________________
તા. ૧૬ એપ્રિલ, ૨૦૦૯
પ્રબુદ્ધ જીવન
જયભિખ્ખુ જીવનધારા : ૫
_ડૉ. કુમારપાળ દેસાઈ
[મૂલ્યનિષ્ઠ સાહિત્યસર્જન કરનાર સર્જક ‘જયભિખ્ખુ'ની જન્મશતાબ્દીનું આ વર્ષ છે. સાહિત્યકારનું સર્જન આપણી પાસે હોય છે, પરંતુ સાહિત્યકારોના જીવનચરિત્ર બહુ ઓછાં મળે છે. આ છે સર્જક જયભિખ્ખુના બાળપણના પ્રસંગો આલેખતું એમની જીવનકથાનું આ પાંચમું પ્રકરણ.] મહાન દેવતાની પધરામણી
જીવનના ઝંઝાવાતોમાં આમતેમ ફંગોળાતું બાળક ભીખા (જયભિખ્ખુનું હુલામણું નામ)નું મન સતત દ્વિધા અનુભવતું હતું. વારંવાર એ ઊંડા વિચારમાં ડૂબી જતો કે ચાર વર્ષની વયે માતાને ગુમાવનાર બાળકને ક્યારેય માતા સમા વાત્સલ્યની કોઈ મીઠી હૂંફ નહીં મળે? બાળક ભીખાને ક્યાંક હેતનો શીળો છાંયડો મળી જતો અને મમતાના વૃક્ષ નીચે નિરાંતે બેસીને સ્નેહભરી લહરીઓનો માંડ થોડો અનુભવ કરતો, ત્યાં તો જીવનમાં એવી અણધારી ઘટના બનતી કે હેતનું આખું વૃક્ષ જ બળીને ખાખ થઈ જતું. જે છાપરા નીચે આશરો મળ્યો હતો, તે આખુંય છાપરું એકાએક ઊડીને બાજુમાં પછડાતું. સુખની એવી છેતરામણી રમત હતી કે એનો હાથ પોતાના હાથમાં મેળવે, ત્યાં તો એ હાથ કોઈ ખૂંચવી લે અને દુઃખદ સ્મૃતિનો એક વધુ આઘાત હૈયામાં મૂકતું જાય. સુખની જરા તાળી વાગી, ત્યાં તો એ આખું સુખ જ છટકીને ક્યાંક દૂર દૂર અદૃશ્ય થઈ જાય.
બાળકનું મન વિચારના ચગડોળે ચડે છે કે આવું બનતું હશે કેમ? ગમતું રમકડું મળે અને થોડું ૨મે ત્યાં કોઈ ખૂંચવી લે તે કેવું? વિચાર કરે કે નસીબ જ એવું વક્ર છે કે સુખ સાથે સદાનું આડવેર છે. કયારેક એમ પણ લાગે કે આ દુનિયાના માનવીમાંથી
હેતપ્રીત ઓછાં થઈ ગયાં છે. વિંછીયા અને બોટાદ થઈને બાળક ભીખો એના પિતા વીરચંદભાઈ પાસે વરસોડા આવે છે. સતત માનવીની માયા શોધનારા આ બાળકને જીવવા માટે કોઈ લાગણીના આશરાની જરૂર હતી. ઠેર ઠેર ભટકતા રહેલા આ બાળકને ક્યાંક ઠરીઠામ થવાની ઈચ્છા હતી.
માતાના વહાલને શોધતા બાળકને એક એવી માતા મળે છે કે જે અવસાન પામીને આકાશનો તારો બને નહીં અને ક્યારેય એને ત્યજી નહીં દે. પ્રકૃતિની ગોદમાં વસેલા વરસોડા ગામની ધરતીમાં બાળક ભીખાને માની હૂંફનો અનુભવ થયો વરસોડાની આખી પ્રકૃતિએ આ બાળકને આનંદસૃષ્ટિમાં ડુબાડી દીધો. માનવીની માયા ઝંખનારા બાળકને ભૂમિની માયા લાગી ગઈ. માનવીની માયામાં ભરતી–ઓટ આવે, માનવી પરગામ કે પરલોક પણ સિધાવે, જ્યારે આ ધરતી તો સદાકાળ એની સાથે રહે. એના હેતમાં ક્યાંય કશી ખોટ–ઊણપ જોવા ન મળે.
૧૯
સાબરમતી નદીના કિનારાની ઊંચી ભેખડ પર વસેલું, વડ– જંગલોથી વીંટળાયેલું વરસોડા ગામ બાળક ભીખાનું અતિ વહાલું ગામ બની ગયું. એ ગામની પ્રત્યેક જગા સાથે એને અતૂટ ભાઈબંધી બંધાઈ ગઈ. એના મંદિરો એના આનંદસ્થાનો બન્યાં અને એની વાડી, કૂવા અને ભોંયરાં રોજના એના સાથી બન્યા. સવારથી સાંજ સુધી આ ગામ ભીખાને પોતાની ગોદમાં ખેલાવે. આ બાળક એના હેતનો એવો તો અનુભવ કરે કે જિંદગીના સઘળાં દુઃખો વીસરી જાય.
ગામના છેડે આવેલી શંકરની દેરી એ ભીખાની રોજની જગા. આ દેરી પાસે આવીને એ બેસે. એની માટીની ભેખડમાં ચડવાની અને કૂદવાની ભારે મજા આવે. એ દેરી પાસેથી કલકલ નાદે વહેતા ઝરણાનો અવાજ સાંભળે અને પછી એ ઝરણાની ધારે ધારે થોડો આગળ ચાલે અને એ ઝરણુ સાબરમતી નદીને મળે તેના સંગમસ્થાનને નિહાળે. એ જ સાબરમતી નદીને કાંઠે આવેલા સંત ઋષિરાયજીએ બાંધેલી ‘એકલસંગી’ પાસે ઊભો રહે. આ એકલસંગી વાદળ સાથે વાતો કરતી લાગે. એની નીચે જલપ્રવાહ મીઠું-ધીમું ગુંજન કરીને ગાતો હોય, બાજુની ભેખડ પર નાના દેવવિમાન જેવું ધોળી ધજા ફરકાવતું મંદિર દેખાય. નાનાશા મારુતિ મંદિરની પાસે નાની ધર્મશાળા પણ હતી. સાબરમતીને કાંઠે આ બાળક ઘૂમવા નીકળે, ત્યારે શંકરની દેરી, મારુતિનું મંદિર અને સંત ઋષિરાયજીનો આશ્રમ એ એના રોજના સ્થળો બની ગયા.
આ બાળક શિવજીના દર્શન કરે, મારુતિને નમન કરે અને વળી કુલેશ્વરી માતાના ધામ પાસે જાય. ઘેઘૂર વડલાની છાંય નીચે ગામના પાદરે થઈને સ્ટેશન જતા રસ્તા પર આવેલા આ કલેસર (કુલેશ્વરી) માતાના દર્શનની બાળકને ભારે લગની. એના ઘેઘૂર વડલાના છાંયડે બેસે અને બાજુમાં વહેતી તળાવડીને નીરખે. શિયાળામાં અને ચોમાસામાં આ તળાવમાં પાણી હોય અને ઉનાળામાં એમાં કુંભાર ઈંટો પાડે. એક સરસ મજાનો બાગ માતાના ધામમાં રહેતાં એક મૈયાએ ઉગાડ્યો હતો. સાંજ પડે આ બાળક ત્યાં પહોંચી જાય. બાગમાં દોડે અને વડલા નીચે મંડળી જમાવે.
રોમાંચ અને રહસ્ય, ભાવ અને ભયના કેટલાં બધાં સ્થાનો એક જ ગામમાં હોય છે ! આ ગામમાં આવેલું ભોંયરું અલ્લાઉદ્દીનની ગુફા જેવું લાગતું હતું. ગામમાં સહુ કોઈ કહેતા કે આ ભોંયરામાં