________________
Compodium of Jainism – Part (II)
ઋષભ લગ્ન સંસ્થા અને કુટુંબ જીવન વ્યવસ્થિત કર્યા. સામાજિક નીતિ-નિયમો અમલમાં આવ્યા. હવે ઋષભ ઋષભદેવ તરીકે ઓળખાયા. એમણે ઘણો લાંબો સમય રાજ કર્યું. તેમના રાજ્યકાળ દરમિયાન સહુએ સમાનતા, શાંતિ અને સલામતી અનુભવ્યાં. સહુ ઋષભદેવને ખૂબ જ પ્રેમ કરતા.
ઋષભદેવને બે રાણીઓ હતી સુમંગલા અને સુનંદા, ઋષભદેવને ૧૦૦ દીકરા તથા બાહ્મી અને સુંદરી નામે બે દીકરીઓ હતી. પણ સૌથી મોટા બે ભરત અને બાહુબલી જ જાણીતા છે. આ ચાર ભાઈ-બહેન અનેક કલા ઉધ્યોગમા પ્રવીણ હતા. ભરત બહાદુર સૈનિક અને કાબેલ રાજા હતા. એક એવો પણ મત છે કે ભારત દેશનું નામ પણ એમના નામ પરથી પડ્યું હશે. બાહુબલી પણ નામ પ્રમાણે જ ગુણવાળા હતા.
બાહુ એટલે બાવડા અને બલી એટલે તાકાતવાળા. બાહુબલી તેમના અદ્વિતીય બાહુબળ માટે જાણીતા હતા. બ્રાહ્મી ખૂબ જ વિદ્વાન હતી. લિપી લખવાની કળામાં પારંગત હતી. તેના નામ પરથી બ્રાહ્મી લિપી અસ્તિત્વમાં આવી હતી. સુંદરી ગણિતશાસ્ત્રમાં પારંગત હતી.
ઋષભદેવને પોતાની સિદ્ધિઓ માટે સંતોષ હતો. પણ એક બનાવ એવો બન્યો કે એમનું જીવન આખું બદલાઈ ગયું. એકવાર તેઓ નૃત્યનો કાર્યક્રમ નિહાળી રહ્યા હતા ને નર્તકી એકાએક મૂર્છિત થઈ અને મૃત્યુ પામી. આ ઘટનાને તેમને વિચારતા કરી મૂક્યા. તેઓ મૃત્યુ વિશે સતત વિચારતા રહ્યા. વિશ્વની દરેક વસ્તુ અને દરેક પરિસ્થિતિ સતત બદલાયા કરે છે, કશું જ શાશ્વત નથી. આવું વિચારીને તેમણે ભૌતિક સુખોનો પરમ શાશ્વત સુખ માટે ત્યાગ કર્યો. પોતાનું રાજ્ય પોતાના પુત્રોને વહેચી દીધું. ભરતને વિનીતા નગરી (અયોધ્યા) અને બાહુબલીને તક્ષશિલા આપ્યું. બાકીના 98 ને પોતાના વિશાળ રાજ્યના ભાગો આપ્યા. અંતિમ સત્યની શોધ માટે એમણે સર્વસ્વનો ત્યાગ કર્યો અને સાધુ બની ગયા. એમના ચાર હજાર સાથીદારો એમના ધર્મ માર્ગના અનુયાયી બન્યા.
સાધુ જીવનના નિયમ પ્રમાણે ઋષભદેવ લોકોના ઘરે ગોચરી માટે જતા પણ પોતાના વહાલા રાજાને શું આપવું તેની સમજ ન હોવાથી તેઓ ઋષભદેવને પોતાની પાસેની ઉત્તમમાં ઉત્તમ વસ્તુ ઘરેણા, પોતાના ઘર તથા અન્ય કિંમતી ચીજવસ્તુઓ લેવા આગ્રહ કરવા લાગ્યા. પણ ભોજનનો આગ્રહ કરતા નહીં કારણકે ભોજન જેવી સામાન્ય વસ્તુ મહાન રાજાને ન અપાય એમ સમજતા હતા. પરિણામે ઋષભદેવની દિવસો સુધી ઉપવાસ કરવા પડ્યા. આમ આશરે ૪૦૦ દિવસના ઉપવાસ થયા. એક દિવસ હસ્તિનાપુર પાસેના શેરડીના ખેતરમાંથી પસાર થતા હતા જે તેમના પ્રપૌત્ર શ્રેયાંશનું ખેતર હતું. તેણે પોતાના પ્રપિતામહને શેરડીનો રસ સ્વીકારવા કહ્યું. આમ શેરડીના રસથી લાંબા ઉપવાસનું પારણું થયું. આ વૈશાખ સુદ ૩ નો દિવસ હતો જેની આપણે અક્ષય તૃતીયા તરીકે ઓળખીએ છીએ. આ દિવસ મે મહિનામાં આવે છે. આ બનાવને અનુસરીને જૈનો આશરે ૪૦૦ દિવસનું વર્ષિતપનું તપ કરે છે. સળંગ ઉપવાસ સામાન્ય માનવી માટે શક્ય ન હોઈ તેઓ આંતરે દિવસે ઉપવાસ કરી અક્ષય તૃતીયાને દિવસે શેરડીના રસથી પારણું કરે છે.
Page 171 of 307