Page #1
--------------------------------------------------------------------------
________________
વિનય
જૈન ધર્મની તાત્ત્વિક ઓળખાણ એની કોઈપણ એક લાક્ષણિકતાથી કરાવવી હોય તો એને વિનામૂની ઇમ્પો ઓળખાવી શકાય. જૈન ધર્મમાં વિનયગુણની મીમાંસા વિવિધ દૃષ્ટિથી કરવામાં આવી છે અને વિનયને ધર્મના મૂળ તરીકે બતાવવામાં આવ્યો છે. વ્યક્તિના વર્તમાન જીવનના વિકાસ માટે પાયામાં વિનય રહેલો હોવો જોઈએ. બીજી બાજુ આધ્યાત્મિક ક્ષેત્રે ધર્મરૂપી વૃક્ષમાં જો વિનયરૂપી મૂળ હોય તો જ તે મોક્ષરૂપી ફળ આપી શકે. આમ, મોક્ષરૂપી ફળની પ્રાપ્તિ માટે જીવમાં વિનયગુણ હોવો અનિવાર્ય મનાયો છે. ‘ાત્રિશદ્વત્રિકામાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે :
कर्मणां द्राग् विनयनादिनयो विदुषां मतः ।
अपवर्गफलाढस्य मूलं धर्मतरोरयम् ।। વિનય કર્મોનું ત્વરિત વિનય કરે છે. જેના ઉપર મોક્ષરૂપી ફળ ઊગે છે એવા ધર્મરૂપી વૃક્ષનું એ મૂળ છે, એમ જ્ઞાનીઓ કહે છે.
વિનય' સંસ્કૃત ભાષાનો શબ્દ છે. વિજ એટલે જ +ના. “નય' શબ્દના સંસ્કૃતમાં ભિન્નભિન્ન અર્થ થાય છે. નય એટલે સદ્વર્તન, સારી રીતભાત, જીવનશૈલી. નય એટલે દોરી જવું, રક્ષણ કરવું. નય એટલે ન્યાય, નીતિ, મધ્યસ્થતા, સિદ્ધાન્ત, દર્શનશાસ્ત્ર. વિ એટલે વિશિષ્ટ, વિશિષ્ટપણે. વિનયનો સાદો અર્થ થાય છે. વિશેષપણે સારું વર્તન.” એનો બીજો અર્થ થાય છે “સારી રીતે દોરી જવું', “સારી રીતે રક્ષણ કરવું.” જીવનવ્યવહારમાં વિનય એ સદ્વર્તનનો પર્યાય છે. સદ્વર્તન સૌને ગમે છે. વિનયી માણસ બીજાને પ્રિય થઈ પડે છે. વિનયની સાથે વિવેક, પ્રસન્નતા, ભલાઈ, કૃતજ્ઞતા, નિર્મળતા,
Page #2
--------------------------------------------------------------------------
________________
૮૨
જિનતત્ત્વ નિર્દભતા, નિરાભિમાનપણું વગેરે ગુણો ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે. એટલે જ સાચો વિનય વશીકરણનું કામ કરે છે.
‘વિનય' શબ્દની વ્યાખ્યા જુદી જુદી રીતે કરવામાં આવે છે, જેમ કે - (3) વિશેન નથતિ વિન: |
જે વિશેષતાથી દોરી જાય તે વિનય અથવા જે વિશેષતા તરફ લઈ જાય તે વિનય.
(२) विनीयते-अपनीयते कर्म येन स विनयः ।
જેના દ્વારા કર્મનું વિનયન કરવામાં આવે છે, કર્મોનો ક્ષયોપશમ કરવામાં આવે છે તે વિનય.
(૩) પૂજ્યેષુ : વિનય ! પૂજ્ય પ્રત્યે આદર એ વિનય. (૪) અધિવેy ની વૈવૃત્તિ. વિનચ: | ગુધિકો-અધિક ગુણવાળાઓ પ્રત્યે નીચે નમવાનો ભાવ તે વિનય. () રત્નત્રયજ્જુ નીચૈવૃત્તિ વિન: |
રત્નત્રય (જ્ઞાન, દર્શન, ચારિત્રો ધારણ કરવાવાળા પ્રત્યે નમવાનો ભાવ તે વિનય.
(૬) ઇષય-વિનય વિન: | કષાયો અને ઇન્દ્રિયોનું જે વિનયન કરે તે વિનય. (6) વિશિષ્ટ વિધો વા નો વિનાઃ | વિશિષ્ટ અને વિવિધ પ્રકારના નય (સિદ્ધાન્ત) તે વિનય. (૮) વિયે નર્યાત શર્મમ રૂત્તિ વિના !
જે કર્મમળને વિલય તરફ લઈ જાય છે અર્થાત્ તેનો નાશ કરે છે તે વિનય,
(९) विनयति कलेशकारकं अष्टप्रकारं कर्म इति विनय : ।
આઠ પ્રકારનાં કલેશકારક કમનું જે વિનયન કરે છે એટલે કે તેને નરમ પાડી અંકુશમાં રાખે છે તે વિનય.
(१०) अनाशातना बहुमानकरणं च विनयः । આશાતના ન કરવી અને બહુમાન કરવું તે વિનય. જ્યાં નમસ્કારનો ભાવ છે ત્યાં વિનય છે. નમસ્કારનો સાચો ભાવ
Page #3
--------------------------------------------------------------------------
________________
વિનય
૮૩ જીવમાં ધર્મ પ્રત્યે રુચિ જન્માવે છે. શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું છે : ધર્મ પ્રતિ ભૂભૂત વંના | ધર્મના પાયામાં વંદના છે. નવકારમંત્રમાં નમસ્કારનો ભાવ છે. પંચ પરમેષ્ઠિને એમાં નમસ્કાર છે. નવકારમંત્રમાં પ્રત્યેક પદનો પ્રારંભ જ નો શબ્દથી થાય છે. એક જ વખત નો શબ્દ ન પ્રયોજતા પ્રત્યેક પદ સાથે નમો શબ્દ જોડાયેલો છે. આરાધક જીવમાં નમસ્કારનો ભાવ, વિનયગુણ દૃઢ થાય તે માટે ફરી ફરીને ન પદ તેમાં રહેલું છે. નવકારમંત્રમાં એ રીતે વિનયનો મહિમા ગૂંથાયેલો છે. સામાન્ય રીતે વ્યવહારમાં નીચેનું પદ ધરાવતી
વ્યક્તિ પોતાના કરતાં ચડિયાતા પદવાળી વ્યક્તિને નમસ્કાર કરે, પરંતુ ઉચ્ચ પદવાળી વ્યક્તિ નીચેનું પદ ધરાવનારને નમસ્કાર ન કરે. પરંતુ નવકારમંત્રમાં તો આચાર્ય ભગવંત પણ નમો ઉવાયા પદ બોલે અને નમો નો, સવ્વસાહૂ પદ પણ બોલે, તેવી જ રીતે ઉપાધ્યાય મહારાજ પણ બોલે. આ દર્શાવે છે કે નવકારમંત્રમાં વિનયનો મહિમા કેટલી બધી સૂક્ષ્મ કોટિનો છે. જૈન ધર્મમાં તો આચાર્યની પદવી આપવામાં આવે એ વિધિ દરમિયાન નૂતન આચાર્યને એમના ગુરુ ભગવંત પણ પાટ ઉપરથી નીચે ઊતરી વંદન કરે છે. એમાં પણ વિનયગુણનો મહિમા રહેલો છે.
જન્મમરણની ઘટમાળથી સતત ઊભરાતા આ સંસારમાં કોઈપણ કાળે કેટલાક જીવો બાલ્યાવસ્થામાં હોય છે, તો કેટલાક વૃદ્ધાવસ્થામાં. બધા જ મનુષ્યો સમકાળે જન્મે, સમકાળે મોટા થાય અને સમકાળે મૃત્યુ પામે તો સંસારનું સ્વરૂપ કંઈક જુદું જ હોય. તેમ થતું નથી એટલે બાલ્યાવસ્થાના જીવોને પરાવલંબિત રહેવું પડે છે. વૃદ્ધોને, રોગગ્રસ્તોને, અપંગોને પણ પરાધીનતા ભોગવવી પડે છે. આમ, જીવોને એકબીજાની ગરજ સતત પડતી રહે છે. બીજાની સહાય જોઈતી હોય તો માણસને વિનયી બનવું પડે છે. ક્યારેક અનુનય, કાલાવાલા કરવાની આવશ્યકતા પણ ઊભી થાય છે. ઉદ્ધત, સ્વચ્છંદી માણસોને સહાય કરવાનું મન ન થાય એ કુદરતી છે. આમ, સંસારનું સ્વરૂપ જ એવું છે કે જે માણસને વિનયી બનવાની ફરજ પાડે છે. કેટલાક સ્વભાવે જ વિનયી હોય છે. કેટલાકને ગરજે વિનયી બનવું પડે છે. વિનય વિના સંસાર ટકી ન શકે. બેચાર વર્ષના બાળકને પણ વડીલો પાસેથી કંઈક જોઈતું હોય તો એની વાણીમાં ફરક પડે છે. એને વિનય કે અનુનય કરવાનું શીખવવું પડતું નથી.
સામાન્ય વ્યવહારજીવનમાં મનુષ્યસ્વભાવના એક લક્ષણ તરીકે રહેલા
Page #4
--------------------------------------------------------------------------
________________
८४
જિનતત્વ વિનયગુણથી માંડીને ઉચ્ચ આધ્યાત્મિક ક્ષેત્રે આત્માના સ્વભાવ તરીકે રહેલા વિનયગુણ સુધી વિનયનું સ્વરૂપ વિસ્તરેલું છે.
વિનય હંમેશાં હૃદયના ભાવપૂર્વકનો, સાચો જ હોય એવું નથી. બાહ્યાચારમાં વિનય દેખાતો હોય છતાં અંતરમાં અભાવ, ઉદાસીનતા કે ધિક્કાર-તિરસ્કાર રહેલાં હોય એવું પણ બને છે. કેટલાકને વિનય દેખાડવા ખાતર દેખાડવો પડતો હોય છે. લોભ, લાલચ, લજ્જા, સ્વાર્થ, ભય વગેરેને કારણે પણ કેટલાક વિનયપૂર્વકનું વર્તન કરતા હોય છે. ક્યારેક વિનયમાં દંભ કે કૃત્રિમતાની ગંધ બીજાને તરત આવી જાય છે. જેમના પ્રત્યે વિનય દાખવવામાં આવતો હોય એવી વ્યક્તિ પણ તે પામી જાય છે. હાવભાવમાં અતિરેક, વચનમાં અતિશયોક્તિ વગેરે દ્વારા દંભી વિનયી માણસનો ખુશામતનો ભાવ છતો થઈ જાય છે.
જૈન ધર્મમાં વિનયને પુણ્ય તરીકે અને તપ તરીકે બતાવવામાં આવ્યો છે. પુણ્ય એટલે શુભ કર્મ. પુણ્ય અનેક પ્રકારનાં છે. એમાં મુખ્યત્વે નવ પ્રકારનાં પુણ્ય ગણાવાય છે : (૧) અન્ન, (૨) વસ્ત્ર, (૩) વસતિ, (૪) ઉપકરણ, (૫) ઔષધિ, (૬) મન, (૭) વચન, (૮) કાયા અને (૯) નમસ્કાર,
આ નવ પ્રકારમાં એક પ્રકાર તે નમસ્કારનો છે. નમસ્કારમાં વિનય રહેલો છે. એટલે વિનય એ પણ એક પ્રકારનું પુણ્ય છે; એટલે કે શુભ પ્રકારનું કર્મ છે. બીજી બાજુ વિનયનો છ પ્રકારનાં અભ્યતર તપમાં સમાવેશ થાય છે. તપથી કર્મની નિર્જરા થાય છે. વિનય ગુણની જીવમાં આંતરિક પરિણતિ કેવી થાય છે તેના ઉપર આધાર રહે છે કે તેનો વિનય તે શુભ કર્મબંધનું નિમિત્ત બને છે કે પૂર્વબદ્ધ કર્મની નિર્જરાનો હેતુ બને છે. એ સૂક્ષ્મ પ્રક્રિયા કેવા પ્રકારની થઈ તે તો જ્ઞાનીઓ કહી શકે, પરંતુ વિનયનો ગુણ જીવને માટે ઉપકારક અને ઉપાય છે.
જૈન આગમગ્રંથોમાં વિનય ઉપર, વિશેષત: શિષ્યના ગુરુ પ્રત્યેના વિનય ઉપર બહુ જ ભાર મૂકવામાં આવ્યો છે. પિસ્તાલીસ આગમોમાં “ઉત્તરાધ્યયન સૂત્ર' અને “દસવૈકાલિક સૂત્ર' અત્યંત મહત્ત્વનાં છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં તો પહેલું અધ્યયન જ “વિનય” વિશેનું છે. એની ૪૮ ગાથામાં સાધુ ભગવંતોએ પોતાના ગુરુભગવંત સાથે કેવો કેવો વિનયવ્યવહાર સાચવવો જોઈએ એ વિશે નાની નાની સ્કૂલ વિગતો સહિત મહત્તા દર્શાવવામાં આવી છે. ઉ. ત. નીચેની કેટલીક ગાથાઓ પરથી એનો ખ્યાલ આવશે :
Page #5
--------------------------------------------------------------------------
________________
વિનય
आणानिद्देसरकरे गुरुणमुववायकारए ।
इंगियाकारसंपन्ने से विणीए त्ति वुच्चई ।। (જ ગુરુની આજ્ઞા અને નિર્દેશનું પાલન કરે છે, જે ગુરુની સુશ્રુષા કરે છે તથા એમનાં ઇંગિત અને આકારને સમજે છે તે વિનીત-વિનયવાન કહેવાય
नापुट्ठो वागरे किंचि पुट्ठो वा नालियं चए ।
कोहं असच्चं कुब्बेज्जा धारेज्जा विषमप्पियं ।। (વગર પૂછે કંઈપણ બોલે નહીં. પૂછવામાં આવે તો અસત્ય ન બોલે, ક્રોધ ન કરે, મનમાં ક્રોધ ઊઠે તો એને નિષ્ફળ બનાવે અને વિષમ કે અપ્રિયને મનમાં ધારણ કરે અર્થાતું ત્યારે સમતા રાખે.)
नेव पल्हत्थियं कुज्जा पक्वपिंडं वे संजए ।
पाए पसारिए वा वि न चिढे गुरणंतिए 11 (ગુરુની સાવ પાસે પલાંઠી વાળીને ન બેસે, ઊભડક પણ ન બેસે તથા પગ લાંબાપહોળા કરીને ન બેસે.)
आसणगओ न पुच्छेज्जा नेव सेजागओ कयाइ वि ।
आगम्मुक्कुडुओ संतो पुच्छेज्जा पंजलीयडो ।।२२।। (પોતાનાં આસન કે શય્યા પર બેઠાં બેઠાં ગુરુને કશું પૂછે નહીં, પરંતુ પાસે જઈને, ઊકડું બેસીને, હાથ જોડીને પૂછે.)
स देव गंधब्ब मणुस्सपूइए चइत्तु देहं मलपंकपुव्वयं ।।
सिद्धे वा हवइ सासए देवे वा अप्परए महिडिढए ।।४।। (દેવ, ગંધર્વ અને મનુષ્યથી પૂજિત એવો વિનયી શિષ્ય મળ અને પંકથી બનેલા દેહનો ત્યાગ કરીને શાશ્વત સિદ્ધગતિ પ્રાપ્ત કરે છે અથવા મહદ્ધિક દેવ બને છે.)
‘દસવૈકાલિક' સૂત્રના નવમા અધ્યયનમાં “વિનય સમાધિ” નામના ચાર ઉદ્દેશક આપવામાં આવ્યા છે. એ ચારે ઉદ્દેશક બહુ ધ્યાનથી સમજણપૂર્વક વાંચવા જેવા અને જીવનમાં ઉતારવા જેવા છે. એમાંથી નમૂનારૂપ થોડીક ગાથાઓ જોઈએ :
Page #6
--------------------------------------------------------------------------
________________
જિનતત્વ
यंभा व कोहा मयप्पमाया गुरूस्सगासे विणयं न सिक्ने । सो चेव उ तस्स अभूइभावो
फलं व कीयस्स वहाय होइ ।।९/१/१ (જે શિષ્ય ગર્વ, ક્રોધ, માયા કે પ્રમાદને કારણે ગુરુની પાસેથી વિનય નથી શીખતો તે તેના વિનાશ માટે થાય છે, જેમ કીચક (વાંસ)નું ફળ એના વધને માટે થાય છે.)
શ્રીમતી શા
X
X
X
विवत्ती अविणीयस्स संपत्ति विणियस्स यं ।
जस्सेयं दुहओ नायं सिक्खं से अभिगच्छेई ।। (અવિનયીને વિપત્તિ અને વિનયીને સંપત્તિ પ્રાપ્ત થાય છે. જે આ બંનેને જાણે છે તે સાચી શિક્ષાને-સાચા જ્ઞાનને પામે છે.)
निद्देसवत्ती पुण जे गुरुणं सुयत्थधम्मा विणयम्मि कोविया ।
तरितु ते ओहमिणं दुरुत्तरं खवित्त कम्मं गइमुत्तमं गय ।। (જે ગુરુના આજ્ઞાવર્તી છે, ધર્મમાં ગીતાર્થ છે, વિનયમાં કોવિદ છે તેઓ આ દુસ્તર સંસારને તરી જઈને, કર્મોનો ક્ષય કરીને ઉત્તમ ગતિને પામે છે.)
અવિનયી વ્યક્તિની કેવી દશા થાય છે તે વિશે દસવૈકાલિકસૂત્રમાં કહ્યું છે :
तहेव अविणीयप्पा लोगंसि नरनारिओ । दीसंति दुहमेहंता छाया ते विगलिंदिया ।। दंडसत्थपरिज्जुण्णा असम्भवयणेहि य ।
कलुणा विवन्नछंदा नुप्पिवासाए परिगया ।। (એ પ્રમાણે લોકોમાં જે સ્ત્રીપુરુષો અવિનયી હોય છે તે દુ:ખી, ઇન્દ્રિયોની વિકલતાવાળા, દંડ તથા શસ્ત્રથી હણાયેલા, અસભ્ય વચનો વડે તિરસ્કૃત, દયાજનક, વિવશ, ભૂખતરસથી પીડિત થયેલા – એવાં એવાં દુ:ખોનો અનુભવ કરનારા જોવા મળે છે.)
આમ, આગમગ્રંથોમાં વિનયનો મહિમા બતાવવાની સાથે અવિનયનાં કેવાં કેવાં માઠા ફળ મળે છે તે પણ બતાવવામાં આવ્યું છે.
અવિનયી જીવ મોક્ષ માટે અધિકારી બનતો નથી. વિનયનો ગુણ
Page #7
--------------------------------------------------------------------------
________________
વિનય
આત્મામાં પ્રગટ્યા વિના મોક્ષના અધિકારી થવાતું નથી. એટલા માટે વિનય વડો સંસારમાં' એમ કહેવાય છે. પ્રાથમિક દશામાં વિનયના ગુણથી મોક્ષની યોગ્યતા પ્રાપ્ત થાય છે અને વિનયના ગુણને સારી રીતે ખીલવવાથી તીર્થંકર નામકર્મ બંધાય છે. થવતા ગ્રંથમાં કહ્યું છે :
fare संपण्णदाए चेव तित्थयरणामकम्मं बंधंति ।
વિનયસંપન્નતાથી તીર્થંકર નામકર્મ બંધાય છે.
જૈન દર્શનમાં દરેક વસ્તુના સામાન્ય દૃષ્ટિએ જ્યારે પ્રકારો બતાવવામાં આવે છે ત્યારે પ્રથમ વર્ગીકરણ દ્રવ્ય અને ભાવની દૃષ્ટિએ હોય છે. વિનયમાં પણ દ્રવ્ય વિનય અને ભાવિનય એવા બે પ્રકારો બતાવવામાં આવે છે. દ્રવ્યવિનયને બાહ્ય વિનય અને ભાવિનયને અત્યંતર વિનય તરીકે ઓળખાવી શકાય. લોકવ્યવહારમાં ઉપયોગી એવા વિનયને લૌકિક વિનય તરીકે અને મોક્ષમાર્ગની સાધનામાં અનિવાર્ય એવા વિનયને લોકોત્તર વિનય તરીકે ઓળખવામાં આવે છે. શ્રી લક્ષ્મીસૂરિ ‘ઉપદેશપ્રાસાદ’માં કહે છે : बाह्याभ्यन्तरभेदाभ्यां द्विविधो विनय स्मृतः । तदेकैकोऽपि द्विभेदो लोकलोकोत्तरात्मकः ||
(બાહ્ય અને અત્યંતર એવા ભેદ વડે વિનય બે પ્રકારનો છે. તેના પણ લૌકિક અને લોકોત્તર એવા બે ભેદ છે.)
બાહ્ય અને અત્યંતર વિનય સાથે હોવા કે ન હોવાની દૃષ્ટિએ ચાર ભાંગા બતાવવામાં આવે છે :
(૧) બાહ્ય વિનય હોય પણ અત્યંતર વિનય ન હોય. (૨) અત્યંતર વિનય હોય પણ બાહ્ય વિનય ન હોય. (૩) બાહ્ય વિનય હોય અને અત્યંતર વિનય પણ હોય.
(૪) બાહ્ય વિનય પણ ન હોય અને અત્યંતર વિનય પણ ન હોય. લોકવ્યવહારમાં આવકાર આપવો, હાથ જોડવા, મસ્તક નમાવવું, આસન આપવું, સારાં કાર્યોની પ્રશંસા કરવી, માતાપિતા, ઉપકારી વગેરેનો ઉપકાર માનવો, તેમને તેડવા-મૂકવા જવું વગેરે બાહ્ય વિનય છે. હૃદયમાં તેમના પ્રત્યે પ્રીતિ-બહુમાનનો ભાવ ધરાવવો, તેમના ઉપકારનું સ્મરણ કરવું વગેરે અત્યંતર વિનય છે.
62
લોકોત્તર બાહ્ય વિનયમાં ગુરુભગવંત વગેરેની સુશ્રૂષા કરવી, ઊભા થવું, આસન આપવું, વંદન કરવાં, તેડવા મૂકવા જવું, સુખશાતા પૂછવી વગેરે
-
Page #8
--------------------------------------------------------------------------
________________
૮૮
જિનતત્ત્વ બતાવવામાં આવે છે અને લોકોત્તર અત્યંતર વિનયમાં તીર્થંકર પરમાત્મા, સિદ્ધ ભગવંતો વગેરેને ભાવથી વંદન, એમના ઉપકારોનું સ્મરણ ઇત્યાદિ ગણાય છે.
કેટલીક વાર માત્ર બાહ્યાચાર તરીકે વિનયપૂર્વકનું વર્તન હોય અથવા લજ્જાદિ કારણે તેમ કરવું પડતું હોય, પણ અંતરમાં વિનયનો ભાવ ન હોય. એને માટે શીતલાચાર્યનું દૃષ્ટાંત આપવામાં આવે છે. કેટલીક વાર વિનયનો બાહ્ય આચાર ન હોય, પણ અંતરમાં પ્રીતિ, આદર, પૂજ્યભાવ ઇત્યાદિ રહેલાં હોય. ભગવાન મહાવીર સ્વામીના સમવસરણમાં સાતમા દેવલોકના દેવો આવે છે. તેઓ વિનયવંદન કરતા નથી. તેઓ મનથી ભગવાનને પ્રશ્ન કરે છે. ભગવાન તેમના પ્રશ્નને સમજી લઈ ઉત્તર આપે છે કે, “મારા સાતસો શિષ્યો મોક્ષે જશે. આ પ્રસંગે ગૌતમસ્વામીને કુતૂહલ થાય છે. તેઓ ભગવાનને પ્રશ્ન કરે છે કે દેવોએ વંદન કરવાનો વિનય કેમ દાખવ્યો નહીં ? ત્યારે ભગવાન એમને કહે કે એ દેવોએ અંતરથી વંદન કર્યા છે. આ જાણીને ગૌતમસ્વામીને આશ્ચર્ય થાય છે. અહીં બાહ્ય વિનય નથી, પણ અત્યંતર વિનય અવશ્ય છે. કેટલાયે સાધુઓ, ગૃહસ્થો વગેરેમાં આપણને બાહ્ય વિનય અને અત્યંતર એમ બંને પ્રકારનો વિનય જોવા મળે છે. અમુત્તા મુનિ વગેરે ઘણાંનાં દૃષ્ટાંત આપી શકાય. તો કેટલાકમાં બાહ્ય કે અભ્યતર એવો એક પ્રકારનો વિનય હોતો નથી. ગોશાલક કે ગોષ્ઠામાહિલ્લ એનાં ઉદાહરણો છે.
જીવનમાં બાહ્ય અને અત્યંતર વિનયના વિવિધ પ્રસંગો ઉપસ્થિત થાય છે. ઉદાહરણ તરીકે એક વયોવૃદ્ધ શ્રાવક પંડિત એક નવદીક્ષિત યુવાન સાધુને ભણાવવા આવે છે. એ વખતે શ્રાવક પંડિત સાધુ મહારાજને વંદન કરે છે, પરંતુ સાધુ મહારાજ એમના આચારને કારણે ગૃહસ્થ પંડિતને વંદન કરતા નથી. આ બાહ્ય વ્યવહારની વાત થઈ. હવે શ્રાવક પંડિત સાધુ મહારાજને એમના વેશને કારણે જ માત્ર વંદન કરતા હોય અને અંતરમાં આદરભાવ ન હોય તો તે માત્ર બાહ્ય વિનય થયો કહેવાય. એમના અંતરમાં પણ સાધુ મહારાજનાં ત્યાગ-વૈરાગ્ય પ્રત્યે આદર હોય અને અંતરમાં પણ ભાવથી વંદન હોય તો તે બાહ્ય અને અત્યંતર એમ બંને પ્રકારનો વિનય ગણાય. સાધુ મહારાજે વેશ ધારણ કર્યો હોવાથી ગૃહસ્થને દ્રવ્યવંદન કરવાનું એમને હોય નહીં, પણ તે જ વખતે તેઓ “આ મારા ઉપકારી જ્ઞાનદાતા છે' એમ સમજી મનોમન ભાવથી વંદન કરે તો બાહ્ય વિનય ન હોવા છતાં અભ્યતર વિનય
Page #9
--------------------------------------------------------------------------
________________
૮૯
વિનય
હોઈ શકે. પરંતુ એ સાધુ અંતરમાં પણ એવો ભાવ ન રાખે અને ‘હું તો સાધુ છું, એમના કરતાં ચડિયાતો છું, મારે એમને વંદન શા માટે કરવાનાં હોય ?' – એવો ભાવ રાખે તો ત્યાં બાહ્ય અને અત્યંતર એમ બંને પ્રકારનો વિનય ન હોય.
વિનયના વ્યવહારવિનય અને નિશ્ચયવિનય એવા બે ભેદ પાડવામાં આવે છે. આત્માના સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર્યરૂપી ગુણો પ્રત્યેનો વિનય તે નિશ્ચય-વિનય અને સાધુ સાધ્વીઓ, વડીલો વગેરે પ્રત્યે વ્યવહારમાં વંદનાદિ પ્રકારનો જે વિનય દાખવવામાં આવે છે તે વ્યવહાર-વિનય. આ બંને પ્રકારના વિનયનું પ્રયોજન રહે છે, તેમ છતાં જીવને સાધનામાં ઉચ્ચ ભૂમિકાએ લઈ જનાર તે નિશ્ચયવિનય છે.
જેઓ મિથ્યાત્વી છે, કુલિંગી છે, કુગુરુ છે તેઓના પ્રત્યે અંતરથી પૂજ્યભાવ રાખવો, તેમની સાથે વંદનાદિ વ્યવહાર કરવો ઇત્યાદિ પ્રકારનો વિનય ત્યાજ્ય મનાયો છે. માત્ર ઔપચારિક કારણોસર કેવળ દ્રવ્ય વિનય દાખવવાના પ્રસંગો ઉપસ્થિત થાય તો પણ તેઓ આધ્યાત્મિક માર્ગની આરાધ્ય વ્યક્તિઓ છે એવો બહુમાનપૂર્વકનો વિનયભાવ ન હોવો જોઈએ.
કેવળ નિશ્ચય નયની દૃષ્ટિથી વિનય ત્રણ પ્રકારનો બતાવવામાં આવે છે. ધવત્તામાં કહ્યું છે : બાળ- હંસન-રિત વિનને ત્તિ । જ્ઞાનવિનય, દર્શનવિનય અને ચારિત્રવિનય એમ ત્રણ પ્રકાર વિનયના છે.
નિશ્ચય અને વ્યવહાર ઉભય દૃષ્ટિએ વિનય ચાર પ્રકારનો બતાવવામાં આવે છે. તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે : જ્ઞાનવર્શનચારિત્રોચાર । જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય અને ઉપચારવિનય.
શ્રી લક્ષ્મીસૂરિએ ‘ઉપદેશપ્રાસાદ'માં આ રીતે વિનય ચાર પ્રકારનો બતાવ્યો છે :
चतुर्धा विनयः प्रोक्तः सम्यग्ज्ञानादिभेदतः | धर्मकार्ये नरः सोऽर्हः विनयाह्वतपोऽचितः ।।
વિનય ચાર પ્રકારનો કહેલો છે. તે સમ્યજ્ઞાનાદિ ભેદ પ્રમાણે છે. જે વિનય નામના તપથી યુક્ત હોય તે જ ધર્મકાર્ય માટે યોગ્ય ગણાય છે.
આમ, અહીં વિનય, મુખ્યત્વે ચાર પ્રકારનો બતાવવામાં આવ્યો છે : (૧) જ્ઞાનવિનય; (૨) દર્શનવિનય, (૩) ચારિત્રવિનય અને (૪) ઉપચારવિનય. આ ચાર પ્રકારમાં તપવિનયનો સમાવેશ કરી વિનય પાંચ પ્રકારનો
Page #10
--------------------------------------------------------------------------
________________
૯૦
જિનતત્ત્વ ભગવતી આરાધનામાં બતાવવામાં આવ્યો છે.
विणओ पुण पंचविहो णिद्दिठो गाणदसणचरित्ते ।
तवविणओ य चउत्थो उवयारिओ विणओ ।। વિશેષાવશ્યક ભાષ્યમાં પાંચ પ્રકારનો વિનય જુદી રીતે બતાવવામાં આવ્યો છે :
लोगोवयारविणओ अत्यनिमित्तं च कामहेउं च ।
भयविणय मुक्खविणओ विणओ खलु पंचहा होई ।। લોકોપચારવિનય, અર્થનિમિત્તે વિનય, કામહેતુથી વિનય, ભયવિનય અને મોક્ષવિનય – એમ પાંચ પ્રકારનો વિનય છે. ઔપપાતિકસૂત્રમાં સાત પ્રકારનો વિનય બતાવવામાં આવ્યો છે :
सत्तविहे विणए पण्णते तं जहा - णाणविणए, दंसणविणए चरित्तविणए, मणविणए, क्यणविणए, कायविणए,
लोगावयारविणए । વિનય સાત પ્રકારનો છે, જેમ કે (૧) જ્ઞાનવિનય, (૨) દર્શનવિનય, (૩) ચારિત્રવિનય, (૪) મનવિનય, (૫) વચનવિનય, (૬) કાયવિનય અને (૭) લોકોપચારવિનય.
આમ, વિનયના જે જુદા જુદા પ્રકાર બતાવ્યા છે તેમાં સાધનાની દૃષ્ટિએ મહત્ત્વના તે જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય અને ઉપચારવિનય છે. અર્થવિનય, કામવિનય અને ભયવિનય તો સ્પષ્ટ રીતે લૌકિક પ્રકારના છે. અર્થવિનયમાં ધનદોલત, માલમિલકત વગેરેનું પ્રયોજન રહેલું છે. વેપારમાં માણસ બીજા વેપારીઓ પ્રત્યે, ઘરાકો પ્રત્યે લેણદારો પ્રત્યે, સરકારી અધિકારીઓ પ્રત્યે પોતાના સ્વાર્થે વિનય દાખવતો હોય છે. વધુ લાભ મેળવવાનો અને નુકસાનમાંથી બચવાનો એમાં આશય હોય છે. કામવિનયમાં માણસ પોતાની ઇચ્છાઓને સંતોષવા માટે વિનવણી, આજીજી વગેરે પ્રકારનો વિનય દાખવતો હોય છે. ભયવિનયમાં ભયથી બચવા માટે દુશ્મનો પ્રત્યે, પોલીસ પ્રત્યે, સરકારી અધિકારી પ્રત્યે, રક્ષક બની શકે એમ હોય એવી વ્યક્તિ પ્રત્યે વિનય દાખવવામાં આવે છે. આવો લૌકિક વિનય કાયમનો નથી હોતો. કામ પત્યા પછી, સ્વાર્થ સંતોષાઈ ગયા પછી, ભયમાંથી મુક્તિ મળ્યા પછી માણસ ઘણીવાર વિનયી મટી જાય છે અને ક્યારેક તો વિપરીત સંજોગોમાં એ
Page #11
--------------------------------------------------------------------------
________________
વિનય જ વ્યક્તિ પ્રત્યે અવિનયી પણ બને છે. .
મન, વચન અને કાયાથી થતો વિનય લૌકિક પણ હોય છે અને લોકોત્તર પણ હોય છે. એમાં મનથી થતો વિનય અભ્યતર પ્રકારમાં આવી શકે. વચન અને કાયાથી થતો વિનય બાહ્ય પ્રકારનો હોય છે. ક્યારેક મન, વચન અને કાયા એ ત્રણ પ્રકારનો વિનય એકસાથે પણ સંભવી શકે અને તે લોકોત્તર પણ હોઈ શકે છે. અધ્યાત્મમાર્ગમાં લોકોત્તર વિનયની જ ઉપયોગિતા છે.
સમ્યગુજ્ઞાન પ્રત્યે અને જ્ઞાની પ્રત્યેનો પૂજ્યભાવ તે જ્ઞાનવિનય છે. જ્ઞાનાચારનાં આઠ અંગો દર્શાવવામાં આવ્યાં છે. એ આઠ અંગો તે જ્ઞાનવિનયના આઠ પ્રકાર છે. જ્ઞાનાચાર નીચે પ્રમાણે છે :
काले विणए बहुमणे उवहाणे तह अनिन्हवण ।
वंजण अत्थ तदुभए अट्ठविहो नाणमायारो ।। કાળ, વિનય, બહુમાન, ઉપધાન, અનિદ્ભવપણું, વ્યંજન, અર્થ તથા તદુભય (વ્યંજન અને અર્થ સાથે) એમ આઠ પ્રકારના જ્ઞાનાચાર છે. શાસ્ત્રગ્રંથોમાં આ આચારોની વિગત છણાવટ કરવામાં આવી છે.
જ્ઞાનવિનયમાં શાસ્ત્રગ્રંથ તથા જેમાં અક્ષરો, માતૃકાઓ હોય એવાં ઉપકરણો, સાધનો વગેરેને પગ લગાડવો, કચરામાં ફેંકવા, થૂક લગાડવું, એના પર માથું મૂકીને સૂઈ જવું, ફાડી નાખવું ઇત્યાદિ પ્રકારનો અવિનય ન થાય તે પ્રત્યે બહુ કાળજી રાખવી જોઈએ. એટલું જ નહીં, એ પ્રત્યે બહુમાન ધરાવવું જોઈએ.
જ્ઞાનીઓનો દ્વેષ ન કરવો જોઈએ, તેમની ઈર્ષ્યા, નિંદા, ભર્જના ન કરવી જોઈએ. કોઈકને જ્ઞાન અપાતું હોય તો તેમાં અંતરાય ન નાખવો જોઈએ. પોતે શિષ્યને કે શ્રાવકને કશું શીખવતા હોય ત્યારે, અમુક જ્ઞાન છુપાવવાનો, ઓછું અધિકું કહેવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. હું શીખવીશ તો તે મારા કરતાં આગળ વધી જશે એવો ઇર્ષાભાવ ન રાખવો જોઈએ. તેવી જ રીતે શિષ્યના મનમાં પણ એમ ન થવું જોઈએ કે પોતે પોતાના ગુરુ કરતાં આગળ વધી જવું છે. વળી, શિષ્ય ગુરુએ કરેલા અર્થ કરતાં જાણીજોઈને અવળો અર્થ ન કરી બતાવવો જોઈએ, નિરર્થક વિવાદ ન કરવો જોઈએ તથા ગુરુના ઉપકારને ન છૂપાવવો જોઈએ. જ્ઞાન અને જ્ઞાનીની ચૌદ પ્રકારની આશાતના શાસ્ત્રગ્રંથોમાં બતાવી છે તેવી આશાતના ન થવી જોઈએ.
Page #12
--------------------------------------------------------------------------
________________
જિનતત્ત્વ
જ્ઞાનનો મહિમા જૈન ધર્મમાં ઘણો જ મોટો છે. એટલે જ તીર્થંકોએ આપેલો ઉપદેશ ગણધરભગવંતો દ્વારા જે ઊતરી આવ્યો છે અને જે શ્રુતજ્ઞાન તરીકે ઓળખાય છે તેના પ્રત્યે બહુમાન દર્શાવવા જ્ઞાનપંચમી અથવા શ્રુતપંચમીનું પર્વ મનાવવામાં આવે છે. જૈન દર્શનમાં જ્ઞાન-જ્ઞાની પ્રત્યેનો વિનય ઉચ્ચ કોટિનો અને મહિમાવંત છે. ઉદ્દેશપ્રસારમાં શ્રી લક્ષ્મીસૂરિએ કહ્યું છે
દર
श्रुतस्याशातना त्याज्या तद्विनयः श्रुतात्मकः ' शुश्रुषादिक्रियाकाले तत् कुर्यात् ज्ञानिनामपि ।। શ્રુતજ્ઞાનની આશાતના ત્યજ્વી જોઈએ. શ્રુતજ્ઞાનનો વિનય શ્રુતસ્વરૂપ જ ગણાય છે. એટલા માટે સુશ્રૂષા વગેરે પ્રકારની ક્રિયા કરતી વખતે શ્રુતજ્ઞાનીનો પણ વિનય કરવો.
આમ, જ્ઞાનના વિનય સથે જ્ઞાનીનો પણ વિનય કરવાનો હોય છે. એટલે કે જ્ઞાનના વિનયમાં જ્ઞાનીનો પણ સમજી લેવાનો છે. જ્ઞાન અને વિનયનો પરસ્પર ગાઢ સંબંધ છે. જેમ વિનયભાવ વધે તેમ જ્ઞાન વધે અને જેમ જ્ઞાન વધે તેમ વિનયભાવ પણ વધે. વિદ્યા વિનયેન શોમતે – એમ કહેવાયું છે. વિદ્યા હોય પણ જો વિનય ન હોય અથવા અવિનય હોય તો તે વિદ્યાનું સારું ફળ મળે નહીં. એવી વિદ્યાનું મૂલ્ય ઓછું છે. વિનય વિજ્ઞાની વિદ્યા બહુ ટકતી નથી એમ પણ કહેવાય છે. વિસ્મૃતિ એમાં ભાગ ભજવી જાય છે. બીજી બાજુ ગુરુ પ્રત્યે વિનય હોય તો વિદ્યા સફળ થાય છે. શ્રેણિક મહારાજા અને ચાંડાલનું દૃષ્ટાન્ત એ માટે જાણીતું છે. બહુમાનપૂર્વકનો વિનય હોય તો હૃદયમાં અને ચિત્તમાં એવી નિર્મળતા પ્રસરે છે કે જેથી વસ્તુપરિસ્થિતિ ઇત્યાદિ તરત સમજાય છે, પ્રશ્નોનો સાચો ઉકેલ જડી આવે છે. અનુમાન સાચાં પડે છે. શાસ્ત્રકારો કહે છે કે, ગુરુ પ્રત્યેના વિનયના પરિણામે શિષ્યમાં વૈનેયિકી બુદ્ધિ ઉત્પન્ન થાય છે. એ બુદ્ધિથી સાચા નિર્ણયો લઈ શકાય છે ને પ્રશ્નો જલદી સમજી શકાય છે. આવી વૈનેયિકી બુદ્ધિનાં દૃષ્ટાન્તો કથાગ્રંથોમાં જોવા મળે છે.
વિદ્યાપ્રાપ્તિમાં ગુરુ પ્રત્યેના વિનયની સાથે બહુમાનની પણ એટલી જ આવશ્યકતા છે. વિનય અને બહુમાન આમ તો સાથે સાથે જ હોય છે, છતાં તે બંને વચ્ચે થોડો તફાવત પણ છે. ગુરુ પ્રત્યેનો વિનય વંદન, અભ્યુત્થાન ઇત્યાદિ દ્વારા વ્યક્ત કરી શકાય છે. એ બાહ્યાચાર છે. પરંતુ બહુમાન તો હૃદયની સાચી પ્રીતિથી જ જન્મે છે. જો હૃદયમાં બહુમાન હોય તો ગુરુને
Page #13
--------------------------------------------------------------------------
________________
વિનય
૯૩ અનુસરવાનું, તેમના ગુણોને ગ્રહણ કરવાનું મન થાય છે. તેમનામાં રહેલી નજીવી ત્રુટિઓ પ્રત્યે ધ્યાન જતું નથી. પોતાની સાધનાના વિકાસ માટે સતત ચિંતવન રહ્યા કરે છે. “ગૌતમ પૃચ્છા'માં કહ્યું છે :
विज्जा विन्नाणं वा मिच्छा विणएण गिहिउं जो उ ।
अवमन्नइ आयरियं सा विज्जा निष्फला तस्स ।। વિદ્યા અને વિજ્ઞાન જો મિથ્યા વિનયથી (પ્રીતિ વગર ખોટા, કૃત્રિમ દેખાવથી) ગ્રહણ કરવામાં આવે અને આચાર્યની અવગણના કરવામાં આવે તો તેની વિદ્યા નિષ્ફળ જાય છે.
આમ, દ્રવ્યવિનયની સાથે ભાવવિનયની એટલી જ આવશ્યકતા છે, એટલું જ નહીં એ વિનયની સાથે પ્રીતિયુક્ત બહુમાનનો સાચો ભાવ પણ અંતરમાં રહેવો જોઈએ. તો જ વિદ્યાનું ગ્રહણ વધુ સફળ થઈ શકે. આમ વિનય અને બહુમાન બંને હોવા કે ન હોવાં તે વિશે શાસ્ત્રકારો ચાર પ્રકાર બતાવે છે :
(૧) વિનય હોય પણ બહુમાન ન હોય. એ માટે શ્રીકૃષ્ણના પુત્ર પાલકકુમારનું દૃષ્ટાન્ત આપવામાં આવે છે.
(૨) બહુમાન હોય, પણ વિનય ન હોય. એ માટે સાંભકુમારનું દૃષ્ટાન્ત આપવામાં આવે છે.
(૩) વિનય હોય અને બહુમાન પણ હોય. એ માટે મહારાજા કુમારપાળનું દૃષ્ટાન્ન આપવામાં આવે છે.
(૪) વિનય ન હોય અને બહુમાન પણ ન હોય. એ માટે શ્રેણિક મહારાજાની દાસી કપિલાનું દૃષ્ટાન્ત આપવામાં આવે છે.
દર્શન વિનયને સમ્યક્તવિનય પણ કહેવામાં આવે છે. વિનય ગુણનો સમક્તિ સાથે ગાઢ સંબંધ છે. સમક્તિના ૬૭ બોલમાં સદ્દતણા, શુદ્ધિ, લિંગ, ભૂષણ, આગાર, જય, ભાવના વગેરેના જે પ્રકારોની ગણના કરવામાં આવે છે તેમાં વિનયના દસ પ્રકારનો પણ સમાવેશ થાય છે. દસ પ્રકાર તે આ પ્રમાણે છે : (૧) અરિહંત, (૨) સિદ્ધ, (૩) આચાર્ય, (૪) ઉપાધ્યાય અને (૫) સાધુ એ પંચપરમેષ્ઠિ પ્રત્યેનો વિનય તે વિનયના પાંચ પ્રકાર. તદુપરાંત ચૈત્ય (એટલે જિનપ્રતિમા), શ્રત (શાસ્ત્રસિદ્ધાન્ત), ધર્મ (ક્ષમાદિ દસ પ્રકારનો યતિધર્મ), પ્રવચન (એટલે સંઘ) અને દર્શન (એટલે સમક્તિ તથા સમકિતી)એ પાંચ પ્રત્યેનો જે વિનય તેના પાંચ પ્રકાર. આમ, કુલ દસ પ્રકારનો વિનય સમકિતની પ્રાપ્તિ માટે અનિવાર્ય છે. વળી, આ વિનય પાંચ પ્રકારે કરવાનો છે : (૧)
Page #14
--------------------------------------------------------------------------
________________
જિનતત્ત્વ
ભક્તિથી એટલે કે હૃદયની પ્રીતિથી, (૨) બહુમાનથી, (૩) પૂજાથી, (૪) ગુણપ્રશંસાથી અને (૫) પૂજ્યના અવગુણ ઢાંકવાથી તથા આશાતનાના ત્યાગથી. આ રીતે દસ પ્રકારનો વિનય અને તે પ્રત્યેક પાંચ રીતે કરવાનો. એટલે કુલ પચાસ પ્રકારે વિનય થયો કહેવાય. આ પ્રકારના વિનયથી સમકિતની પ્રાપ્તિ થાય છે અને પ્રાપ્ત થયેલ સમક્તિ વધુ નિર્મળ થાય છે. આમ, દર્શનવિનયથી દર્શનવિશુદ્ધિ થાય છે. સમક્તિના ૬૭ બોલની સઝાયમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે કહ્યું છે :
અરિહંત તે જિન વિચરતાજી કર્મ ખપી હુઆ સિદ્ધ; ચેઇઅ જિનપ્રતિમા કહી, સૂત્ર સિદ્ધાન્ત પ્રસિદ્ધ ચતુર નર, સમજો વિનયપ્રકાર જિમ લહીએ સમક્તિ સાર.
XXX
ભગતિ બાહ્ય પ્રતિપત્તિથીજી, હૃદયપ્રેમ બહુમાન; ગુણયુતિ અવગુણ ઢાંકવાજી, આશાતનાની હાણ. પાંચ ભેદ એ દસ તણોજી વિનય કરે અનુકૂળ, સીંચે તેહ સુધારશેજી,
ધર્મવૃક્ષનું મૂલ. આવશ્યકચૂર્ણમાં નીચે પ્રમાણે વિનય તે પ્રકારનો બતાવ્યો છે અને તે પ્રત્યેક ચાર પ્રકારે કરવાનો કહ્યો છે :
तित्थयरसिद्धकुलगण-संघकियाधम्मनाणनाणीणं । आयरियथेरओज्झा-गणीणं तेरस पयाणि ।। असासायणा य भत्ती, बहुमाणे तय य वन्नसंजलणा ।
तित्थगराई तेरस चउग्गुणा होति बावन्ना ।। કેટલાક દસને બદલે તેર પ્રકારનો વિનય નીચે પ્રમાણે બતાવે છે :
(૧) અરિહંત અથવા તીર્થંકર, (૨) સિદ્ધ, (૩) કુલ, (૪) ગણ, (૫) સંઘ, (૯) ક્રિયા, (૭) ધર્મ, (૮) જ્ઞાન, (૯) જ્ઞાની, (૧૦) આચાર્ય, (૧૧)
Page #15
--------------------------------------------------------------------------
________________
વિનય ઉપાધ્યાય, (૧૨) સ્થવિર અથવા વડીલ સાધુ અને (૧૩) ગણિ.
આ તેનો વિનય પણ (૧) ભક્તિ કરવા વડે, (૨) બહુમાન કરવા વડે, (૩) ગુણસ્તુતિ કરવા વડે તથા (૪) આશાતના કે અવહેલના ન કરવા વડે કરવાનો છે, એમ પ્રત્યેકની સાથે આ ચાર પ્રકાર જોડીએ તો કુલ બાવન પ્રકારનો વિનય થાય.
આ તેરનું જે વર્ગીકરણ કરવામાં આવ્યું છે તેનો પંચપરમેષ્ઠિમાં, ધર્મમાં અને સંઘમાં એમ ત્રણમાં સમાવેશ કરી શકાય અથવા એ તેરને દેવતત્ત્વ, ગુરુતત્ત્વ અને ધર્મતત્ત્વમાં સમાવી શકાય. પરંતુ વિનયગુણની આરાધના કરનારના મનમાં સ્પષ્ટતા રહે એ માટે આ વર્ગીકરણ વધુ વિસ્તારવાળું કરવામાં આવ્યું છે.
શાસ્ત્રોમાં આ પાંચ પ્રકારના ચારિત્ર બતાવવામાં આવ્યાં છે. એ ચારિત્રના ધારક પંચ મહાવ્રતધારી પ્રત્યે વિનય દાખવવો તે ચારિત્રવિનય છે અને પોતે તે પ્રકારના ચારિત્રનું પાલન કરવું તે પણ ચારિત્રવિનય છે. ઇન્દ્રિયોને સંયમમાં રાખવી, કષાયો ઉપર કાબૂ મેળવવો, ગૃતિ સમિતિ સહિત મહાવ્રતોનું પાલન કરવું, આવશ્યક ધર્મક્રિયાઓ ઉત્સાહપૂર્વક પરિપૂર્ણ રીતે કરવી, શક્તિ અનુસાર તપ કરવું, પરીષહો સહન કરવા ઇત્યાદિનો ચારિત્રવિનયમાં સમાવેશ થાય છે.
જ્ઞાનવિનય, દર્શનવિનય અને ચારિત્રવિનય એ ત્રણ વિનય ઉપરાંત કોઈક ગ્રંથોમાં તપવિનય જુદો બતાવવામાં આવે છે. વસ્તુતઃ તપવિનયને ચારિત્રવિનયમાં સમાવિષ્ટ કરી શકાય છે, પરંતુ સ્પષ્ટતા ખાતર તપવિનયને જુદો પણ બતાવવામાં આવે છે. એમાં પોતાની શક્તિ અનુસાર તપ કરવું અને ઓછું તપ કરનારની કે તપ ન કરી શકનાર એવા બાલ, ગ્લાન, વૃદ્ધ વગેરેની ટીકાનિંદા ન કરવાનું કહ્યું છે. પોતાનાથી અધિક તપ કરનારની ઇર્ષ્યા ન કરવી કે દ્વેષભાવ ધારણ ન કરવો તથા પોતાના તપ માટે અહંકાર ન કરવો, તપમાં માયા ન કરવી, દંભ ન કરવો, લુચ્ચાઈ ન કરવી, તપ કરીને ક્રોધ ન કરવો વગેરેની ભલામણ કરવામાં આવી છે.
- વિનયને તપના એક પ્રકાર તરીકે પણ ગણાવવામાં આવ્યો છે. છ પ્રકારના બાહ્ય અને છ પ્રકારનાં અભ્યતર તપ એમ મુખ્ય બાર પ્રકારનાં તપ છે. આ બાર પ્રકારના તપમાં આઠમું તપ અને છ પ્રકારનાં અભ્યતર તપમાં બીજું તપ તે વિનય છે. શાસ્ત્રકારે કહ્યું છે :
Page #16
--------------------------------------------------------------------------
________________
૯૭
पायच्छित्तं विणओ वेयावच्चं तहेच सज्झाचो झाणं उसग्गो वि अ अब्मित तवो होइ ।
પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ એ છ પ્રકારનાં અત્યંતર તપ છે. આ છ પ્રકારનાં તપ અનુક્રમે મૂકવામાં આવ્યાં છે. આગળનું તપ ન હોય તો પાછળનું તપ સિદ્ધ ન થાય. જેમ કે વિનય ન હોય તો વૈયાવચ્ચ ન આવે. વિનય અને વૈયાવચ્ચ ન હોય તો સ્વાધ્યાય સફળ થાય નહીં. તે જ પ્રમાણે પ્રાયશ્ચિતનો ભાવ ન હોય તો વિનય ન આવે. પોતાનાં પાપ કે ભૂલ માટે પ્રાશ્ચિતનો ભાવ આવે તો જ વિનય આવે.
કોઈકને પ્રશ્ન થાય કે ઉપવાસ વગેરે બાહ્ય તપ સમજી શકાય એમ છે, પણ વિનયને અત્યંતર તપ તરીકે કેવી રીતે ઓળખાવી શકાય ? વિનયમાં કોઈ કષ્ટ તો હોતું નથી, તો એને તપ કેમ કહેવાય ? પરંતુ વિનય પણ એક પ્રકારનું ભારે તપ છે, કારણ કે વિનયમાં અહંકારને મૂકવાનો છે. માન મૂક્યા વગર વિનય આવે નહીં. હું અને મારું – અહં અને મમ એ આત્માના મોટા શત્રુઓ છે. સાધનાના માર્ગમાં અહંકાર, મમકાર, મતાગ્રહ, હઠાગ્રહ, દૃષ્ટિરાગ વગેરે મોટા અંતરાયો છે. દરેક જીવમાં ઓછેવત્તે અંશે માનકષાય રહેલો છે. ‘હું’ અને ‘મારું’નું વિસ્મરણ અને વિસર્જન કરવાનું છે. એમ કરવું કષ્ટદાયી છે. જીવને પોતાને વારંવાર સ્વભાવ તરફ વાળવાનો ભારે પુરુષાર્થ છે, એટલે જ એ તપ છે. એટલા માટે વિનયનો અત્યંતર તપમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
જિનતત્ત્વ
કોઈને એમ થાય કે માનને જીતવામાં તે શી વાર લાગતી હશે ? પણ વાસ્તવમાં એમ નથીં. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર ઉશ્કરે ત્યારે તે દેખાઈ આવે છે, પરંતુ બાહ્ય વર્તનમાં આડંબર રાખીને માણસ પોતાના મનમાં પોતાના માનને સંતાડે છે. ક્યારેક તો પોતાને પણ ખબર ન પડે કે પોતાનામાં આટલું બધું માન રહેલું છે. જ્યારે માન ઘવાય છે, પોતાની અવમાનના કે અવહેલના થાય છે ત્યારે જ ખબર પડે છે કે પોતાનામાં કેટલું બધું માન પડેલું છે. માન કોઈ એક જ વાત માટે નથી હોતું. એક વિષયમાં લઘુતા દર્શાવનાર વ્યક્તિ બીજા વિષયમાં એટલી લઘુતા ન પણ ધરાવતી હોય. મદ આઠ પ્રકારના બતાવવામાં આવ્યા છે : (૧) જાતિમદ, (૨) કુલમદ, (૩) રૂપમદ, (૪) ધનમદ, (૫) ઐશ્વર્યમદ, (૬) બલમદ, (૭) જ્ઞાનમદ અને (૮) લાભમદ. આ તો મુખ્ય પ્રકારના મદ છે. પરંતુ તે ઉપરાંત પણ બીજા ઘણા મદ હોઈ શકે છે.
Page #17
--------------------------------------------------------------------------
________________
વિનય
૯૭ વળી આ આઠ મદના પણ બહુ પેટા પ્રકાર હોય છે. ગરીબ માણસ ધનનો મદ ન કરે, પણ રૂપનો મદ કરી શકે છે. કરૂપો માણસ રૂપનો મદ ન કરે, પણ ધનનો મદ કરી શકે છે. અરે, જ્ઞાની માણસ પોતાના જ્ઞાનનો અહંકાર કરી શકે છે. જ્યાં સુધી જીવમાંથી મદ જતો નથી ત્યાં સુધી સાચો વિનય પરિપૂર્ણ રીતે આવી શકતો નથી. આથી જ માનકષાયને જીતવાનું ઘણું દુષ્કર મનાયું છે. માન જીવ પાસે આઠ પ્રકારનાં ભારે કર્મ બંધાવી શકે છે. એમાં પણ સૌથી વધુ ભારે તે મોહનીય કર્મ છે. સાચા વિનયમાં આ મોહનીય કર્મનો ક્ષયોપશમ કે ક્ષય કરવાનું સામર્થ્ય છે. જિનાજ્ઞાના પાલનથી અવિનય દૂર થાય છે અને વિનય આવે છે. એટલે વિનયને યોગ્ય રીતે જ તપના એક પ્રકાર તરીકે ઓળખાવી શકાય.
ઉપચારવિનય અથવા લોકોપચાર વિનયમાં વડીલ સાધુ-સાધ્વીઓ પ્રત્યે આદરભાવપૂર્વક વ્યવહાર રાખવાની આવશ્યકતા ઉપર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. એ માટે વિવિધ પ્રકારના નિયમો બતાવવામાં મહિમા બરાબર સચવાય. “પપાકિસૂત્ર”માં લોકોપચાર વિનય સાત પ્રકારનો બતાવવામાં આવ્યો છે.
लोगोवयारविणए सत्तविहे पण्णते तं जहा -
(૧) ૩ મરિત્તિ, (૨) વરદૃાવત્તિયે, (૩) નક, (૪) વાયવરિયા, (૫) મસળયા, (૯) રેશાનન્નુયા, (૭) સવ્વસુ अप्पडिलोभया.
લોકોપચાર વિનય સાત પ્રકારનો છે : (૧) ગુરુ વગેરેની પાસે રહેવું, (૨) એમની ઇચ્છાનુસાર વર્તવું. (૩) એમનું કાર્ય કરી આપવું, (૪) કરેલા ઉપકારનો બદલો વાળવો, (૫) વ્યાધિગ્રસ્તની સારસંભાળ રાખવી, (૬) દેશકાલાનુસાર પ્રવૃત્તિ કરવી, (૭) એમનાં બધાં કાર્યોમાં અનુકૂળ વૃત્તિ રાખવી.
ઉપચારવિનય પણ પ્રત્યક્ષ ઉપચારવિનય અને પરોક્ષ ઉપચારવિનય એમ બે પ્રકારનો છે. પ્રત્યક્ષ ઉપચારવિનયમાં આચાર્ય, ઉપાધ્યાય, સાધુ વગેરે બહારથી પધારતા હોય તો સન્મુખ લેવા જવું, બેઠા હોઈએ તો ઊભા થવું, પોતાના આસન પર બેઠાં બેઠાં જવાબ ન આપતા પાસે જઈ જવાબ આપવો, તેમને વંદન કરવાં, વંદન કરતી વખતે અમુક અંતર રાખવું, તેઓ રસ્તામાં ચાલતા હોય ત્યારે તેમની આગળ નહીં પણ બાજુમાં કે પાછળ ચાલવું, એમનાં ઉપકરણો વગેરેની સંભાળ રાખવી, તેઓ કોઈની સાથે વાત કરતા હોય ત્યારે
Page #18
--------------------------------------------------------------------------
________________
જિનતત્ત્વ
વચ્ચે ન બોલવું, તેમને પ્રિય અને અનુકૂળ લાગે એવી વાણી બોલવી અને એવું વર્તન રાખવું, સમકક્ષ સાધુ સાથેના વ્યવહારમાં અભિમાન ન રાખવું, દ્વેષ ન કરવો, ક્ષમાભાવ ધારણ કરવો, આઠ પ્રકારના મદનો ત્યાગ કરવો ઇત્યાદિ નાની-મોટી ઘણીબધી વાતોનો સમાવેશ થાય છે,
પરોક્ષ ઉપચારવિનયમાં તેઓ ન હોય ત્યારે તેમને, મન, વચન, કાયાદિથી વંદન કરવાં, તેમના ઉપકારોનું સ્મરણ કરવું, તેમના ગુણોનું પણ સ્મરણ કરવું, તેમની આજ્ઞાનું પાલન કરવાનો ભાવ રાખવો, તેમની કોઈ ત્રુટિઓ હોય તો તે મનમાં યાદ ન કરવી કે બીજા કોઈ આગળ તેમની નિંદા ન કરવી વગેરે બતાવવામાં આવે છે.
ઉપચારવિનયને સુશ્રૂષાવિનય પણ કહેવામાં આવે છે. તે અનેક પ્રકારનો હોય છે. ઔપપાતિકસૂત્રમાં કહ્યું છે :
सुस्सुसणा विणए अणेगविहे पण्णत्ते तं जहा
अब्भुट्ठाणाइ वा आसणामिग्गहेउ वा, आसणप्पयाणेड़ वा, सकारेइ वा, कित्तिकम्मेइ या, अंजलिपग्गहेड़ वा, इत्तस्स अणुगच्छणया, ठियस्स पज्जुवासणया, गच्छंतस्स पडिसंसाहणया ।,
(સુશ્રુષાવિનય અનેક પ્રકારનો છે, જેમ કે ગુરુ વગેરે આવે તો ઊભા થવું, આસન માટે નિયંત્રણ કરવું, આસન આપવું, સત્કાર કરવો, કૃતિકર્મ કરવું એટલે કે વંદન કરવું, હાથ જોડી સામે બેસવું, આવકાર આપવા સામે જવું, સ્થાનમાં સ્થિરતા કરી હોય તો સેવા કરવી અને જતા હોય ત્યારે પહોંચાડવા જવું.)
વિનય આત્માનો ગુણ છે. અવિરતિધર અને સર્વવિરતિધર એવા સૌમાં એ ગુણ રહેલો છે. વ્યવહારમાં ઔપચારિક રીતે પણ તે પ્રગટ થાય છે અને પરોક્ષ રીતે ભાવથી અંતઃકરણમાં પણ તે પ્રકાશિત થાય છે. સાધુ, ઉપાધ્યાય અને આચાર્ય પણ વિનય દાખવે છે. અવધજ્ઞાની અને મન:પર્યવજ્ઞાની મહાત્માઓ પણ વિનય દાખવે છે અને ચૌદ પૂર્વધર પણ વિનયવાન હોય છે. હવે પ્રશ્ન એ આવે છે કે કેવળજ્ઞાન થયા પછી કેવલી ભગવંતને વિનય દાખવવાનો હોય છે ? આ અંગે જુદી જુદી અપેક્ષાથી વિચારણા થઈ શકે છે. જો તીર્થંકર પરમાત્મા સમવસરણમાં બિરાજમાન થતી વખતે નો તિથ્ય અને નો સંધÇ એમ બોલી વિનય દાખવતા હોય તો કેવલી ભગવંતો વિનય કેમ ન દાખવે ?
Page #19
--------------------------------------------------------------------------
________________
વિનય
૯૯ આમ, જીવ કઈ કક્ષા સુધી પોતાના ગુરુનો વિનય કરે એ વિશે પણ વિચારણા થઈ છે. શ્રીમદ્ રાજચંદ્ર “આત્મસિદ્ધિ શાસ્ત્રમાં લખ્યું છે :
જે સગુરુ ઉપદેશથી પામ્યો કેવળજ્ઞાન,
ગુરુ રહ્યા છઘસ્થ પણ વિનય કરે ભગવાન. કેવળી ભગવાન પણ પોતાના ઉપર ઉપકાર કરનાર, પોતાના કેવળજ્ઞાનનું નિમિત્ત બનનાર એવા ઉપદેશક ગુરુનો, તે છદ્મસ્થ હોવા છતાં વિનય કરે છે. ગુરુ અને શિષ્યમાં એવો નિયમ નથી કે પહેલાં ગુરુને જ કેવળજ્ઞાન થાય અને પછી જ શિષ્યને કેવળજ્ઞાન થાય. જો શિષ્યને પહેલાં કેવળજ્ઞાન પ્રગટ થાય તો તરત તે ગુરુ પ્રત્યેનો વિનય પડતો મૂકે ? અથવા વિનય સહજ રીતે છૂટી જાય ? અલબત્ત, કેવળજ્ઞાન થાય કે તરત શિષ્ય પોતાના ગુરુને એમ કહે નહીં કે મને કેવળજ્ઞાન થયું છે અને હવે હું તમારી વૈયાવચ્ચ કરીશ નહીં. બીજી બાજુ ગુરુને જેવી ખબર પડે કે પોતાના શિષ્યને કેવળજ્ઞાન થયું છે અને પોતે હજુ છદ્મસ્થ છે, તો ગુરુ ભગવંત તરત જ પોતાના કેવલી શિષ્યને વંદન કરે જ. પરંતુ જ્યાં સુધી ગુરુને અણસાર ન આવે ત્યાં સુધી કેવલી શિષ્ય વિનય કરે કે નહીં ? આ વિષયમાં શાસ્ત્રકારોમાં વિભિન્ન મત હોવા છતાં શ્વેતામ્બર પરંપરામાં તો મૃગાવતી, પુષ્પચૂલા, ચંડરુદ્રાચાર્યના શિષ્ય વગેરેનાં દૃષ્ટાંતો છે કે જેઓએ પોતાને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ પોતાના ગુરુનો વિનય સાચવ્યો હતો. શ્રીમદ્ રાજચંદ્ર લખ્યું છે, “જે સગુરુના ઉપદેશથી કોઈ કેવળજ્ઞાન પામ્યા, તે સદગુરુ હજુ છદ્મસ્થ રહ્યા હોય, તો પણ જે કેવળજ્ઞાનને પામ્યા છે એવા તે કેવળી ભગવાન છદ્મસ્થ એવા પોતાના સદૂગુરુની વૈયાવચ્ચે કરે એવો વિનયનો માર્ગ શ્રી જિને ઉપદેશ્યો છે.'
આ વિનય માત્ર ઉપચારવિનય હોય તો પણ એ કેવળી ભગવંતનો વિનય છે. આમ છતાં આ અત્યંત સૂક્ષ્મ વિષય અંતે તો કેવલીગમ્ય છે.
વિનય દરેક પ્રસંગે યોગ્ય સ્થાને જ હોય એવું નથી. વિનય કરનારને પક્ષે માત્ર એમનું ભોળપણ જ હોય, પરંતુ દંભી, માયાવી, બની બેઠેલા લુચ્ચા અસદ્દગુરુઓ શિષ્ય-શિષ્યાના કે ભક્ત-ભક્તાણીના વિનયનો મોટો ગેરલાભ ઉઠાવતા હોય એવા પ્રસંગો પણ વખતોવખત બનતા હોય છે. સંસારમાં દુ:ખનો પાર નથી અને દુ:ખી, મુંઝાયેલી વ્યક્તિઓ જરાક આશ્વાસન મળતાં, મંત્રતંત્ર મળતાં ગમે તેને ગુરુ ધારી લઈને, તેમની આજ્ઞામાં રહીને બહુ વિનય દર્શાવતી હોય છે. એક સપુરુષની સઘળી ઇચ્છાને માન આપ અને તન, મન તથા
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૦૦
જિનતત્વ ધનથી તારી જાતને તેમનાં ચરણોમાં સમર્પિત કરી દે' – એવાં ઉપદેશાત્મક વાક્યો વંચાવીને દંભી અસદ્ગુરુઓ પોતાના ભક્ત-ભક્તાણીને માનસિક રીતે ગુલામ જેવાં બનાવી દે છે. તેમની પાસે જો ધન હોય તો તે છળકપટ કરી હરી લે છે અને તનથી સમર્પિત થવાનો અવળો અર્થ કરી ભક્તાણીઓનું શારીરિક શોષણ પણ કરતા હોય છે. અને આ બધું ધર્મને નામે, આત્મસાક્ષાત્કાર કરાવવાના નામે, પ્રભુનું દર્શન કરાવવાના નામે, સમક્તિની પ્રાપ્તિ કરાવવાના નામે, ઝટઝટ મોક્ષ અપાવી દેવાના નામે કરતા હોય છે અને અંધશ્રદ્ધાળુ ભોળી ભક્તાણી પોતાને ગુરુજી મળ્યા, હવે બેડો પાર છે” એમ સમજી, વિનયવંત બની એમની સર્વ ઇચ્છાઓને અધીન બની જાય છે. સંસારમાં વિનયના નામે, આજ્ઞાપાલનના નામે આવો ગંદવાડ પણ વખતોવખત પ્રવર્તતો હોય છે. સમજુ આરાધકે એવા માયાવી ગુરુઓથી ચેતતા રહેવું જોઈએ.
જેમ શિષ્ય ગુરુ પ્રત્યે અવિનય ન કરવો તેમ ગુરુએ પણ પોતાના શિષ્યો પ્રત્યે અવિનયી વર્તન ન કરવું જોઈએ. પક્ષપાત, અકારણ શિક્ષા, વધુપડતો દંડ, શિષ્યની સેવાસુશ્રુષાનો વધુપડતો લાભ લેવો, ક્રોધ કરવો, શિષ્યોને બધાંના દેખતાં ટોકવા ઇત્યાદિ પ્રકારનું વર્તન ગુરુભગવંતે ટાળવું જોઈએ. જેઓ પોતે જાણે છે કે પોતાનામાં શિથિલાચાર છે, સ્વચ્છંદતા છે, પ્રલોભનો છે, પક્ષપાત છે, ક્રોધાદિ કષાયો ઉગ્ન છે, ધર્મમાં શ્રદ્ધા દઢ નથી એવા કુગુરુઓ શિષ્યો પાસે જો વિનય કરાવડાવે તો તેથી તેઓ દુર્ગતિમાં ધકેલાઈ જાય છે.
આમ, જૈન ધર્શનમાં વિનયના ગુણનો ઘણો મહિમા દર્શાવવામાં આવ્યો છે. “ધર્મકલ્પદ્રુમ' નામના ગ્રંથમાં કહ્યું છે :
मूलं धर्मद्रुमस्य युपति नरपतिश्री लतामूलन्दः । सौन्दर्याहवानविधा निखिलगुणनिधिर्वश्यताचूर्णयोगः । सिद्धाज्ञामन्त्रमन्त्राधिगममणि महारोहणादिः समस्ता -
नर्थप्रत्यर्थितन्त्रं त्रिजगति विनय: किं न किं साधु धत्ते ? અર્થાત્ વિનય ધર્મરૂપી વૃક્ષનું મૂળ છે, દેવેન્દ્ર અને નરપતિની લક્ષ્મીરૂપી લતાનો મૂળ કંદ છે, સૌન્દર્યનું આહ્વાન કરવાની વિદ્યા છે, સર્વ ગુણોનો નિધિ છે, વશ કરવા માટેનો ચૂર્ણનો યોગ છે, પોતાની આજ્ઞા સિદ્ધ થાય એ માટેના મંત્રયંત્રની પ્રાપ્તિ માટેના મણિઓ, રત્નોનો મોટો રોહણાચલ (પર્વત) છે. અને સમસ્ત અનર્થનો નાશ કરનારું તંત્ર છે. આવો વિનય ત્રણે જગતમાં શું શું સારું ન કરી શકે ?
Page #21
--------------------------------------------------------------------------
________________ વિનય 101 એક વિનયના ગુણથી જીવ ઉત્તરોત્તર કેવી રીતે વિકાસ સાધે છે અને મોક્ષગતિ પ્રાપ્ત કરવા સુધી પહોંચી શકે છે તેનો ક્રમ બતાવતાં ઉમાસ્વાતિ મહારાજ “પ્રશમરતિ'માં કહે છે : विनयफलं सुश्रूषा, गुरुशुश्रूषाफलं श्रुतज्ञानम् / ज्ञानस्य फलं विरतिर्विरतिफलं चास्त्रच निरोध / / संवरफलं तपोबलमथ तपसो निर्जराफलं दृष्टम् / तस्मात् क्रियानिवृत्तिः क्रियानिवृत्तेरयोगित्वम् / / योगनिरोधाद् भवसन्ततिक्षय: सन्ततिक्षयान्मोक्षः / तस्मात् कल्याणानां सर्वेषां भाजनं विनयः / / અર્થાત્ વિનયનું ફળ ગુરુસુશ્રુષા છે. ગુરુશુશ્રષાનું ફળ શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાનનું ફળ વિરતિ છે. વિરતિનું ફળ આસવનિરોધ છે. આસવનિરોધ એટલે કે સંવરનું ફળ તપોબલ છે. તપનું ફળ નિર્જરા છે. એનાથી ક્રિયાનિવૃત્તિ થાય છે. ક્રિયા-નિવૃત્તિથી અયોગિત્વ થાય છે. અયોગિત્વ એટલે કે યોગનિરોધથી ભવસંતતિ અર્થાતુ ભવપરંપરાનો ક્ષય થાય છે. એથી મોક્ષ પ્રાપ્ત થાય છે. આ રીતે વિનય સર્વ કલ્યાણોનું ભાજન છે. આ માટે જ “તત્ત્વામૃતમાં કહ્યું છે : ज्ञानभावनया जीवो लभते हितमात्मनः / विनयाचारसंपन्नो विषयेषु पराङमुखः / / (વિનયયુક્ત આચારવાળો તથા વિષયોથી વિમુખ થયેલો જીવ જ્ઞાનભાવના વડે પોતાનું હિત પ્રાપ્ત કરે છે.) आत्मानं भावयेन्नित्यं, ज्ञानेन विनयेन च / मा पुनर्मियमाणस्स पश्चात्तापो भविष्यति / / (જ્ઞાન અને વિનય વડે હંમેશાં આત્માનું ચિંતન-ભાવન કરવું જોઈએ, જેથી મરતી વખતે માણસને પશ્ચાતાપ કરવો પડે નહીં.)