Book Title: Vachanamrut 0704
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330826/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 704 લૌકિક દ્રષ્ટિ અને અલૌકિક દ્રષ્ટિમાં મોટો ભેદ છે રાળજ, ભાદરવા સુદ 8, 1952 લૌકિક દ્રષ્ટિ અને અલૌકિક દ્રષ્ટિમાં મોટો ભેદ છે. લૌકિક દ્રષ્ટિમાં વ્યવહારનું મુખ્યપણું છે, અને અલૌકિક દ્રષ્ટિમાં પરમાર્થનું મુખ્યપણું છે. મનુષ્યદેહનું જૈન અને બીજા બધા માર્ગમાં વિશેષપણું અને અમૂલ્યપણું કહ્યું છે તે સત્ય છે, પણ જો તેથી મોક્ષસાધન કરી શકાય તો જ તેનું વિશેષપણું અને અમૂલ્યપણું છે. મનુષ્યાદિ વંશની વૃદ્ધિ કરવી એ વિચાર લૌકિક દ્રષ્ટિનો છે; પણ મનુષ્યને યથાતથ્ય યોગ થયે કલ્યાણનો અવશય નિશ્ચય કરવો તથા પ્રાપ્તિ કરવી એ વિચાર અલૌકિક દ્રષ્ટિનો છે. જો એમ જ ઠરાવવામાં આવ્યું હોય કે ક્રમે કરીને જ સર્વ સંગ-પરિત્યાગ કરવો તો તે યથાસ્થિત વિચાર કહેવાય નહીં. કેમકે પૂર્વે કલ્યાણનું આરાધન કર્યું છે એવા કંઈક ઉત્તમ જીવો નાની વયથી જ ઉત્કૃષ્ટ ત્યાગ પામ્યા છે. શુકદેવજી, જડભરતાદિના પ્રસંગ બીજા દર્શનમાં તે અર્થે દ્રષ્ટાંતરૂપ છે. જો એવો જ નિયમ બાંધ્યો હોય કે ગૃહસ્થાશ્રમ આરાધ્યા વિના ત્યાગ થાય જ નહીં તો પછી તેવા પરમ ઉદાસીન પુરુષને ત્યાગનો નાશ કરાવી કામભોગમાં દોરવા બરાબર ઉપદેશ કહેવાય; અને મોક્ષસાધન કરવારૂપ જે મનુષ્યભવનું ઉત્તમપણું હતું, તે ટાળીને, સાધન પ્રાપ્ત થયે, સંસાર-સાધનનો હેતુ કર્યો કહેવાય. વળી એકાંતે એવો નિયમ બાંધ્યો હોય કે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમાદિ ક્રમે કરી આટલાં આટલાં વર્ષ સુધી સેવીને પછી ત્યાગી થવું તો તે પણ સ્વતંત્ર વાત નથી. તથારૂપ આયુષ્ય ન હોય તો ત્યાગનો અવકાશ જ ન આવે. વળી જો અપુત્રપણે ત્યાગ ન કરાય એમ ગણીએ તો તો કંઈકને વૃદ્ધાવસ્થા સુધીમાં પણ પુત્ર થતા નથી, તે માટે શું સમજવું ? જૈનમાર્ગનો પણ એવો એકાંત સિદ્ધાંત નથી કે ગમે તે વયમાં ગમે તેવા માણસે ત્યાગ કરવો; તથારૂપ સત્સંગ સદ્ગુરૂનો યોગ થયે, વિશેષ વૈરાગ્યવાન પુરુષ, સપુરુષને આશ્રયે ત્યાગ નાની વયમાં કરે તો તેથી તેણે તેમ કરવું ઘટારથ નથી એમ જિન સિદ્ધાંત નથી; તેમ કરવું યોગ્ય છે એમ જિન સિદ્ધાંત છે, કેમકે અપૂર્વ એવાં સાધનો પ્રાપ્ત થયે ભોગાદિ સાધનો ભોગવવાના વિચારમાં પડવું અને તેની પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરી તેને અમુક વર્ષ સુધી ભોગવવાં જ, એ તો જે મોક્ષસાધનથી મનુષ્યપણાનું ઉત્તમપણું હતું, તે ટાળી પશુવત કરવા જેવું થાય. ઇંદ્રિયાદિ શાંત થયાં નથી, જ્ઞાની પુરુષની દ્રષ્ટિમાં હજુ જે ત્યાગ કરવાને યોગ્ય નથી એવો મંદ વૈરાગ્યવાન અથવા મોહવૈરાગ્યવાનને ત્યાગ લેવો પ્રશસ્ત જ છે એમ કંઈ જિન સિદ્ધાંત નથી. Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રથમથી જ જેને સત્સંગાદિક જોગ ન હોય, તથા પૂર્વના ઉત્તમ સંસ્કારવાળો વૈરાગ્ય ન હોય તે પુરુષ કદાપિ આશ્રમપૂર્વક પ્રવર્તે તો તેથી તેણે એકાંતે ભૂલ કરી છે એમ ન કહી શકાય, જોકે તેણે પણ રાત્રિદિવસ ઉત્કૃષ્ટ ત્યાગની જાગૃતિ રાખતાં પૂર્વક ગૃહસ્થાશ્રમાદિ કરવું પ્રશસ્ત છે. ઉત્તમ સંસ્કારવાળા પુરુષો ગૃહસ્થાશ્રમ કર્યા સિવાય ત્યાગ કરે તેથી મનુષ્યપ્રાણીની વૃદ્ધિ અટકે, અને તેથી મોક્ષસાધનનાં કારણ અટકે એ વિચારવું અલ્પ દ્રષ્ટિથી યોગ્ય દેખાય, કેમકે પ્રત્યક્ષ મનુષ્યદેહ જે મોક્ષસાધનનો હેતુ થતો હતો તેને રોકીને પુત્રાદિની કલ્પનામાં પડી, વળી તેઓ મોક્ષસાધન આરાધશે જ એવો નિશ્ચય કરી તેની ઉત્પત્તિ માટે ગૃહાશ્રમમાં પડવું, અને વળી તેની ઉત્પત્તિ થશે એ પણ માની વાળવું; અને કદાપિ તે સંયોગો બન્યા તો જેમ હાલ પુત્રોત્પત્તિ માટે આ પુરુષને અટકવું પડ્યું હતું તેમ તેને પણ અટકવું થાય તેથી તો કોઈને ઉત્કૃષ્ટ ત્યાગરૂપ મોક્ષસાધન પ્રાપ્ત થવાનો જોગ ન આવવા દેવા જેવું થાય. વળી કોઈ કોઈ ઉત્તમ સંસ્કારવાન પુરુષોના ગૃહસ્થાશ્રમ પહેલાંના ત્યાગથી વંશવૃદ્ધિ અટકવાનો વિચાર લઈએ તો તેવા ઉત્તમ પુરુષના ઉપદેશથી અનેક જીવો જે મનુષ્યાદિ પ્રાણીનો નાશ કરતાં ડરતા નથી તેઓ ઉપદેશ પામી વર્તમાનમાં તેવી રીતે મનુષ્યાદિનો નાશ કરતાં કેમ ના અટકે ? તથા શુભવૃત્તિ પામવાથી ફરી મનુષ્યપણું કેમ ન પામે ? અને એ રીતે મનુષ્યનું રક્ષણ તથા વૃદ્ધિ પણ સંભવે. અલૌકિક દ્રષ્ટિમાં તો મનુષ્યની હાનિ વૃદ્ધિ આદિનો મુખ્ય વિચાર નથી; કલ્યાણ અકલ્યાણનો મુખ્ય વિચાર છે. એક રાજા જો અલૌકિક દ્રષ્ટિ પામે તો પોતાના મોહે હજારો મનુષ્યપ્રાણીનો યુદ્ધમાં નાશ થવાનો હેતુ દેખી ઘણી વાર વગર કારણે તેવાં યુદ્ધો ઉત્પન્ન ન કરે, તેથી ઘણા માણસોનો બચાવ થાય અને તેથી વંશવૃદ્ધિ થઈ ઘણા માણસો વધે એમ પણ વિચાર કેમ ન લઈ શકાય ? ઇંદ્રિયો અતૃપ્ત હોય, વિશેષ મોહપ્રધાન હોય, મોહવૈરાગ્યે માત્ર ક્ષણિક વૈરાગ્ય ઊગ્યો હોય અને યથાતથ્ય સત્સંગનો જોગ ન હોય તો તેને સાધુપણું આપવું પ્રાયે પ્રશસ્ત કહી ન શકાય, એમ કહીએ તો વિરોધ નહીં; પણ ઉત્તમ સંસ્કારવાળા અને મોહાંધ, એમણે સર્વેએ ગૃહસ્થાશ્રમ ભોગવીને જ ત્યાગ કરવો એવો પ્રતિબંધ કરતાં તો આયુષ્યાદિનું અનિયમિતપણું, પ્રાપ્ત જોગે તેને દૂર કરવાપણું એ આદિ ઘણા વિરોધથી મોક્ષસાધનનો નાશ કરવા બરાબર થાય, અને જેથી ઉત્તમપણું ઠરતું હતું તે ન થયું તો પછી મનુષ્યપણાનું ઉત્તમપણું પણ શું છે ? એ આદિ અનેક પ્રકારે વિચાર કરવાથી લૌકિક દ્રષ્ટિ ટળી અલૌકિક દ્રષ્ટિએ વિચારજાગૃતિ થશે. વડના ટેટા કે પીપળના ટેટાનું રક્ષણ પણ કંઈ તેના વંશવૃદ્ધિને અર્થે કરવાના હેતુથી અભક્ષ્ય કહ્યું નથી. તેમાં કોમળપણું હોય છે ત્યારે અનંતકાયપણાનો સંભવ છે. તેથી તથા તેને બદલે બીજી ઘણી ચીજોથી ચાલી શકે તેવું છે છતાં તે જ ગ્રહણ કરવી એ વૃત્તિનું ઘણું મુદ્રપણું છે, તેથી અભક્ષ્ય કહ્યાં છે, તે યથાતથ્ય લાગવા યોગ્ય છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ પાણીના ટીપામાં અસંખ્યાત જીવ છે એ વાત ખરી છે, પણ તેનું પાણી પીવાથી પાપ નથી એમ કહ્યું નથી. વળી તેને બદલે ગૃહસ્થાદિને બીજી વસ્તુથી ચાલી શકતું નથી તેથી અંગીકાર કરાય છે; પણ સાધુને તો તે પણ લેવાની આજ્ઞા પ્રાયે આપી નથી. જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાનીપુરુષનાં વચનને લૌકિક દ્રષ્ટિના આશયમાં ન ઉતારવા યોગ્ય છે અને અલૌકિક દ્રષ્ટિએ વિચારવા યોગ્ય છે. તે અલૌકિક દ્રષ્ટિનાં કારણો સામા જીવને હૈયે જો બેસાડી શકવાની શક્તિ હોય તો બેસાડવાં, નહીં તો પોતાનું એ વિષેમાં વિશેષ જાણપણું નથી એમ જણાવવું તથા મોક્ષમાર્ગમાં કેવળ લૌકિક વિચાર હોતો નથી એ આદિ કારણો યથાશક્તિ દર્શાવી બનતું સમાધાન કરવું, નહીં તો બને ત્યાં સુધી તેવા પ્રસંગથી દૂર રહેવું એ ઠીક છે.