________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લોકોનાં ટોળાં ઊતરવા લાગ્યાં. દેશની આઝાદી માટે કેસરિયાં કરવા નીકળેલા સ્વાતંત્ર્ય સૈનિકોની પ્રથમ ટકડીને શ્રી મગનલાલ શુક્લે લડતનો પયગામ સંભળાવ્યો. એ પછી સત્યાગ્રહીઓના સામંયાં થયાં. મોખરે રાષ્ટ્રધ્વજ પકડીને મગનલાલ શુક્લ ચાલતા હતા. પાછળ સત્યાગ્રહમાં જોડાયેલા સત્યાગ્રહી સૈનિકો અને એમની પાછળ વીરમગામ અને તાલુકાના પ્રજાજનો સાથે વિશાળ સરઘસ વિરમગામના મુખ્ય માર્ગ પર નીકળ્યું. પ્રજાનો ઉત્સાહ અનેરો હતો. સ્થળે સ્થળે, હાટે અને વાટે, ચૌટા અને ચોકે હજારો નર-નારીઓએ સ્વાતંત્ર્ય સૈનિકોને સત્કાર્યા, આશીર્વાદ આપ્યા, ફૂલ અને સૂતરના હાર પહેરાવ્યા. કુમકુમ તિલક કર્યા. આખા ગામમાં ફરીને સરઘસ છાવણીએ આવ્યું. ત્યારબાદ ટ્રેઈનનો સમય થતાં સત્યાગ્રહી સૈનિકોને લેવા વીરમગામના આગેવાનો, મહાજનો સ્ટેશન તરફ ગયા, પરંતુ તેઓ સ્ટેશને પહોંચ્યા ત્યારે જ સાંભળ્યું કે વઢવાણથી આવેલી ગાડીમાં મીઠા સત્યાગ્રહ કરવા આવેલ મણિલાલ કોઠારી અને તેમના પંચાવન સત્યાગ્રહી સૈનિકોની ધરપકડ કરી તેમને મામલતદાર કચેરી લઈ જવામાં આવ્યા છે. સત્યાગ્રહી સૈનિકોની ધરપકડના સમાચાર વિરમગામમાં આગની જેમ પ્રસરી ગયા અને ટપોટપ બજાર બંધ થઈ ગઈ. સ્ત્રી-પુરુષો ટોળેટોળાં વિરમગામ પોલીસ સ્ટેશન ઉપર ઠલવાવા લાગ્યાં.
૬ઠ્ઠી એપ્રિલે રવિવાર હતો છતાં સરકારી કચેરીઓ અને કોર્ટ ચાલુ હતી. મણિલાલ કોઠારીને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા. કોર્ટ કમ્પાઉન્ડની બહાર લોકોની સ્વાતંત્ર્ય ગુંજ:
‘ઇન્કલાબ ઝિન્દાબાદ, હિન્દુસ્તાન આઝાદ, નોકરશાહી હો બરબાદ, મહાત્મા ગાંધી કી જય
વંદે માતરમ્' સતત પડઘા પાડ્યા કરતી હતી.
મણિલાલ કોઠારી પર મીઠાનો કાયદો ભંગ કરવા બદલ કેસ ચાલ્યો. તેમણે સામે ચાલીને પોતાનો ગુનો કબૂલ કર્યો અને કહ્યું “સત્યાગ્રહી તરીકે આવા ગુના કરવાનો પોતાનો ધર્મ છે.” અંતે તેમને ગુનેગાર ઠેરવી છે માસની સાદી કેદની સજા અને પાંચસો રૂપિયા દંડ કરવામાં આવ્યો.
કોઠારી કેસ પતી ગયા પછી તેમની સાથે પકડાયેલા પંચાવન બહાદુર કાઠિયાવાડી વીરોની પાંચ ટુકડીઓને મામલતદારની ઓફિસમાં લઈ જવામાં આવી. દરેક ટુકડીમાં દસ દસ સત્યાગ્રહીઓ હતા. અને તે દરેક ટુકડીના નાયક ચમનલાલ માધવલાલ વૈશ્વન, ગોપાલરાવ કુલકર્ણી, રતિલાલ મયાશંકર રાવળ, ભાસ્કરરાવ બહેરે અને છોટાલાલ હરિલાલ પારેખ હતા. આ સર્વેને જામીન આપવા તથા હાથમુચરકા આપવા ખૂબ સમજાવવામાં આવ્યા પણ એક પણ સૈનિકે મચક ન આપી. અંતે આ પંચાવનને નિર્દોષ ઠરાવી છોડી મૂક્યા.
આ ટુકડી પછી બીજા પંચાવન સૈનિકોની ટુકડી પણ આવી ચડી. આ ટુકડીના નાયકો હતા અર્જુન ભોગીલાલ લાલા, ભાસ્કર ગજાનન વિક્રાંસ, મણિશંકર શંકરલાલ વ્યાસ, રેવાશકર કિલાશંકર વ્યાસ, અને પાંડુરંગ છોટાલાલ ઠાકોર. અર્જુન લાલા અમદાવાદના એક નવજુવાન સક્રિય સ્વાતંત્ર્ય સૈનિક હતા. આ ટુકડી વિરમગામ રેલવે સ્ટેશનથી થોડે દૂર હતી ને પોલીસે તેમના ડબ્બાને ઘેરી લીધો અને સ્વાતંત્ર્ય સૈનિકો પાસેથી મીઠું ઝૂંટવી તેમના પર પાશવી અત્યાચાર શરૂ કરી દેવામાં આવ્યો. આ જ ટુકડી સાથે સૌરાષ્ટ્રના સક્રિય સૈનિક ફૂલચંદ શાહ પણ આવ્યા હતા. પોલીસે તેમની પણ ધરપકડ કરી. અર્જુન લાલાની પણ ધરપકડ કરવામાં આવી. બંને પર કેસ ચાલ્યો અને ફૂલચંદભાઈ છ માસની સખત મજૂરીની કેદ તથા પચાસ રૂપિયા દંડ, જયારે અર્જુન લાલાને છ માસની સાદી કેદ અને પાંચસો રૂપિયા દંડ કરવામાં આવ્યો,
પથિક * વૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૨ * ૧૬
For Private and Personal Use Only