________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૌરાષ્ટ્રમાં અંગ્રેજોનાં યાદગીરીરૂપ સ્મારકો
પ્રા. ડૉ. કલ્પા એ. માણેક
ઈ.સ. ૧૮૦૭માં સૌરાષ્ટ્રના રાજવીઓ સાથે કર્નલ વૉકરે કરાર કરવાના પરિણામે સૌરાષ્ટ્રમાં યુદ્ધના યુગની સમાપ્તિ થઈ અને શાંતિની ઉષા પ્રગટી. ત્યાર પછીથી ૧૮૨૦ સુધી ગાયકવાડે સૌરાષ્ટ્રના સરસૂબા તરીકે વિઠ્ઠલરાવ દેવાજીને નીમ્યા હતા. ઈ.સ. ૧૮૨૦માં તો ગાયકવાડે સૌરાષ્ટ્રમાંથી ખંડણી ઉઘરાવવાની સત્તા અંગ્રેજોને સોંપી દેતાં અંગ્રેજો સૌરાષ્ટ્રમાં સર્વોપરી બન્યા. પરિણામે સૌરાષ્ટ્રમાં સર્વોચ્ચ સત્તા ગાયકવાડના બદલે અંગ્રેજોના હાથમાં આવી. તેથી તેમણે રાજકોટમાં ૧૮૨૦-૨૨માં બ્રિટિશ એજન્સી (કોઠી)ની સ્થાપના કરી. તેનાં સૌપ્રથમ વહીવટી વડા તરીકે કૅપ્ટન આર. બાર્નવેલને નીમવામાં આવ્યા. ઈ.સ. ૧૮૨૦ થી ૧૯૪૭ ના ૧૨૭ વર્ષના સમયગાળા દરમ્યાન સૌરાષ્ટ્રમાં બ્રિટિશ સત્તા સર્વોપરી રહી. આ વર્ષો દરમ્યાન બ્રિટિશ શાસન હેઠળ અંગ્રેજોએ પોતાની સાર્વભૌમ સત્તા સ્થાપી દીધી હતી. સૌરાષ્ટ્રનાં રાજ્યો આંતરિક બાબતોમાં સ્વતંત્રતા ભોગવતા હોવા છતાં બાહ્ય બાબતોમાં અંગ્રેજોની સત્તા હેઠળ જ અર્થાત્ પરાધીન હતા. વળી શક્તિ કે સત્તાને સૌ નમે છે તે સૂત્ર અનુસાર સૌરાષ્ટ્રના રાજવીઓ દ્વારા પોતાની ઉપર સર્વોપરી સત્તા ભોગવતી બ્રિટિશ સત્તાના સત્તાધીશોને ખુશ રાખવા વિવિધ પ્રયાસો કરાયા હતા. પરિણામે તેમણે સૌરાષ્ટ્રના બ્રિટિશ પોલિટિકલ એજન્ટ કે અન્ય ઉચ્ચ અધિકારીઓ, કે મુંબઈના ગવર્નર કે તેમના એજન્ટ કે ભારતના વાઇસરૉય અને ગવર્નર જનરલ કે તેના એજન્ટને ખુશ રાખી તેમની નજરમાં પોતાને બ્રિટિશ સત્તાને વફાદાર દર્શાવવા, તેમની કૃપાદૃષ્ટિ મેળવવા, કે તેમની વાહ અને ચાહ મેળવવા પોતપોતાના રાજ્યમાં અથવા બ્રિટિશ વહીવટના મુખ્ય મથક એવા રાજકોટમાં વિવિધ બાંધકામો કરાવેલાં. તેને ઉપરોક્ત અંગ્રેજ અધિકારીઓના નામ સાથે જોડી તેમની પ્રશંસા મેળવવા તેમણે પ્રયત્ન કર્યા હતા. આમ, સૌરાષ્ટ્રમાં અંગ્રેજોની યાદગીરી રૂપે જે સ્મારકો છે તે મોટા ભાગે જે તે રાજ્યમાં, જે તે રાજ્યના ખર્ચે અથવા રાજકોટમાં સૌરાષ્ટ્રનાં રાજયોના કે પ્રજાના ફાળાથી બંધાયેલાં છે.
આ સ્મારકો સ્કૂલો, કૉલેજ, મદ્રેસા, લાયબ્રેરીઓ, હૉસ્પિટલો, હૉલ, મ્યુઝિયમ, ડેમ, નહેર (કેનાલ), પુલ (બ્રિજ), બંદર, ગેઇટ (દરવાજા), ક્લબ, બાવલાં, ચિત્રો, ફુવારા, બગીચા, બજાર, શાકમાર્કેટ, ગ્રેઇન માર્કેટ વગેરેના સ્વરૂપમાં છે. કેટલાક અંગ્રેજોની કબરો કે તેના ઉપરના લેખ કે શૌર્ય લેખ પણ પ્રાપ્ય છે. તે સૌરાષ્ટ્રમાં અંગ્રેજોના ૧૨૭ વર્ષના શાસનના વારસા રૂપે છે. તેમાંથી તત્કાલીન સમાજ, રાજકારણ, પ્રજાકલ્યાણનાં કાર્યો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની માહિતી પ્રાપ્ય બને છે. આ સ્મારકોમાંથી કેટલાંકનાં નામ સ્વતંત્રતા પછીનાં વર્ષોમાં બદલીને તેને નવાં નામ આપવામાં આવ્યાં છે. જેમ કે રાજકોટની આલ્ફ્રેડ હાઇસ્કૂલનું નામ મોહનદાસ ગાંધી વિદ્યાલય રાખવામાં આવ્યું છે. જોકે હજુ જૂનાં નામ લોકજીભે રમે છે અને નવાં નામ જોઈએ તેટલાં લોકપ્રિય બન્યાં નથી, એ પણ એક હકીકત છે. આમ સૌરાષ્ટ્રમાં અંગ્રેજોની યાદગીરીરૂપ વિવિધ પ્રકારનાં જે અનેક સ્મારકો છે તેમાંનાં મુખ્ય અને મહત્ત્વનાં સ્મારકોની વિગતોનો આ સંશોધનલેખમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
(૧) અને (૨) : બેલેન્ટાઇન બંગલો અને વૉકર લાયબ્રેરી (અમરેલી) :
અંગ્રેજોની યાદગીરીરૂપ સ્મારકોમાં સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ અમરેલીનો એક બંગલો ગણાવી શકાય. કૅપ્ટન બેલેન્ટાઇન ઈ.સ. ૧૮૧૭ થી ૧૮૧૯ દરમ્યાન અમરેલીમાં રહેતા મરાઠી સૂબેદારને કાઠિયાવાડનો વહીવટ ચલાવવામાં મદદરૂપ થવા માટે નીમ્યા હતા. ત્યારે બેલેન્ટાઇને આ બંગલો બંધાવ્યો હતો. સ્વતંત્રતા * આસિસ્ટંટ પ્રોફેસર, ઇતિહાસ અનુસ્નાતક ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ ૩૮૯
For Private and Personal Use Only