Book Title: Vachanamrut 0223
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 223 હું કર્તા, હું મનુષ્ય, હું સુખી, હું દુઃખી એ વગેરે પ્રકારથી રહેલું દેહાભિમાન, તે જેનું ગળી ગયું છે, અને સર્વોત્તમ પદરૂપ પરમાત્માને જેણે જાણ્યો છે, તેનું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને સમાધિ જ છે મુંબઈ, ફાગણ વદ 14, બુધ, 1947 देहाभिमाने गलिते, विज्ञाते परमात्मनि। यत्र यत्र मनो याति, तत्र तत्र समाधयः।। હું કર્તા, હું મનુષ્ય, હું સુખી, હું દુઃખી એ વગેરે પ્રકારથી રહેલું દેહાભિમાન, તે જેનું ગળી ગયું છે, અને સર્વોત્તમ પદરૂપ પરમાત્માને જેણે જાણ્યો છે, તેનું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને સમાધિ જ છે. આપના પત્ર ઘણી વાર વિગતથી મળે છે, અને તે પત્રો વાંચી પ્રથમ તો સમાગમમાં જ રહેવાની ઇચ્છા થાય છે. તથાપિ .... કારણથી તે ઇચ્છાનું ગમે તે પ્રકારે વિસ્મરણ કરવું પડે છે; અને પત્રનો સવિગત ઉત્તર લખવા ઇચ્છા થાય છે, તો તે ઇચ્છા પણ ઘણું કરીને ક્વચિત જ પાર પડે છે. એનાં બે કારણ છે. એક તો એ વિષયમાં અધિક લખવા જેવી દશા રહી નથી તે; અને બીજું કારણ ઉપાધિયોગ. ઉપાધિયોગ કરતાં વર્તતી દશાવાળું કારણ અધિક બળવાન છે; જે દશા બહુ નિ:સ્પૃહ છે; અને તેને લીધે મન અન્ય વિષયમાં પ્રવેશ કરતું નથી, અને તેમાં પણ પરમાર્થ વિષે લખતાં કેવળ શૂન્યતા જેવું થયા કરે છે, એ વિષયમાં લેખનશક્તિ તો એટલી બધી શૂન્યતા પામી છે; વાણી પ્રસંગોપાત્ત હજુ એ વિષયમાં કેટલુંક કાર્ય કરી શકે છે, અને તેથી આશા રહે છે કે સમાગમમાં જરૂર ઈશ્વર કૃપા કરશે. વાણી પણ જેવી આગળ ક્રમપૂર્વક વાત કરી શકતી, તેવી હવે લાગતી નથી; લેખનશક્તિ શૂન્યતા પામ્યા જેવી થવાનું કારણ એક એવું પણ છે કે ચિત્તમાં ઊગેલી વાત ઘણા નયયુક્ત હોય છે, અને તે લેખમાં આવી શકતી નથી, જેથી ચિત્ત વૈરાગ્ય પામી જાય છે. આપે એક વાર ભક્તિના સંબંધમાં પ્રશ્ન કર્યું હતું, તે સંબંધમાં વધારે વાત તો સમાગમ થઈ શકે તેમ છે. અને ઘણું કરીને બધી વાતને માટે સમાગમ ઠીક લાગે છે. તોપણ ઘણો જ ટૂંકો ઉત્તર લખું છું. પરમાત્મા અને આત્માનું એકરૂપ થઈ જવું (!) તે પરાભક્તિની છેવટની હદ છે. એક એ જ લય રહેવી તે પરાભક્તિ છે. પરમમહાગ્યા ગોપાંગનાઓ મહાત્મા વાસુદેવની ભક્તિમાં એ જ પ્રકારે રહી હતી; પરમાત્માને નિરંજન અને નિર્દેહરૂપે ચિંતવ્ય જીવને એ લય આવવી વિકટ છે. એટલા માટે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે, એવો દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે. તે જ્ઞાનીપુરુષનાં સર્વ ચરિત્રમાં ઐક્યભાવનો લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માનો ઐક્યભાવ હોય છે; અને એ જ પરાભક્તિ છે. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી; અને જે કોઈ અંતર માને છે, તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. જ્ઞાની તો પરમાત્મા જ છે, અને તેના ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી, માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહધારી દિવ્ય મૂર્તિ - જ્ઞાનીરૂપ પરમાત્માની - ને નમસ્કારાદિ ભક્તિથી

Loading...

Page Navigation
1