયું.
જૈન હિંદુ પંચાંગના છેલ્લા દિવસે એટલે કે દિવાળી એ પ્રભુ મહાવીરનું નિર્વાણ થયું અને એના પછીના દિવસે એટલે કે બેસતા વર્ષે ગૌતમ સ્વામીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ.
બોધ: ગૌતમ સ્વામી જન્મથી બ્રાહ્મણ હતા અને ખુબ જ પ્રખ્યાત પંડિત હતા. જયારે તે મહાવીરને મળ્યા ત્યારે તેમણે જાણ્યું કે મહાવીર એમના કરતા ખુબ વધારે જ્ઞાની હતા અને આધ્યાત્મિકતાના શિખરે હતા. તેમણે તરત જ પોતાનો અહંકાર છોડી દીધો અને મહાવીરના શિષ્ય બની ગયા.
પ્રભુ મહાવીર સત્યની કિંમત કરતા હતા અને પોતાના અનુયાયીની છાપ સારી રાખવા કોઈ દિવસ એમની ભૂલ છુપાવતા ન હતા. ગૌતમ સ્વામી પણ પોતાનો અહંકાર બાજુ પર મૂકી ને બીજા પાસે પોતાની ભૂલની માફી માંગતા અચકાતા ન હતા.
Page 177 of 307