________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અખબારો બહાર પાડીને જે લોકજાગૃતિનો પ્રકાશ ફેલાવ્યો તેનો વળી એક જુદો જ ઇતિહાસ છે. તેમ છતાં તેઓનો પણ નામોલ્લેખ કરવો રહ્યો... વકીલ દયારામ દેપાળા(માંડવી)નાં બે પત્રો 'કચ્છ સમાચાર', કચ્છી ઢોલ, ચત્રભુજ જગજીવન ભટ્ટ(લાકડિયા)નું કચ્છી', રવજીભાઈ શાહ(દેવપર-ગઢ)નું ‘કચ્છ કેસરી', ફૂલશંકર • પટ્ટણી(ભુજ)નું “જય કચ્છ', કલ્યાણજી લાલજી વ્યાસ(માંડવી)નું “કચ્છી', ગુલાબશંકર અમૃતલાલ ધોળકિયા (ભુજ)નું “જાગૃત કચ્છ', છગનલાલ ભવાનીશંકર મહેતાનું “કચ્છ વર્તમાન', બી.એન. મહીશેરીનું “સ્વદેશ'... વગેરે મુખ્ય ગણી શકાય. ઉપસંહાર અને સમાપન :
આઝાદી બાદ કચ્છ પ્રાંત ભારત સંઘમાં વિલીન થતાં ૧લી જૂન, ૧૯૪૮થી તેને ચીફ કમિશ્નર દ્વારા હિંદી સરકારના સીધા વહીવટ હેઠળ “ક” વર્ગના રાજ્ય (‘સી’ કેટેગરી સ્ટેટ) તરીકે અલગ દરજજો મળ્યો હતો.
આમ, સ્વાતંત્ર્ય-પ્રાપ્તિના સંઘર્ષનાં વર્ષો દરમ્યાન કચ્છમાં પણ આઝાદી માટે જાગૃતિ લાવવાનું, પોતાના હક્કો માટે લડવાનું, ભ્રષ્ટાચાર નાબૂદી, દમન સામે માથું ઊંચકવું વગેરે જેવી લડતો દ્વારા કચ્છમાં સ્વાતંત્ર્ય ચેતનાનો સંચાર થયો હતો. પરદેશમાં આઝાદી ચળવળના કચ્છી ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા:
કચ્છ જિલ્લાના તાલુકા-મથક માંડવી ખાતે જન્મેલા અને ગુજરાતના ગૌરવસમા ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્મા (૧૮૫૭-૧૯૩૦) મહર્ષિ દયાનંદ સરસ્વતીના માનસપુત્ર, વીર સાવરકરના ગુરુ અને અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓના પથદર્શક હતા. અનેક પ્રતિકૂળતાઓ વચ્ચે એમણે ક્રાંતિની મશાલ પ્રજવલિત રાખી હતી. વિદેશમાં ભારતીય સંસ્કૃતિના પ્રચારાર્થે દયાનંદ સરસ્વતી(૧૮૨૪-૮૩)ની પ્રેરણાથી પ્રથમવાર ૧૮૭૯માં અને તે પછી વિદેશી ભૂમિ પરથી ભારતના મુક્તિ સંગ્રામને બળ મળે તે માટે બાળગંગાધર ટિળક(૧૮૫૬-૧૯૨૦)ની પ્રેરણાથી ફરી ૧૮૯૭માં તેઓ ઇંગ્લેન્ડ ગયા.
ત્યાં એમણે ‘ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ' અખબાર, ઇન્ડિયન હોમરૂલ સોસાયટી” સંસ્થા અને ક્રાંતિ મથક ‘ઇન્ડિયા હાઉસ'ની સ્થાપના કરીને પરદેશમાં આઝાદીની ચળવળ શરૂ કરી. ત્યાં એમની સાથે દેશના અન્ય બે ક્રાંતિવીરો લીંબડીના સરદારસિંહ રાણા (૧૮૭૦-૧૯૫૭) અને મેડમ ભિકાઈજી કામા (૧૮૬૧-૧૯૩૬) હતાં.
આ ત્રિપુટીએ આઝાદી જંગમાં વિશ્વ જનમત જગાડવા ઝુંબેશ ચલાવી. ભારત પર શાસન કરતા અંગ્રેજોના પાટનગરમાં જ આશ્રયસ્થાન સ્થાપીને ભારતીય ક્રાંતિકારીઓને સંગઠિત બનાવવાનો પુરુષાર્થ કરનાર તેઓ પ્રથમ હતા. સેનાપતિ બાપટ (૧૮૮૦-૧૯૬૭), વીર સાવરકર (૧૮૮૩-૧૯૬૬), મદનલાલ ધીંગરા (૧૮૮૭-૧૯૦૯), લાલા હરદયાળ વગેરે જેવા ક્રાંતિકારીઓની હરોળ ઊભી કરી. એટલું નહિ, ભારતીય વિદ્યાર્થીઓને લંડનમાં ઉચ્ચ અભ્યાસ કરવાની વ્યવસ્થા પણ કરી.
૧૮૫૭ના બળવાની અર્ધ-શતાબ્દીની ઉજવણી(૧૯૦૭)થી સૌની નજરે ચડતાં તેઓ પેરિસ (ફ્રાન્સ) અને જર્મની આવ્યા, સ્ટટગાર્ટમાં પ્રથમવાર ભારતીય ધ્વજ ફરકાવ્યો. ૧૯૧૪માં જિનિવા (સ્વિટ્ઝર્લેન્ડ) આવ્યા,
જ્યાં એમણે અંતિમ શ્વાસ લીધા. અદ્યાપિ ત્યાં સચવાઈ રહેલા એમના અસ્થિકુંભ ગત વર્ષે રાષ્ટ્રીય સન્માન સાથે ભારત લાવવામાં આવ્યા અને મુંબઈથી માંડવી સુધીની ભવ્ય “વીરાંજલિ યાત્રા” દ્વારા માદરે વતનમાં સ્થાપિત કરાયા (૪-૯-૨૦૦૩) એ સૌને વિદિત છે.
પથિક
સૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ ] ૪૬
For Private and Personal Use Only