Book Title: Jain Darshan Ane Gandhi Vichardhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 90
________________ જૈનદર્શન અને ગાંધી વિચારધારા સત્યને સાગરની ઉપમા આપી શકાય, કારણ કે તેમાં સાગરની જેમ અગાધતા અને ઊંડાણ હોય. જેમ કૂવામાં પાણી ભરવા માટે ઘડો ઉતારવામાં આવે, એમાં પાણી ભરાઈ ગયા પછી રસ્સીથી ઉપર લાવવા ખેંચીએ પણ પાણીની સપાટીથી નીચે હોય ત્યાં સુધી ખેંચવામાં વજન ન લાગે, તેમ સત્ય અગાધ અને ઊંડાણવાળું હોવાથી સત્ય આચરનારને બોજ ન લાગે ! હળવાયફૂલ રહે ! સત્ય બોલનારને પહેલા શું બોલ્યા હતા તે યાદ રાખવું ન પડે, તેથી ટેન્શન ફ્રી રહી શકે. અચૌર્ય :- અહિંસાના પાયા પર ઊભેલી ઈમારતનું આ ત્રીજું સ્ટેપ છે. અહિંસાના સામ્રાજ્યમાં ચોરી થાય એ અસંભવ છે. ચોરી માટે જૈનપરિભાષાનો શબ્દ છે - અદત્તાદાન :- અદત્ત - જે કોઈએ આપ્યું નથી, તેનું આદાન-ગ્રહણ કરવું. અર્થાત્ અન્યની વસ્તુ આદિ પર માલિકીભાવ રાખવો તે ચોરી. તેનાથી અટકવું તે અચૌર્ય. બ્રહ્મચર્ય :- અહિંસા, સત્ય, અચૌર્ય ગુણો હોય ત્યાં સાત્ત્વિકતા પ્રગટે. આત્મા સ્વસ્વરૂપમાં લીન રહે, બ્રહ્મભાવમાં રમણતા તે બ્રહ્મચર્ય. વિષયવાસનાથી ઉપર ઉઠી આત્મગુણોમાં સ્થિરતા આવે. ભૌતિક જગતના રંગરાગથી પર રહી ઈન્દ્રિયવિજેતા બની આંતરજગતમાં સ્થિત થાય. અહિંસાના આરાધક, સત્યના ચાહક, અચૌર્યગુણના ઉપાસક અને બ્રહ્મત્વના સાધક આત્માને અપરિગ્રહ ભાવ, નિષ્પરિગ્રહીપણું સહજ આવી જાય. પરિગ્રહ = મૂર્છાભાવ, આસક્તિભાવ, મમત્વ, મારાપણાના ભાવ. વ્યક્તિ માત્ર પોતાની જ નહીં, પરિવારની, સાત પેઢીની, જેને મારા માન્યા તેની ચિંતા કરે, સુખસુવિધા માટે ધન, સોનુ, ચાંદી, જમીન જાયદાદ આદિ (૧૭૯) જૈનદર્શન અને ગાંધી વિચારધારા પરિગ્રહ એકત્ર કરવા સતત પ્રયત્નશીલ રહે અર્થાત્ વ્યવસાયમાં જ ગુંચવાયેલા રહે, પરંતુ અહિંસાથી પ્રભાવિત, પ્રતિષ્ઠિત આત્મા, જેના લોહીના બુંદેબુંદમાં અહિંસા પ્રવાહિત હોય તે બાહ્ય તથા આત્યંતર પરિગ્રહથી દૂર રહે. ઉપરોક્ત પાંચ (૧) અહિંસા (૨) સત્ય (૩) અચૌર્ય (૪) બ્રહ્મચર્ય (૫) અપરિગ્રહ - એ જિનધર્મના ધબકતા પ્રાણ છે, પાયાના મુખ્ય સિદ્ધાંતો છે. શ્રાવક ધર્મમાં આ પાંચેયનું ગરિમાયુક્ત ‘અણુવ્રત’ તરીકેનું સ્થાન છે. તેમજ સાધુધર્મમાં આ પાંચેયનું મહિમાભર્યું ‘મહાવ્રત’ તરીકેનું સ્થાન છે. આ પાંચેયનું પાલન કરવા શ્રાવકનું દેશવિરતિચારિત્ર અને સર્વથા પાલન કરવાથી સાધુનું સર્વવિરતિચારિત્ર છે. તીર્થંકરો કેવળજ્ઞાન (માત્ર જ્ઞાનદશા) થી ત્રણ કાળના, ત્રણ લોકના સર્વ ભાવોને જાણતા હોવાથી કેટકેટલી બાબતો આગમરૂપે પ્રરૂપી છે. જિનધર્મની પ્રત્યેકવાતોનો ઉલ્લેખ પણ અત્ર આપણે કરી ન શકીએ. માત્ર જિનધર્મના હાર્દ સમાન મુખ્ય પાંચ સિદ્ધાંતો જ જોઈ રહ્યા છીએ. અહિંસાદિ પાંચેય સિદ્ધાંતો માત્ર ને માત્ર જિનધર્મની જ દેન છે. હા, અન્ય (૨) ધર્મો ક્વચિત્ કદાચિત્ એક-બે સિદ્ધાંતોનું આંશિક પાલન જણાય. આ છે મહામૂલા, મોંઘેરા જિનધર્મનું માહાત્મ્ય ! અને પ્રાયઃ જિનના અનુયાયીઓ – જૈનો જ આમનું પાલન કરતા હોય છે. સદ હામિ, પતિયામિ, રોએમિ, ફાસેમિ, પાલેમિ, અણુપાલેમ .... આદિ છ એ કેટેગરીથી જૈનો શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ, સ્પર્શના, પાલન, અનુપાલન કરતા હોય છે. આપણને તો જન્મથી, ગળથૂથીમાંથી આ ધર્મના સંસ્કારો મળ્યા અને યથાશક્તિ પાળીએ... પરંતુ, “સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરરી રિસર્ચ સેન્ટર, મુંબઈ” આયોજિત “જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૧૩” માં પ્રસ્તુત વિષય બહુ મજાનો છે. (૧૮૦)

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94