________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વામી દયાનંદ સરસ્વતી : સમાજ પરિવર્તનના મશાલચી
ડૉ. મહેશ એમ. ત્રિવેદી
સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ઈ.સ. ૧૮૨૪માં સૌરાષ્ટ્રના મોરબી રાજયના નાનકડા ગામ ટંકારા મુકામે થયો હતો. તેમનું પૂરું નામ મૂળશંકર કરશનજી ત્રવાડી (ત્રિવેદી) હતું. ઉચ્ચ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મેલ મૂળશંકરનું કુટુંબ ચુસ્ત સનાતની. પિતા રાજયના વહીવટદાર એટલે દોમદોમ સાહચબી અને ધાર્મિક ક્રિયાકાંડોની વચ્ચે મૂળશંકરનો ઉછેર થયો. મૂળશંકર જન્મથી જ વિચિત્ર પ્રકારનો બાળક હતો, એનો અણસાર એમના રોજિંદા કાર્યથી કુટુંબને હતો જ. એનો ખરો પરચો મળ્યો, મહાશિવરાત્રીની રાત્રે. ઈ.સ. ૧૮૩૭માં ચૌદ વર્ષનો મૂળશંકર કુટુંબની ઇચ્છા અનુસાર શિવરાત્રીનું વ્રત રાખી મંદિરની પૂજાવિધિમાં બેઠો હતો. એ વખતે એક ઉંદર કૂદાકૂદ કરી શિવલિંગ પરના નૈવેદ્યનો સ્વાદ ચાખી રહ્યો હતો. મૂળશંકરને એ વખતે મહાદેવની પૂજા એ નર્યો દંભ અને પાખંડ લાગી. પથ્થરોના દેવ, પૂજાપાઠ, અનુષ્ઠાન, યજ્ઞયાગાદિ વગેરેમાંથી એમની શ્રદ્ધા ઊઠી ગઈ. એ પછી મૂળશંકર પોતાના વડીલોને વારંવાર વિચિત્ર પ્રકારના પ્રશ્નો પૂછવા કરતો. કાકા અને નાની બહેનના મૃત્યુ સમયે એમની આંખમાંથી એકાદ આંસુય ન સર્યું ત્યારે પિતાને મૂળશંકર “આડે માર્ગે જઈ રહ્યો છે તેમ લાગ્યું તેથી તેમનાં લગ્ન કરી સંસારની પળોજણમાં નાખવાનું વિચાર્યું.
પરંતુ મૂળશંકરને શિવરાત્રીના દિવસે જે જ્ઞાન લાધ્યું હતું એ માર્ગે તે આગળ વધવા માગતો હતો. તેથી ઈ.સ. ૧૮૪૬માં ૨૨ વર્ષની ઉંમરે એમણે ગૃહત્યાગ કરી સત્યની શોધમાં પરિભ્રમણ આરંવ્યું. ‘દયાનંદ' નામ ધારણ કરી સાચા જ્ઞાનના પ્રકાશની શોધ આરંભી. ઉત્તર ભારતમાં ભ્રમણ કરતાં એક વાર થાકી હારીને હતાશ હૃદયે આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કરી જોયો. પરંતુ જીવન એ ઈશ્વરી દેન છે. તેને વેડફવા કરતાં સન્માર્ગે વાળવાને પુનઃ પ્રયાસ કરી લોકોની વચ્ચે રોજિંદા જીવનમાંથી બોધપાઠ લઈ આત્મવિશ્વાસ સાથે આગળ વધ્યા. ઈ.સ. ૧૮૬૫માં એ હરિદ્વારના કુંભમેળામાં ગયા ત્યારે અંધશ્રદ્ધા, વહેમ, ધાર્મિક ક્રિયાકાંડો અને પાખંડગ્રસ્ત લોકોને જોઈને તે સમસમી ઊઠ્યા. ધર્મના નામે આચરાતો દંભ એમને દઝાડી ગયો, જેણે પાછળથી એમને કુંભમેળામાં એકલે હાથે પાખંડ ખંડન કરવા પ્રેર્યા. અનેક સાધુ-સંતો, મઠાધીશો અને ધાર્મિક પાખંડી નેતાઓથી ઊભરાતા આ કુંભમેળામાં એકલે હાથે ઝઝૂમ્યા. લોકોને આ અંધશ્રદ્ધામાંથી મુક્ત થવા અને આડંબર ત્યાગવા સમજાવ્યા. દયાનંદે વેદોનો ઊંડો અભ્યાસ કરી તેમાંથી વિશ્વ સમાજ'નું પગેરું શોધી કાઢયું. તેમણે લોકોને વેદ તરફ પાછા વળવા ઉપદેશ આપ્યો.
કુંભમેળાના એકલવીર વિજયી દયાનંદ હવે લોકોને પાખંડ અને વહેમજવરથી ઉગારવા માટે સમગ્ર દેશમાં પરિભ્રમણ કરવા લાગ્યા. અનેક હિંદુ પંડિતોને એમણે શાસ્ત્રાર્થ માટે પડકાર્યા - હરાવ્યા. એક વાર ગ્વાલિયરના એક વૈષ્ણવ આચાર્યને એમણે પ્રશ્ન કરેલો કે “લમણે (કપાળ) ધોળો ટીલો તાણ્યાથી સ્વર્ગે જવાતું હોય તો પછી આખો ચહેરો જ સફેદા ભરપૂર કાં ન કરવો? આમ કરવાથી સ્વર્ગથી પણ ઊંચેરા અને અદ્ભુત કોક લોકમાં અવશ્ય પહોંચી જવાશે.” દયાનંદ કોઈ એક વર્ગ કે સંપ્રદાયને ઉપદેશ આપતા નહોતા. સમાજના તમામ સ્તરના લોકો સાથે તે હળતા-મળતા. એક હરિજનની “રોટી' એમણે ખાધી ત્યારે એમની ટીકા કરનારને એમણે ચોપડાવ્યું કે, “કોણે કીધું કે મેં હરિજનની રોટી ખાધી છે? મેં તો ઘઉંની રોટલી ખાધી છે.” “દયાનંદ હરિજનવાસમાં રહે છે એટલે ભ્રષ્ટ ગણાય” એમ કહીને શાસ્ત્રાર્થ ટાળનાર એક પંડિતને એમણે કહેલું કે, “હું તો હરિજનવાસમાં બેઠો છું પણ તમે તો ભાઈ ! આ મલેચ્છો(અંગ્રેજો)ના રાજમાં રહે છો તેનું શું? વિદેશીઓના * શ્રીમતી લક્ષ્મીબહેન અને શ્રી ચિમનલાલ મહેતા આર્ટ્સ કૉલેજ, એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦૦૦૬
પથિક સૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ u ૩૩
For Private and Personal Use Only