________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વાતંત્ર્ય સંગ્રામમાં અમદાવાદ જિલ્લો
ડૉ. મહેબૂબ દેસાઈ ૧. ભૂમિકા
ગુજરાતનો અમદાવાદ જિલ્લો રાજયનો અગિયારમા નંબરને મોટામાં મોટો જિલ્લો છે. ૮૭૦૭ ચોરસ કિલોમિટરનો વિસ્તાર ધરાવતો આ જિલ્લો સાત તાલુકાઓનો બનેલો છે : અમદાવાદ સિટી તાલુકો, દસ્કોઈ, ધોળકા, ધંધુકા, સાણંદ, વિરમગામ અને દહેગામ. જોકે અમદાવાદ જિલ્લાનું મુખ્ય શહેર અમદાવાદ એક સમયે ગુજરાત રાજયનું પાટનગર હતું. એથી પણ આગળ જઈએ તો મુઘલ શાસકો અને એ પછી આવેલા અંગ્રેજ શાસકો માટે અમદાવાદ શહેર ગુજરાતનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. પરિણામે ભારતની નાની-મોટી ઘટનાઓનો પ્રથમ પ્રતિસાદ ઝીલવામાં અમદાવાદ અગ્ર રહ્યું છે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તો અમદાવાદનું સ્થાન ગાંધીજીની કર્મભૂમિ તરીકે નોંધાયેલું છે અને એટલે જ જયારે જયારે સ્વાતંત્ર્ય સંગ્રામનો ઘંટ વાગ્યો છે ત્યારે ત્યારે એ સંગ્રામને દિશા ચીંધવામાં અમદાવાદ અને તેના નેતાઓએ નોંધપાત્ર ભાગ ભજવ્યો છે. એ નાતે સ્વાતંત્ર્ય યુગમાં અમદાવાદ શહેર અને જિલ્લાના તાલુકાઓની ગાથા ઇતિહાસમાં ઘાટા અક્ષરોમાં નોંધાયેલી છે. ૨. ૧૮૫૭નો યુગ
ગુજરાતમાં સિપાઈઓએ સૌથી પ્રથમ વિદ્રોહ અમદાવાદમાં કર્યો હતો. અમદાવાદમાં સાતમી રેજિમેન્ટ ખુલ્લો બળવો કરે અને શહેરને હસ્તગત કરી લેવાય પછી બાપુરાવ ગાયકવાડ પોતાને ગુજરાતનો સરસેનાપતિ જાહેર કરી દે, એવી યોજના ઘડાઈ હતી. જનરલ રૉબર્ટ સુધી આ યોજનાની વાત ગમે તે રીતે પહોંચી ગઈ. પરિણામે સાતમી રેજિમેન્ટના હિન્દુ સૂબેદારનાં તમામ શસ્ત્રો આંચકી લેવામાં આવ્યાં.' જો કે આને લીધે અમદાવાદના સૈનિકોને અંગ્રેજ શાસકો પ્રત્યેનો આક્રોશ ઘટવાને બદલે વધ્યો. અમદાવાદના અનિયતકાલ અશ્વારોહીદળના સાત સૈનિકોએ અંગ્રેજો સામે વિદ્રોહ કર્યો અને જોરથી છાવણીમાં એલાન કર્યું : “મૂઆઓ, ફિરંગીઓ આપણને હડપ કરી રહ્યા છે'. આ જાહેરાત બીજા સૈનિકોને પણ તેમની સાથે જોડવા પ્રેરણા આપી. પણ અંગ્રેજ સત્તાની તાકાત સામે થોડાક સૈનિકો ઝાઝું ન ટકી શક્યા એટલે સાતે સૈનિકો છાવણી છોડી ભાગ્યા. સરખેજ તરફ મારતે ઘોડે આગળ વધ્યા. અંગ્રેજ ફોજનાં દળોએ તેમનો પીછો કર્યો. અમદાવાદ-ધોળકા માર્ગે તાજપુર નામના ગામ પાસે અંગ્રેજ ફોજે તેમને આંતર્યા અને બંને વચ્ચે યુદ્ધ ખેલાયું. આ સમયે અંગ્રેજ ફોજના ભારતીય સૈનિકોએ આ સાતેય સા ના પાડી દીધી. પણ અંગ્રેજ કેપ્ટન ટેઇલરે તો આ સાતેયને જેર કરવાનું બીડું ઝડપ્યું હતું. એટલે સાતેય પર અંગ્રેજ સૈનિકો તૂટી પડ્યા. અત્યંત વીરતાથી સાતેય. સૈનિકોએ સામનો કર્યો. અંતે સાતમાંથી બે સૈનિકો શહીદ થયા અને પાંચને લશ્કરે પકડી લીધા. એ પાંચ પર લશ્કરી અદાલતમાં કેઈસ ચાલ્યો અને તેમને ફાંસીની સજા થઈ. ૧૪ સપ્ટેમ્બર ૧૮૫૭ના રોજ પાંચે સૈનિકોને ફાંસીને માચડે લટકાવી દેવામાં આવ્યા. આ ઘટનાની જાણ અન્ય અમદાવાદની છાવણીઓમાં પણ થઈ. અંગ્રેજોની ગુલામીને ત્યાગ કરી શસ્ત્રાગારનો ભંડાર રેઢો મૂકી ભારતીય સૈનિકો ચાલ્યા ગયા. કેપ્ટન ગ્રીસે એ શસ્ત્રોનો કબજો વેળાસર લઈ લીધો અને શસ્ત્રો ત્યાગીને વિદ્રોહમાં સામેલ થયેલા ભારતીય સૈનિકો પર કોર્ટમાર્શલ કરી તેમને ફાંસીની સજા ફટકારી. ફાંસીનો અમલ અમદાવાદના બદલે ઘોઘા (જિ. ભાવનગર)માં કરવાનું નક્કી થયું પણ ઘોઘામાં ધોધમાર વરસાદ હતો. છતાં હમણાં ફાંસી માટેના ગુનેગારોને લાવવામાં આવશે એમ માની ઘોઘામાં જલ્લાદ રાહ જોઈને બેસી રહ્યો. અંતે એ સ્વાતંત્ર્ય સૈનિકોને અમદાવાદમાં જ ખુલ્લા મેદાનમાં તોપના મોએ બાંધી ઉડાડી મૂકવામાં આવ્યા
*રીડર, ઇતિહાસ અનુસ્નાતક ભવન, ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર
પથિક * વૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૧
For Private and Personal Use Only