Page #1
--------------------------------------------------------------------------
________________ 223 હું કર્તા, હું મનુષ્ય, હું સુખી, હું દુઃખી એ વગેરે પ્રકારથી રહેલું દેહાભિમાન, તે જેનું ગળી ગયું છે, અને સર્વોત્તમ પદરૂપ પરમાત્માને જેણે જાણ્યો છે, તેનું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને સમાધિ જ છે મુંબઈ, ફાગણ વદ 14, બુધ, 1947 देहाभिमाने गलिते, विज्ञाते परमात्मनि। यत्र यत्र मनो याति, तत्र तत्र समाधयः।। હું કર્તા, હું મનુષ્ય, હું સુખી, હું દુઃખી એ વગેરે પ્રકારથી રહેલું દેહાભિમાન, તે જેનું ગળી ગયું છે, અને સર્વોત્તમ પદરૂપ પરમાત્માને જેણે જાણ્યો છે, તેનું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને સમાધિ જ છે. આપના પત્ર ઘણી વાર વિગતથી મળે છે, અને તે પત્રો વાંચી પ્રથમ તો સમાગમમાં જ રહેવાની ઇચ્છા થાય છે. તથાપિ .... કારણથી તે ઇચ્છાનું ગમે તે પ્રકારે વિસ્મરણ કરવું પડે છે; અને પત્રનો સવિગત ઉત્તર લખવા ઇચ્છા થાય છે, તો તે ઇચ્છા પણ ઘણું કરીને ક્વચિત જ પાર પડે છે. એનાં બે કારણ છે. એક તો એ વિષયમાં અધિક લખવા જેવી દશા રહી નથી તે; અને બીજું કારણ ઉપાધિયોગ. ઉપાધિયોગ કરતાં વર્તતી દશાવાળું કારણ અધિક બળવાન છે; જે દશા બહુ નિ:સ્પૃહ છે; અને તેને લીધે મન અન્ય વિષયમાં પ્રવેશ કરતું નથી, અને તેમાં પણ પરમાર્થ વિષે લખતાં કેવળ શૂન્યતા જેવું થયા કરે છે, એ વિષયમાં લેખનશક્તિ તો એટલી બધી શૂન્યતા પામી છે; વાણી પ્રસંગોપાત્ત હજુ એ વિષયમાં કેટલુંક કાર્ય કરી શકે છે, અને તેથી આશા રહે છે કે સમાગમમાં જરૂર ઈશ્વર કૃપા કરશે. વાણી પણ જેવી આગળ ક્રમપૂર્વક વાત કરી શકતી, તેવી હવે લાગતી નથી; લેખનશક્તિ શૂન્યતા પામ્યા જેવી થવાનું કારણ એક એવું પણ છે કે ચિત્તમાં ઊગેલી વાત ઘણા નયયુક્ત હોય છે, અને તે લેખમાં આવી શકતી નથી, જેથી ચિત્ત વૈરાગ્ય પામી જાય છે. આપે એક વાર ભક્તિના સંબંધમાં પ્રશ્ન કર્યું હતું, તે સંબંધમાં વધારે વાત તો સમાગમ થઈ શકે તેમ છે. અને ઘણું કરીને બધી વાતને માટે સમાગમ ઠીક લાગે છે. તોપણ ઘણો જ ટૂંકો ઉત્તર લખું છું. પરમાત્મા અને આત્માનું એકરૂપ થઈ જવું (!) તે પરાભક્તિની છેવટની હદ છે. એક એ જ લય રહેવી તે પરાભક્તિ છે. પરમમહાગ્યા ગોપાંગનાઓ મહાત્મા વાસુદેવની ભક્તિમાં એ જ પ્રકારે રહી હતી; પરમાત્માને નિરંજન અને નિર્દેહરૂપે ચિંતવ્ય જીવને એ લય આવવી વિકટ છે. એટલા માટે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે, એવો દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે. તે જ્ઞાનીપુરુષનાં સર્વ ચરિત્રમાં ઐક્યભાવનો લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માનો ઐક્યભાવ હોય છે; અને એ જ પરાભક્તિ છે. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી; અને જે કોઈ અંતર માને છે, તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. જ્ઞાની તો પરમાત્મા જ છે, અને તેના ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી, માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહધારી દિવ્ય મૂર્તિ - જ્ઞાનીરૂપ પરમાત્માની - ને નમસ્કારાદિ ભક્તિથી
Page #2
--------------------------------------------------------------------------
________________ માંડી પરાભક્તિના અંત સુધી એક લયે આરાધવી, એવાં શાસ્ત્રલક્ષ છે. પરમાત્મા આ દેહધારીરૂપે થયો છે એમ જ જ્ઞાની પુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે ભક્તિ ઊગે છે, અને તે ભક્તિ ક્રમે કરી પરાભક્તિરૂપ હોય છે. આ વિષે શ્રીમદ ભાગવતમાં, ભગવદગીતામાં ઘણા ભેદ પ્રકાશિત કરી એ જ લક્ષ્ય પ્રશસ્યો છે; અધિક શું કહેવું ? જ્ઞાની તીર્થંકરદેવમાં લક્ષ થવા જૈનમાં પણ પંચપરમેષ્ઠી મંત્રમાં “નમો અરિહંતાણં” પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યો છે, એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ; અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે. બીજું એક પ્રશ્ન (એકથી અધિક વાર) આપે એમ લખ્યું હતું કે વ્યવહારમાં વેપારાદિ વિષે આ વર્ષ જેવું જોઈએ તેવું લાભરૂપ લાગતું નથી; અને કઠણાઈ રહ્યા કરે છે. પરમાત્માની ભક્તિ જ જેને પ્રિય છે, એવા પુરુષને એવી કઠણાઈ ન હોય તો પછી ખરા પરમાત્માની તેને ભક્તિ જ નથી એમ સમજવું. અથવા તો ચાહીને પરમાત્માની ઇચ્છારૂપ માયાએ તેવી કઠણાઈ મોકલવાનું કાર્ય વિસ્મરણ કર્યું છે. જનક વિદેહી અને મહાત્મા કૃષ્ણ વિષે માયાનું વિસ્મરણ થયું લાગે છે, તથાપિ તેમ નથી. જનક વિદેહીની કઠણાઈ વિષે કંઈ અત્ર કહેવું જોગ નથી, કારણ કે તે અપ્રગટ કઠણાઈ છે, અને મહાત્મા કૃષ્ણની સંકટરૂપ કઠણાઈ પ્રગટ જ છે, તેમ અષ્ટમહાસિદ્ધિ અને નવનિધિ પણ પ્રસિદ્ધ જ છે; તથાપિ કઠણાઈ તો ઘટારત જ હતી, અને હોવી જોઈએ. એ કઠણાઈ માયાની છે; અને પરમાત્માના લક્ષની તો એ સરળાઈ છે, અને એમ જ હો. xxx રાજાએ વિકટ તપ કરી પરમાત્માનું આરાધન કર્યું, અને દેહધારીરૂપે પરમાત્માએ તેને દર્શન આપ્યું અને વર માગવા કહ્યું ત્યારે xxx રાજાએ માગ્યું કે હે ભગવાન ! આવી જે રાજ્યલક્ષ્મી મને આપી છે તે ઠીક જ નથી, તારો પરમ અનુગ્રહ મારા ઉપર હોય તો પંચવિષયના સાધનરૂપ એ રાજ્યલક્ષ્મીનું ફરીથી મને સ્વપ્ન પણ ન હો, એ વર આપ. પરમાત્મા દિંગ થઈ જઈ ‘તથાસ્તુ' કહી સ્વધામ ગત થયા. કહેવાનો આશય એવો છે કે એમ જ યોગ્ય છે. કઠણાઈ અને સરળાઈ, શાતા અને અશાતા એ ભગવદ્ભક્તને સરખાં જ છે, અને વળી કઠણાઈ અને અશાતા તો વિશેષ અનુકૂળ છે કે જ્યાં માયાનો પ્રતિબંધ દર્શનરૂપ નથી. આપને તો એ વાર્તા જાણવામાં છે; તથાપિ કુટુંબાદિકને વિષે કઠણાઈ હોવી ઘટારત નથી એમ ઊગતું હોય તો તેનું કારણ એ જ છે કે પરમાત્મા એમ કહે છે, કે તમે તમારા કુટુંબ પ્રત્યે નિઃસ્નેહ હો, અને તેના પ્રત્યે સમભાવી થઈ પ્રતિબંધ રહિત થાઓ; તે તમારું છે એમ ન માનો, અને પ્રારબ્ધયોગને લીધે એમ મનાય છે, તે ટાળવા આ કઠણાઈ મેં મોકલી છે. અધિક શું કહેવું ? એ એમ જ છે.