________________
સપ્ટેમ્બર, ૨૦૦૯
પ્રબુદ્ધ જીવન
પત્ર ચર્ચા
વર્તમાન યુગમાં જૈન સાધુ સમાજે આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરવો જોઈએ? 'પ્ર..'ના જુલાઈ અંકના તંત્રી લેખ 'વિહાર ઃ માર્ગ અકસ્માત અને આધુનિકતા' દ્વારા અમે ઉપરના વિષયની ચર્ચા માટે સમગ્ર સમાજને આમંત્રણ આપ્યું હતું. એ વિશે પ્રાપ્ત થયેલ ત્રણ પત્રો અહીં પ્રસ્તુત કરીએ છીએ.
અોને જેમ જેમ પત્રો પ્રાપ્ત થતા જશે એ પ્રમાણે પ્ર.જી.ના અંકમાં પ્રસિદ્ધ કરતા રહીશું. સર્વેનો આભાર. ૩તંત્રી
(૧)
જૈનાચાર પ્રતિ એક દ્રષ્ટિબિંદુ
'વિહાર ઃ માર્ગ અકસ્માત અને આધુનિકતા'નાં શ્રી ધનવંતભાઈનો અગ્રલેખ જેટલો ગંભીર છે એટલો જ વિશાળ અને વ્યાપક છે. એક રીતે એ જૈન ધર્મના ભાવી વિશે પ્રશ્ન ઊઠાવે છે. તેને મર્યાદિત લેખમાં સમાવી ન શકાય. કદાચ એથી જ લેખના અંતે ચર્ચાપત્રને આવકાર્યા છે. ધર્મ અને જીવન એટલા વિશાળ છે કે આ પ્રશ્નને પણ વ્યાપક દ્રષ્ટિએ નિહાળવી અનિવાર્ય બને છે.
સાધુ-સાધ્વીઓએ સમાજ અને ધર્મને ચેતનવંતો રાખ્યો છે એ જેટલું સત્ય છે એટલી જ હકીકત એ પણ છે કે સાધુ-સાધ્વીના જીવનમાં શિથીલતા આવી ગઈ છે. શ્રમણજીવનમાં જે શિથીલતા આવી છે તેમાં કદાચ ઉત્કૃષ્ઠ ગુરુઓની ઉણપ અને શિષ્યો ઉપરની શિસ્ત અને પ્રભાવનો અભાવ પણ કારરૂપ હોઈ શકે. પરંતુ સાધુ-સાધ્વીના જીવનમાં જે સંયમ અને સાધનાની, હાલના સંજોગોમાં વિશેષ અપેક્ષા રહે છે, તેને ફક્ત શ્રમણ જીવનના નીતિનિયમો દ્વારા નહિ પણ શ્રાવક-શ્રાવિકાની જીવન પદ્ધિતના અને પૂરા માનવ સમાજના સંદર્ભમાં જોવાની જરૂર છે. દેશની રાજકીયભૌગોલિક આઝાદી પછી અને વિશેષે લગભગ છેલ્લા બે દાયકામાં જે પરિવર્તન આવ્યું છે અને એની સમાજજીવન પર જે અસરો જોવા મળે છે તેનો વિચાર કરવો રહ્યો. એક સર્વને સ્પર્શતી વાત એ છે કે જીવન એ એક કુદરતનું માનવજાતને અમૂલ્ય વરદાન છે એ વાત જ ભુલાય ગઈ છે. જીવનનું કોઈ મહત્ત્વ રહ્યું જ નથી. એના બદલે ધન અને ઉપભોગ એજ ખરું જીવન એમ માનવામાં આવે છે. ભારતના ધર્મો અને સંસ્કૃતિ ઉપર પશ્ચિમના વિકસિત દેશોના આક્રમણ અને આકર્ષણનું આ પરિણામ છે. પશ્ચિમના શિક્ષણ અને સંસ્કૃતિથી પ્રભાવિત થયેલ વ્યક્તિઓના હાથમાં આપણે દેશનું સુકાન સોંપી દીધું છે એનું આ પરિણામ છે. જૈન સમાજ પોતે જ અહિંસા અને મર્યાદિત પરિગ્રહને અપનાવે તો જૈન ધર્મનો પ્રચાર અને પ્રસાર સહજ રીતે થશે અને એનો પ્રભાવ વિશ્વભરમાં પડશે. કારણ કે વિશ્વ આજે હિંસા શોષણથી ત્રસ્ત છે અને અહિંસા અનિવાર્યનો વૈચારીક રીતે સ્વીકાર કરી ચૂકેલ છે. કર્તવ્ય રૂપે સ્વીકાર કરવાની હિમ્મત નથી.
૧૭
એક દ્રષ્ટિએ જોઈએ તો જૈન સમાજનો કેટલોક અંશ આર્થિક રીતે ખૂબ સમૃદ્ધ બન્યો છે. પૈસો વાપરવો અને પ્રતિષ્ઠા મેળવવી એ એમને ગમતો વિષય બની ગયો છે. શ્રમકાવર્ગના સહકારથી એમનો માર્ગ સહેલાયથી ખૂલી જાય છે. ઉપવાસનું તપ કરનારને
માનપાન અને ભવ્ય વરઘોડાના આયોજન, વિવિધ જાતના ભોજનવાળા સ્વામી વાત્સલ્ય કે જ્યાં કાં તો નોકર પીરસતા હોય (એને વાત્સલ્ય કહેવાય?) અથવા હાથે લઈને ખાવાનું કહો કે ભીક્ષાપાત્ર લઈને ઊભા રહેવાનું. આ બધું આધુનિકતાના નામે અને વાસ્તવિક્તાના સ્વીકારરૂપે. સાધુ-સાધ્વીના પુસ્તકોને અનુદાન આપીને રંગબેરંગી રૂપે છપાવવા અને એમાં લેખકના અને દાનેશ્વરીના ફોટા પ્રગટ કરવા. લગ્ન કે એવા જ બીજા પ્રસંગોએ વૈભવનું પ્રદર્શન કરવું વગેરે. આવા સહકારથી બન્ને પક્ષે માનપ્રતિષ્ઠા વધે છે, લોભ વધે છે અને ધર્મ ભૂલાય જાય છે. પ્રતિષ્ઠાને ખાતર આર્થિક બોજ ઉપાડવા સુખી સમાજ તૈયાર છે. સાધુસાધ્વીઓએ પરિગ્રહ છોડ્યો પરંતુ પ્રતિષ્ઠાના લોભ-મોહમાંથી ઘૂંટાતું નથી. જે અરિહંતોએ અને સાધુ સાધ્વીઓએ સંપૂર્ણપણે અપરિગ્રહ સ્વીકાર્યો છે કે જેમણે આત્માના ઉત્કર્ષ માટે તપઆરાધના કરી છે એમને મોંઘાદાટ વસ્ત્રો અને ઘરેણાં પહેરાવવા એમાં ધર્મ પ્રત્યેની જાગૃતિનો અભાવ નહીં તો બીજું શું છે? મૂર્તિને ઘરેણા પહેરાવવા અને ચોરી થાય ત્યારે ઉહાપોહ કરવો એ કેટલું ઉચિત ?
સાધુ-સાધ્વી ધર્મના પ્રચારક અને પ્રસારક હોય એમની પાસેથી વધુ અપેક્ષા રહે એ સ્વાભાવિક છે. બદલાયેલી પરિસ્થિતમાં કેટલાક પરિવર્તન અનિવાર્ય બની રહે છે. શ્રમણના આચાર-વિચાર અંગે થોડુંક કાંઈક આ રીતે વિચારી શકાય :
દીક્ષા તો અલબત્ત આત્મકલ્યાણની ભાવના હોય એમણે જ લેવાની હોય. સમાજ અને સમષ્ટિના કલ્યાણની ભાવના જોડાયેલી હોય એ પણ સ્વાભાવિક છે, પરંતુ સાધુ જીવનનું યોગ્ય આચરણ જ ખરા અર્થમાં ધર્મના પ્રચાર અને પ્રસારનું કાર્ય કરી શકે. એટલે આચારનું શિસ્તપૂર્વક પાલન અવશ્ય થવું જોઈએ..
• દીક્ષાર્થી કુદરતના આધારે જીવે એ મુખ્ય આશય છે. પશુ-પક્ષી વગેરે કુદરતના આધારે જ જીવે છે પણ લાચાર બનીને. મનુષ્યને બુદ્ધિ મળી છે તે જીવનની મહત્તાને સમજીને, જીવનના ઉત્કર્ષ માટે કુદરતના આધારે જીવવાનું છે. મોક્ષ પ્રાપ્તિના સાધન તરીકે જીવવાનું છે.