________________
Compodium of Jainism - Part (II)
D.8 યક્ષ અને યક્ષિણી
જૈનો જિન ભગવાનની પ્રતિમાની પૂજા અને આદર નીચેના ૩ કારણોથી કરે છે:
• તેમણે પોતાની આત્માને સ્વતંત્ર કરીને મોક્ષ મેળવ્યો છે
•
તેમણે મુક્તિનો માર્ગ દેખાડ્યો છે.
• તેમના જેવા બનવાની પ્રેરણા લેવા માટે
જૈન ધર્મનો એકમાત્ર ઉદ્દેશ આપણને સંસારના દુઃખોમાંથી મુક્ત કરીને મોક્ષ અપાવવાનો છે. જિન મુક્તાત્મા છે, શરીરથી મુક્ત છે અને બ્રહ્માંડની સૌથી ઉપરના ભાગમાં સિદ્ધક્ષેત્રમાં વસે છે. જિનપ્રતિમાનો ઉદ્દેશ આપણને મુક્તિની શક્યતાને યાદ કરાવવાનો અને તેના માટે પ્રયત્નશીલ રાખવાનો છે. એક જૈન શ્રાવક માટે તે આદર્શરુપ છે અને તેમને નૈતિક મૂલ્યો શીખવે છે અને એક સાધક માટે તે પ્રેરણાનો સ્ત્રોત છે. તેઓ તેમને યાદ અપાવે છે કે મોક્ષ મેળવવો શક્ય છે. જિન એક વીતરાગ આત્મા હોવાથી આ સંસારમાં નથી. આથી તેમના માટે ભક્તોની પ્રાર્થના કે વિનંતીને પુરી કરવી કે તેનો જવાબ દેવો શક્ય નથી. ભક્તોની પ્રાર્થના કે વિનંતીને પુરી કરવાની તેમની અસમર્થતા તેમને હિન્દુ અને બૌદ્ધ દેવતાઓથી જુદી પાડે છે જેમને જરૂર પડે જુદી જુદી વિધિ કે ક્રિયાથી મદદ માટે બોલાવી શકાય છે.
જિનપ્રતિમા ઉપરાંત જૈન મંદિરોમાં ઘણી વખત આપણે યક્ષ અને યક્ષિણીની મૂર્તિઓ પણ જોઈએ છે. આ દેવતાઓ શાશ્વત કે દિવ્ય નથી પરંતુ તેઓ પોતે જિન ભગવાનની પૂજા કરે છે અને તેમના સાચા ભક્ત છે. તેઓ કષાયથી યુક્ત છે અને આપણી જેમ જ જન્મ-મરણના ચક્રમાં ફસાયેલા છે. યક્ષ નર અને યક્ષિણી એ નારી સ્વરૂપે છે. તેમને શાસન દેવતા અને શાસન દેવી પણ કહેવાય છે. તેઓ આપણા માટે રક્ષક અને દેવદૂત સમાન છે. તેઓ વ્યંતર પ્રકારના દેવો છે જેમની પાસે કેટલીક અલૌકિક શક્તિઓ રહેલી છે. જેમ કે તેઓ પોતાનું સ્વરૂપ અને કદ પણ બદલી શકે છે. આ યક્ષ અને યક્ષિણી અથવા તો ઇન્દ્ર(દેવતાઓના રાજા) એ નીમેલા હોય છે અથવા તો તેઓ પોતે તીર્થંકર ભગવાન સાથે આગળના ભવમાં સંકળાયેલા હોય છે. જો કે તીર્થંકર ભગવાનને તેમની રક્ષાની જરૂર હોતી નથી કે તેઓ એના માટે તેમને બોલાવતા પણ નથી. પરંતુ તેઓ તીર્થંકર પરમાત્મા પ્રત્યેના પોતાના ભક્તિભાવથી તેમની અને જિનશાસનની જરૂર પડે રક્ષા કરે છે. બીજું તેઓ ૪થા ગુણસ્થાનમાં રહેલા છે, સમકિતને પામેલા છે અને થોડાક જ જન્મમાં મોક્ષ મેળવવાના છે આથી પણ આપણે તેમની પૂજા કરીએ છે કેમ કે તેઓ મુક્તિના માર્ગ પર છે.
જુના શાસ્ત્રો જેવા કે સ્થાનાંગ સૂત્ર, ઉત્તરાધ્યાન સૂત્ર, ભગવતી-સૂત્ર, તત્વાર્થસૂત્ર, અને પૌંમચાર્ય વગેરેમાં યક્ષ અને યક્ષિણીનો ઉલ્લેખ મળે છે. ઘણા તેમની પૂજા કરે છે કેમ કે તેઓ તીર્થંકર ભગવાન અને જૈન શાસનની રક્ષા કરે છે. આ કારણથી તેઓ જૈન પ્રતિમાની આસપાસ હોય છે.
Page 90 of 307