________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫) “ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ : ઇસ્લામ યુગ” :
ચાર ખંડોમાં વહેંચાયેલ આ મહાગ્રંથ સૌપ્રથમ ગુજરાત વિદ્યાસભાએ ૧૯૪૫માં પ્રસિદ્ધ કર્યો હતો. તેનું પુનઃમુદ્રણ ૧૯૫૯માં થયું હતું. પ્રથમ ગ્રંથમાં ગુજરાતની ભૂરચના સહિત ઐતિહાસિક અને પૌરાણિક સમયના ગુજરાતનું વર્ણન છે અને તેમાં શક/ક્ષત્રપ અને ગુપ્તકાલીન ગુજરાતના વર્ણન બાદ વલભીનગર વિશે માહિતી આપવામાં આવેલી છે. વળી તેમાં મુસ્લિમ શાસનની શરૂઆત કેવી રીતે થઈ તે અંગેની પણ વાત આવે છે. પંદરમા પ્રકરણનું શીર્ષક પણ અગત્યનું છે - “ગુજરાતી સમાજનું બંધારણ : જાતિઓનું અને ધાર્મિક સંપ્રદાયોનું મિશ્રણ”. બીજા ગ્રંથની શરૂઆત અમદાવાદના બાંધનાર અને નગર વસાવનાર અહમદશાહ પહેલાથી શરૂ થાય છે. ત્રીજા અને ચોથા ખંડોમાં પણ મુસ્લિમયુગ દરમ્યાન ગુજરાતના સ્થાપત્યને આવરી લેવામાં આવ્યું છે.
રત્નમણિરાવનું ઊર્મિજગત સંવેદનશીલ હતું. ઇતિહાસના પ્રસંગોનું તેઓ પરિશીલન કરતા અને તેમાંથી તેઓ આનંદની લાગણીઓ સાથે ભારે વિષાદ પણ તેઓ અનુભવતા. પરંતુ તેમના અંતરની વાતો વાચક સમક્ષ રજૂ કરવાની કલામાં જાણે કે કલાના કસબી હતા. ઉદા. તરીકે તેમણે લખ્યું છે કે “જે રીતે મહમૂદ ગઝનવીએ સોમનાથને લૂંટ્યું તે બનાવ ગુજરાતને જ નહીં પણ આખા હિન્દુસ્તાનને લજજા પમાડે તેવો બનાવ હતો. મહમૂદ ગઝનવીએ કેવા સોમનાથને લૂટ્યું અને તોડ્યું? તેનું તાદશ શબ્દચિત્ર લેખકે નીચેના શબ્દોમાં દોર્યું છે :
“મહમૂદે તોડેલું સોમનાથનું મંદિર લાકડાનું હતું - એમ કહેવાય છે કે તેને પજ થાંભલા હતા. શિવલિંગ પાંચ હાથ ઊંચુ હતું અને તેનો ઘેરાવો ત્રણ હાથનો હતો. અંધારા ગર્ભગૃહમાં આ લિંગ આવેલું હતું. થાંભલા રત્નજડિત હતા. રત્નજડિત દીપમાળાઓ સતત ચાલુ હતી, બસ્સો મણ સોનાની સાંકળમાં ઘંટ લગાડેલા હતા, સોના-રૂપાની મૂર્તિઓ અને રત્નજડિત મુખવટા તિજોરીમાં હતા. મહમૂદને ૨૦ લાખ દીનારનો માલ મંદિરમાંથી મળ્યો.” રત્નમણિરાવ માત્ર આટલું કહીને બેસી રહ્યા નથી. એક વસ્તુનિષ્ઠ ઇતિહાસકાર તરીકે તેમણે તે સમયના હિન્દુ સમાજની ખામીઓ પણ દર્શાવી છે. તેમણે નીચેના શબ્દોમાં કરેલ ટકોર આજેય પણ વિચારવા જેવી છે. તેમના શબ્દોમાં :
ધર્મની વાત બાજુએ મૂકતાં પણ તે સમયના સમાજની સ્થિતિ અને સામાન્ય સંસ્કૃતિની દૃષ્ટિએ આ બનાવ બહુ મહત્ત્વનો છે. તે સમયે તો લગભગ આખા હિન્દુસ્તાનમાં ધર્મની વિશાળ દૃષ્ટિએ ઐક્ય હતું. છતાં એક પરદેશી બીજા દેશમાં લશ્કર અને સરંજામ સાથે હજારો વતનીઓને લૂંટી જાય અને વતનીઓ માત્ર નાસભાગ સિવાય કશું કરી શકે નહીં એ તો સમાજમાં રહેલી ગૂઢ ખામી બતાવી આપે છે. રાજાઓ પણ તુરત તો સામનો કરી શક્યા નહીં. એમની લશ્કરી વ્યવસ્થા કેવી હશે ! પાટણ જેવા સમુદ્ર શહેરના રાજાને નાસી જવું પડ્યું, વિદેશી લૂંટીને પાછો ગયો ત્યાં સુધી દેશી રાજાઓ ઐક્યથી સામનો કરી શક્યા નહીં, અને હિન્દના જનસમાજને ગમે તે વિદેશી ગમે ત્યારે વિના હરકતે હેરાન કરી શકે એમ હંમેશને માટે જગતને ખુલ્લું કરીને આ ચડાઈએ બતાવી આપ્યું. જે મહાન સંસ્કૃતિએ પૂર્વે અનેક આક્રમણોનો સામનો કર્યો અને પોતાનામાં સમાવી લીધા તે જ સંસ્કૃતિ નવીન આક્રમણકારોને ન સમાવી શકે, ન સામનો કરી શકે. તેથી ઊલટું પાછળ આવતાં વર્ષોમાં તેનાથી દબાઈ ગઈ. સમાજની આ સ્થિતિનું કારણ સમાજશાસ્ત્રીઓએ વિચારવા જેવું છે. બૌદ્ધ ધર્મનો પોતાની જ ભૂમિમાં અસ્ત થયો તે વખતે જે સંસ્કૃતિએ અનેક વિરોધી તત્ત્વોનું એકીકરણ કરી પુનઃરચના કરી, સમય પ્રમાણે બદલાવાની કુશળતા જે સંસ્કૃતિના નેતાઓએ પૌરાણિક ધર્મની સ્થાપના વખતે બતાવી, તેવું એકીકરણ કે તેની કુશળતા પાછળના નેતાઓમાં ન રહ્યાં. સમય પ્રમાણે બદલાવાનું મહત્ત્વ વિસરાયું, અનેક સંપ્રદાયોમાં ભિન્નબળ વધવાથી ઐક્ય ઓછું થતું ચાલ્યું. આ બધું પણ સમાજની આવી સ્થિતિનું કારણ હોઈ શકે. પર સંસ્કૃતિને પોતાનામાં સમાવવાની શક્તિ ગુમાવ્યા પછી સમાજ પોતાની જાતને દરેક રીતે સંકોચાવી દઈને માત્ર આત્મરક્ષણ કરવા પ્રેરાયો એ પણ આવાં આક્રમણોના ઇતિહાસ પરથી સમજાય છે.”
પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૩૦
For Private and Personal Use Only