________________
Compodium of Jainism – Part (II)
ચાંદીના ઘડાઓમાં વિવિધ પવિત્ર સ્થળોના પાણી ભરાયા હતા. રાજકુમારને પવિત્ર જળથી સ્નાન કરાવ્યું અને સુગંધિત લેપથી અલંકૃત કરવામાં આવ્યા. શાહી વસ્ત્રો પહેરાવીને કીમતી જવેરતોથી સજ્જ કરવામાં આવ્યા. માગશર માસની વદ દશમના દિવસે શુભ મુહૂર્ત રાજકુમાર વર્ધમાને ઇન્દ્ર અને અન્ય દેવો દ્વારા વહન કરવામાં આવેલી પાલખીમાં હંમેશ માટે મહેલ છોડી દીધો.
F.1.3.2 દીક્ષા
પાલખીમાંથી ઉતર્યા પછી રાજકુમાર વર્ધમાને તેમના બધા વસ્ત્રો અને આભૂષણોનો ત્યાગ કર્યો અને તેઓ એક અશોક વૃક્ષ નીચે ઊભા રહ્યા. હજારો લોકોની હાજરીમાં દીક્ષાનું ગૌરવપૂર્ણ વ્રત લીધું. ત્યારબાદ તેઓએ પંચ મુષ્ટિ લોચ કર્યો. તેઓએ પાંચ મહાવ્રત – અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ લીધા. જેથી નવા કર્મો બંધાય નહીં અને જૂના કર્મોનો નાશ થાય. દીક્ષા પછી તરત જ ભગવાન મહાવીરને મન:પર્યવ જ્ઞાન પ્રાપ્ત કર્યું જેનાથી બધા જીવની લાગણીઓ અને વિચારોની અનુભૂતિ કરી શકતા હતા.
F.1.3.3 ઇન્દ્રના રક્ષણને નકારવું
સંપૂર્ણ ત્યાગ, રાગ-દ્વેષ રહિત અને અહિંસા પરાયણ એવા ભગવાન મહાવીર એકવાર કુમારગ્રામ નામના ગામની સીમમાં પહોચ્યા. તેઓ એક વૃક્ષ નીચે હલનચલન વગર સ્થિર, મૌનવ્રત સહિત પ્રગાઢ ધ્યાનમાં ઊભા હતા. ત્યારે એક ગોવાળ તેમની પાસે ગયો અને બળદોની સંભાળ રાખવાનું કહીને ત્યાંથી જતો રહ્યો. પરંતુ ભગવાન મહાવીર તો ધ્યાનસ્થ હોવાથી ભગવાન તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નહીં. જ્યારે ગોવાળ પાછો ફર્યો ત્યારે તેને તેના બળદો ત્યાં ન દેખાયા તેથી તેણે ભગવાન મહાવીરને બળદો વિષે પૂછ્યું પરંતુ મૌનવ્રતના કારણે ગોવાળને કોઈ જવાબ મળ્યો નહીં. રાતભર ગોવાળ બળદોને શોધતો રહ્યો પણ તેને બળદ મળ્યા નહીં તેથી તે કંટાળીને પાછો જયાં ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યો તો ત્યાં તેણે ભગવાનની આસપાસ તેના બળદોને બેઠેલા જોયા. ગોવાળ ગુસ્સે ભરાયો અને વિચારવા લાગ્યો આ કોઈ સાધુ વેશમાં ચોર છે અને ચાબુક લઈ ભગવાનને મારવા દોડયો. પરંતુ તે સમયે ઇન્દ્ર દેવ હાજર થયા અને ગોવાળને સમજવ્યું કે આ સંત કોઈ સામાન્ય, ભટકતા ભિક્ષુક નથી પણ આ તો રાજા સિદ્ધાર્થના પુત્ર રાજકુમાર વર્ધમાન છે અને એમણે હાલમાં જ દીક્ષા લીધી છે.
ઇન્દ્ર દેવે ભગવાન મહાવીરને ભવિષ્યની આવી ઘટનાઓ વખતે સુરક્ષા આપવા માટેનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે ભગવાન મહાવીરે ખૂબ જ નમ્રતાપૂર્વક કહ્યું કે, આધ્યાત્મિક માર્ગ પર સંન્યાસી પોતાની રીતે હિમંત અને શિસ્તતાથી શુદ્ધિના લક્ષ સુધી પહોંચે છે. સ્વર્ગીય દેવતાઓ કે મનુષ્યની મદદ વિના વ્યક્તિએ પોતાના કર્મોનો ક્ષય કરીને મુક્તિ પ્રાપ્ત કરવી જોઈએ. આ સાંભળી ઇન્દ્ર દેવ આદર પૂર્વક વંદન કરી ત્યાંથી ચાલ્યા ગયા.
Page 154 of 307