________________
Compodium of Jainism - Part (II)
દ.ક તીર્થકર આદિનાથ
સમય આદિ અને અંત વિનાનો છે. વિકાસના યુગથી શરૂ કરી વિનાશ સુધી સતત વિસ્તરતો રહે છે. જૈન પરંપરા પ્રમાણે વિકાસના યુગને ઉત્સર્પિણી અથવા ચઢતા પરિમાણનો સમય કહેવાય છે, જેમાં દીર્ઘ આયુષ્ય, અઢળક સંપત્તિ તથા તમામ પ્રકારના સુખ સમયે-સમયે વધતા જોવા મળે છે. બીજી બાજુ પડતીના સમયને અવસર્પિણી કાળ અથવા ઉત્તરતા પરિમાણનો સમય કહેવામાં આવે છે. જેમાં જીવનનો કાળ ટૂંકો થતો જાય છે અને સામાન્ય રીતે તમામ પ્રકારના દુઃખો વધતા જોવા મળે છે. આ બે પ્રકારના યુગથી સમયચક્ર ચાલે છે.
જૈન ધર્મની કાળમીમાંસા (બ્રહ્માંડમીમાંસા) પ્રમાણે દરેક ઉત્સર્પિણી તથા અવસર્પિણી કાળ છ આરામાં વહેંચાયેલો હોય છે. અત્યારનો સમય અવસર્પિણી કાળનો પાંચમો આરો ગણાય છે. હિન્દુ પરંપરા પ્રમાણે તેને કળિયુગ કહે છે.
અવસર્પિણી કાળના ત્રીજા આરા સુધી લોકો વધુ સાહજિક અને સાદુ જીવન જીવતા હતા. વસ્તી ઓછી હતી. કુદરત લોકોની તમામ જરૂરિયાત પૂરી કરતી હતી તેથી માણસને તે માટે વધુ મહેનત નહોતી કરવી પડતી. વૃક્ષ રહેવા માટે મકાન તથા પાંદડા વસ્ત્રો પુરા પાડતા. વળી ભૂખ લાગે તો ફળ ફૂલથી તૃપ્ત થતા. નહાવા-ધોવા પાણી પણ પૂરતું મળી રહેતું. ટૂંકમાં જીવન નિર્વાહ માટે તેમને સંઘર્ષ નહોતો કરવો પડતો. શાંતિથી જીવન ચાલતું હતું. આ સમય હજારો કે કરોડો વર્ષ પહેલાનો ગણાય છે અને તે વખતે મનુષ્યનું આયુષ્ય લાખો વર્ષોનું હતું.
તેઓ ટોળામા રહેતા. તેમના નાયકને કુલકર અથવા રાજા કહેતા. આ અરસામાં નાભિરાયા કુલકરની આગેવાનીમાં શાંતિમય જીવન વ્યતિત કરતા હતા. તેમને મરૂદેવી નામની રાણી તથા ઋષભ નામનો પુત્ર હતા. ઋષભના જન્મ પછી રાજ્યમાં વસ્તીનો વધારો થયો પણ તેના પ્રમાણમાં કુદરતે સાથ ન આપ્યો. તેથી લોકોને પોતાની રોજિંદી જરૂરિયાત માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો. લોકોમાં ઇર્ષા અને વેરભાવ વધી પડ્યા. રાજા તરીકે નાભિરાયાએ લોકોની જરૂરિયાત પૂરી પાડવા ખૂબ જ પ્રયત્નો કર્યા. ઋષભ બહાદુર, ચતુર અને ખૂબ જ ઉત્સાહિત યુવરાજ હોવાથી નાભિરાયાએ તેમના પર વિશ્વાસ મૂકી રાજ્યનો કારભાર તેમને સોંપ્યો.
ઋષભ દીર્ઘદ્રષ્ટિ વાળા હતા. વિચારક અને તકલીફમાંથી રસ્તા કાઢનારા હતા. જીવવા માટેના સંઘર્ષને નિવારવા માટે કોઈ ચોક્કસ યોજનાઓ જરૂરી હતી. તેમણે લોકોને અનાજ કેમ ઉગાડવું તથા કાપડ કેમ બનાવવા તે શીખવ્યું. જીવનમાં વધુ સુવિધાઓ પ્રાપ્ત કરવા માટે તેમણે લોકોને વાસણો બનાવતા, રસોઈ બનાવતા, ઘર બાંધતા, કાપડ વણતા તથા પશુપાલન જેવા વ્યવસાયો કરતા શીખવ્યું. પથ્થર, ધાતુ તથા લાકડામાંથી સુંદર વસ્તુઓ બનાવતા શીખવ્યું. આમ વિનીતા જે પાછળથી અયોધ્યા નામે જાણીતું બન્યું તે નગરનું નિર્માણ થયું.
Page 170 of 307