________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચીજોના વપરાશની અપીલો થઈ. તે વખતે એમ જાહેર થયું કે ગાંધીજી તોફાનની જાતમાહિતી મેળવવા દિલ્હી જવા ઊપડ્યા છે. તા. ૧૦ મીએ ગાંધીજીના મંત્રી મહાદેવભાઈ દેસાઈનો તાર આવ્યો. ‘ગાંધીજીની ધરપકડ થઈ છે.” તારનો અનુવાદ કરી પત્રિકાઓ વહેંચાય તે પહેલાં તો શહેરમાં વીજળીવેગે સમાચાર ફેલાઈ ગયા. મજૂરો મિલોમાંથી બહાર આવ્યા. દુકાનો ટપોટપ બંધ થવા માંડી. ટોળાં રસ્તા પર ભેગાં થઈ વાહનોમાંથી લોકોને ઉતારી મૂકતા હતાં. બે યુરોપિયન સમ્સ અને સ્ટેપે ગાડીમાંથી ઊતરવાની ના પાડી અને ગાંધીજી માટે અણછાજતા શબ્દો ‘ડેમ ગાંધી’ ઉચ્ચાર્યા એટલે લોકો ઉશ્કેરાયા, બંનેને પથ્થરો મારી ભગાડી મૂક્યા. તેમાંથી એક છમકલું થયું અને પોલીસે ગોળીબાર કર્યો. એક હિન્દી પોલીસને અથડામણમાં ઈજા થઈ અને પાછળથી તેનું અવસાન થયું. રિચી રોડ (ગાંધી માર્ગ પર, પાનકોરનાકા અને બાલા હનુમાન પાસે બેથી ત્રણ હજારનું ટોળું એકઠું થયું અને સશસ્ત્ર પોલીસ પર પથ્થર ફેંકાયા. વલ્લભભાઈ પટેલ, ઇન્દુલાલ યાજ્ઞિક વગેરે નેતાઓ શાંતિ જાળવવા શહેરમાં ફરી વળ્યા અને તોફાન અટક્યું. લોકો શાંતિથી વિખેરાઈ ગયા. સાંજે નદીની રેતમાં સભા થઈ. વલ્લભભાઈ પટેલ, ઇન્દુલાલ યાજ્ઞિક અને કસ્તૂરભાઈએ સભામાં સંબોધન કર્યું. પ્રજાને શાંતિ જાળવવાનો અને બીજે દિવસે કામે ચડી જવાનો શહેરીજનોને અનુરોધ કર્યો. પણ છતાં બીજે દિવસે દાવાનળ સળગ્યો. ટોળાં વીફર્યા, ગ્યાસતેલથી સરકારી ઓફિસો, કચેરીઓ સળગાવી. આજના લાલ દરવાજા પાસેના મેદાનમાં પહેલી જ વાર મેટ્રિકની પરીક્ષા માટે મંડપ બંધાયો હતો તેને આગ ચાંપવામાં આવી. સરકારની ૫૧ કચેરીઓ તોડી, દરવાજાઓની ભાંગફોડ કરી ટેલિફોન વાયરો કાપી નાખ્યા, વીજળીના ગોળાના ભુક્કા બોલાવ્યા. સ્વામિનારાયણ અને ગોસાઈજી મહારાજના મંદિરો પર દરોડો પાડી બંદૂકો અને અન્ય શસ્ત્રો લૂંટ્યાં. બાલા હનુમાન પાસે એક બ્રિટિશ સાર્જન્ટ કેઝરને ગોળીએ દીધો. કલેકટરના અંગત મદદનીશ રાવબહાદુર બુલાખીદાસ અને નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર ખાનબહાદુર હુસેનમિયાનાં મકાનો લૂંટી લીધાં અને બુલાખીદાસે તો સ્ત્રીઓનાં કપડાં પહેરી નાસવું પડ્યું. શહેરની તમામ પોલીસ ચોકીઓના ભુક્કા બોલાવાયા. દારૂની દુકાનો લૂંટી લેવાઈ. લૂંટારાઓએ પિવાય તેટલો પીધો અને બીજો રસ્તા પર ઢોળી દીધો. હિન્દી સિપાઈઓને યુનિફોર્મ ઉતારવાની ફરજ પાડવામાં આવી. અમદાવાદના કલેકટરે તોફાનમાં થયેલા નુકસાન બદલ લોકોનો રૂ. ૮,૮૬, ૬૦ની રકમનો સામૂહિક દંડ કર્યો. આમ આખું અમદાવાદ શહેર અરાજકતામય બની ગયું. સરકારે લશ્કરી કાયદો જાહેર કર્યો. આખું શહેર લશ્કરને હવાલે કરવામાં આવ્યું. ગાંધીજીને જાણ થતાં તેઓ ૧૩ એપ્રિલ, ૧૯૧૯ ના રોજ અમદાવાદ આવી પહોંચ્યા. કમિશ્નર, કલેકટર ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસને મળ્યા અને હુલ્લડ અંગે દિલગીરી વ્યક્ત કરી. એ દિલગીરીના ભાગરૂપે બોતેર કલાકના ઉપવાસ આરંભ્યા. આખા શહેરમાં માર્શલ લો હતો એટલે શહેરમાં સભા થઈ શકે તેમ ન હતી. એ વખતે સાબરમતી આશ્રમ અમદાવાદ નગરપાલિકાની હદ બહાર હતો. એટલે સાંજના ચાર વાગ્યે ગાંધીજીએ સાબરમતી આશ્રમમાં જાહેરસભા ભરી જેમાં વલ્લભભાઈ પટેલે ગાંધીજીનું ભાષણ વાંચી સંભળાવ્યું. વીસ હજાર જેટલા માણસોની આ જાહેરસભામાં ગાંધીજીએ લોકોને સખત ઠપકો આપ્યો અને પ્રજાને કામે ચડી જવા અપીલ કરી.
આમ છતાં અમદાવાદ શહેર અને જિલ્લામાં સ્વદેશી ચળવળ, રાષ્ટ્રીય કેળવણી અને સંગઠન અંગેની જેહાદ ચાલુ રહી હતી. ૧૯૧૯ ના નવેમ્બરમાં સુરત મુકામે મળેલ ગુજરાત રાજકીય પરિષદના ત્રીજા અધિવેશનમાં શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકને ખેડૂત મંડળોના સંગઠનની કામગીરી સોંપાઈ હતી. સરદાર પટેલે પણ ખેડૂત મંડળો સ્થાપવાના સૂચનનો સહર્ષ સ્વીકાર કર્યો હતો. પરિણામે અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના ખેડૂતોનું મંડળ રચવા ૬ ફેબ્રુઆરી, ૧૯૨૦ ના રોજ દસ્ક્રોઈ તાલુકાના જેતલપુર ગામે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે વખતે નિયમિત વાહનોની સગવડ ન હોવાને કારણે વલ્લભભાઈ પટેલ ખાસ મોટરમાં જેતલપુર આવ્યા. આશરે ત્રીસેક ગામના એક હજાર ખેડૂતો જેતલપુરની આ સભામાં હાજર રહ્યા હતા. વલ્લભભાઈ પટેલના પ્રમુખપદે મળેલ આ સભામાં ડૉ. હરિપ્રસાદ દેસાઈ, શ્રી હરિપ્રસાદ મહેતા, શ્રી મોહનલાલ પંડ્યા વગેરે નેતાઓ હાજર રહ્યા હતા.
પથિક કે નૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ % ૬
For Private and Personal Use Only