________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેદકાલીન શૂદ્ર
કાન્તિલાલ રા. દવે
‘શુvશ્વનું સર્વે અમૃતસ્ય પુત્ર:' એવા સિંહનાદથી સમસ્ત માનવજાત સાથે સીમાતીત, કાલાતીત અને ધર્માતીત તાદામ્ય સાધતી ભવ્ય ભારતીય સંસ્કૃતિ એની અનેક વિશિષ્ટતાઓ માટે વિશ્વપ્રસિદ્ધ છે. ચાતુર્વણ્ય-વ્યવસ્થા ભારતીય સંસ્કૃતિની આવી જ એક મહત્ત્વપૂર્ણ વિશિષ્ટતા છે, જે છેક ઋગ્લેદકાળથી અદ્યાપિપર્યન્ત કોઈને કોઈ સ્વરૂપે વિદ્યમાન રહેલી જોવા મળે છે.
વેદકાળમાં ચાતુર્વર્યનું અસ્તિત્વ :
અલબત્ત આની સામે, વેદના સમયમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એવા ચાર વિભાગ નહોતા, એવો પ્રૉ. રોથ, ડૉ. મુર, મિ. દત્ત વગેરે વિદ્વાનોનો મત છે. પણ પ્રૉ. કર્ન અને ડૉ. હોંગ આ મત સાથે સંમત થતા નથી. ડૉ. હોગના મતે વેદકાળમાં આવા ચાતુર્વણ્યના વિભાગ ચોક્કસ પડી ગયા હતા. એ વિભાગ પાછલા સમયના જેવા સખત ન હતા, એ વાત ખરી, પણ એ વિભાગ હતા જ નહીં એમ કહેવું ભૂલભરેલું છે. પ્રૉ. કર્ન ડૉ. હોંગ સાથે સંમત થતા વિશેષમાં એવું જણાવે છે કે “પુરુષસૂક્ત' મોડું રચાયેલું એ વાત કબૂલ રાખીએ તો પણ, ચાતુર્વર્ય વિશે જેમાં કથન કરવામાં આવ્યું છે, તે મંત્ર ઉપરથી જણાય છે કે ચાર વર્ણો કંઈ નવા અસ્તિત્વમાં આવ્યા નહોતા, પણ વર્ણો એટલા જુના થઈ ગયા હતા કે તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ તેનું કોઈને સ્મરણ રહ્યું નહોતું. “પુરુષસૂક્ત'ના આ એક મંત્ર સિવાય સંહિતામાં બીજે કોઈ ઠેકાણે ચાતુર્વર્ય વિશે કથન કરવામાં નથી આવ્યું, એ વાત સ્વીકારીને પણ બંને કહે છે કે, યજ્ઞને માટેનાં સૂક્તોની જે “સંહિતાઓ” તૈયાર કરવામાં આવી. તેમાં ચાતુર્વર્ય વિશે વારંવાર કથન કરવાનો પ્રસંગ જ કયાંથી આવે ?'
ઋગ્વદ સહિતના ચાર વેદો, બ્રાહ્મણો અને આરણ્યક-ઉપનિષદોના બનેલા વૈદિક સાહિત્યમાં ચાતુવર્ય વિશે મળતા ઉલ્લેખોના આધારે એમ કહી શકાય તેમ છે કે, કે વેદના સમયમાં ચાતુર્વણ્યના વિભાગ ચોક્કસ પડી ચૂકયા હતા. પ્રૉ. મૅકડૉનલ જણાવે છે તેમ, ચાતુર્વર્યની ચોક્કસ વ્યવસ્થા બ્રાહ્મણગ્રંથોના સમયમાં થઈ જેના ઉપર હાલની વાતોનું અત્યંત ગૂંચવણભરેલું જાળીકામ કરવામાં આવ્યું તે ખોખું એ સમયમાં જ તૈયાર થયું હતું.'
| ઋગ્વદના પુરુષસૂક્ત (૧૦૯૦/૧૨)માં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચારે વર્ણોનો સર્વપ્રથમ ઉલ્લેખ થયો છે, જ્યાં વૈદિક ઋષિએ સમાજને પુરુષનું રૂપક આપીને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રોને ક્રમશઃ એના મુખ, બાહ, ઉરુ અને ચરણમાંથી ઉત્પન્ન થતા દર્શાવ્યા છે. આમ અહીં શુદ્રનો ઉલ્લેખ “ચતુર્થ વર્ણ'ના રૂપમાં થયો છે.
“સ્વાધ્યાય', પૃ. ૩૫, અંક ૧-૨, વસંતપંચમી-અક્ષયતૃતીયા અંક, ફેબ્રુઆરી-મે ૧૯૯૮, પૃ. ૧-૮,
અનુ. સંસ્કૃત વિભાગ, સ.પ. યુનિ., વલ્લભ વિદ્યાનગર. મૅકડોનલ એ.. સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ, ગુજરાતી અનુવાદક, પ્રા. મો: પા. દવે, પોપ્યુલર પ્રકાશન, સૂરત, ૧૯૬૮, દ્વિતીય આવૃત્તિમાં દ્વિતીય પ્રકરણના અંતે અનુવાદકની વિસ્તૃત ટિપ્પણ, પૃ. ૪૩-૪૫. એજન, પૃ. ૩૭.
For Private and Personal Use Only