________________
૨
પ્રબુદ્ધ જીવન
વાવ શબ્દ સંસ્કૃત વાપી ઉપરથી આવ્યો છે. સોલંકી યુગના બાહોશ રાજા ભીમદેવ (પહેલા)ની રાણી ઉદયમતીએ બંધાવેલી આ વાવ પ્રારંભથી જ રાણકી વાવ તરીકે જાણીતી બની છે. ‘રાણીકી વાવ’ કે ‘રાણીની વાવ’ ઉ૫૨થી બોલચાલમાં રાણકી વાવ જેવું નામ પ્રચલિત બની ગયું હશે જે આજ દિવસ સુધી ચાલુ રહ્યું છે.
ઐતિહાસિક પ્રમાણો પ્રમાણે સોલંકી (ચૌલુક્ય) વંશના રાજા ભીમદેવ પહેલાની પટરાણી ઉદયમતીએ રાજાના અવસાન પછી એમની યાદગીરીમાં ઇ. સ. ૧૦૬૪માં આ વાવ બંધાવવી શરૂ કરી હતી. ભીમદેવનો સમય ઇ. સ. ૧૦૨૨ થી ૧૦૬૪નો ગણાય છે. એમણે મોઢેરામાં સૂર્ય મંદિર બંધાવ્યું હતું.
નવસો વર્ષ પહેલાં બંધાયેલી આ વાવ ઉપરથી એ જમાનાની જાહોજલાલીનો, સંસ્કાર-સમૃદ્ધિનો અને રાણી ઉદયમતીના પ્રભાવશાળી વ્યક્તિત્વનો ખ્યાલ આવી શકે છે. એ સમૃદ્ધિના કાળમાં જ વિમલ મંત્રીએ ત્યાર પછી આબુમાં દેલવાડામાં જૈન મંદિર બંધાવ્યું હતું. સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું, કર્ણદેવે કર્ણાવતી (અમદાવાદ) નગરી વસાવી હતી. અને કુમારપાળ રાજાએ
તારંગા તથા ગિરનાર ઉપર મંદિરો બંધાવ્યાં હતાં.
પોતાના પતિ રાજા ભીમદેવની યાદગીરીમાં એમના પુણ્યાર્થે બંધાવેલી આ વાવમાં રાણી ઉદયમતીએ બહુ મહત્ત્વાકાંક્ષી ભાવના સેવી હતી. વિશાળતાની દૃષ્ટિએ, લંબાઇ-પહોળાઇની દૃષ્ટિએ, શિલ્પ સ્થાપત્યની બહુલતાની દૃષ્ટિએ અને ઉત્તમ કલાકારીગીરીની ષ્ટિએ એમણે કશી મણા રાખી ન હતી. એથી જ રાણકી વાવ સર્વ વાતોમાં અત્યંત ભવ્ય અને રમણીય વાવ બની હતી.
શિલ્પ સ્થાપત્યનો તો એ એક શ્રેષ્ઠ નમૂનો છે. રાણી ઉદયમતીએ આવડી મોટી વાવ બંધાવવાનું જે ઉત્સાહભર્યું મહત્ત્વાકાંક્ષી આયોજન કર્યું તેની એક મોટી મર્યાદા એ થઇ કે એમના પોતાના જીવનકાળ દરમિયાન, વાવ પૂરી બંધાઇ નહિ. વાવનું છેલ્લું થોડું કામ પછી અધૂરૂં રહી ગયું. એમ માનવામાં આવે છે કે વાવની ભવ્યાકૃતિ જોઇને એના સ્થપતીએ જ પાછળથી વાવની રચના-આકૃતિમાં મહત્ત્વના ઉમેરા કર્યા, પરંતુ એમ કરવા જતાં વધુ સમય જવાને લીધે વાવ સંપૂર્ણપણે તૈયાર થઇ શકી નહિ. વાવમાં જુદી જુદી જગ્યાએ મળીને બસોથી વધુ શિલ્પાકૃતિ કંડારવાની રહી ગઇ. અને કેટલાયે સ્તંભોની અને ગોખલાઓની કોતરણીમાં ઉતાવળ કરવી પડી હતી. વાવના બાંધકામમાં પચીસેક જેટલાં વર્ષનો ગાળો પસાર થઇ ગયો હોવાનું મનાય છે. સેંકડો મજૂરો અને કારીગરો એમાં કામે લગાડવામાં આવ્યા હતા. રાજ્યાશ્રયે કેટલાંક ઉત્તમ કાર્યો કેવાં થઇ શકે છે એની એ પ્રતીતિ કરાવે છે. પૂર્વે બંધાયેલી જુદી જુદી વાવોના અનુભવ પરથી રાણકી વાવમાં એની સ્થાપત્યકલા ચરમસીમાએ પહોંચી શકી.
ઇ. સ. ૧૩૦૪માં મેરુતુંગાચાર્યે પોતાના ગ્રંથ પ્રબંધ ચિંતામણિ'માં આ વાવનો નિર્દેશ કરતાં લખ્યું છે કે ‘રાણકી વાવ' સહસ્ત્ર લિંગ તળાવ કરતાં ચડિયાતી રચના છે. એ ઉપરથી જણાય છે કે મેરુત્તુંગાચાર્યના સમય સુધી વાવનો બરાબર ઉપયોગ થતો રહ્યો હશે, પણ પછીના નજીકના કાળમાં જ સરસ્વતી નદીમાં મોટું પૂર આવ્યું હશે અને વાવ પુરાઇ ગઇ હશે. એટલે કે વાવનો ઉપયોગ બંધ થયો હશે.
જે વાવોમાં પાણી સુકાઇ જાય અથવા એની ઉપયોગિતા પૂરી થઇ જાય કે કોઇ કુદરતી આપત્તિને કારણે વાવનો કેટલોક ભાગ તૂટી જાય અથવા આપઘાત કે ખૂન જેવી તેમાં ઉપરાઉપરી બનતી ઘટનાથી લોકોમાં વહેમ ઘૂસી જાય, અથવા ભૂતપ્રેતનો ડર લાગી જાય તો એવી વાવો અવાવરુ બની જતી અને રાજ્ય તરફથી કે પ્રજાજનો તરફથી એની
તા. ૧૬-૧-૯૬
સંભાળ ન લેવાય તો કાળક્રમે તે દટાઇ પણ જતી. રાણકી વાવનું ભાવિ કંઇક જુદું જ હશે. સાવ નજીક આવેલી સરસ્વતી નદીમાં પૂર આવતાં તેનાં કાદવવાળાં પાણીથી વાવ ભરાઇ ગઇ હશે અને ત્યાં માટી જામી જતાં અને કેટલાક સ્તંભો તૂટી પડતાં વાવનો ઉપયોગ બંધ થઈ ગયો હશે. બીજી ત્રીજી વારના પૂરમાં તો વાવ ઠેઠ ઉ૫૨ની જમીન સુધી દટાઇ ગઇ હશે. વાવનું પુરાણ કાઢી નાખવામાં આવતાં જે ઘણી સારી હાલતમાં પગથિયાં જોવા મળે છે તે પરથી જણાય છે કે પગથિયાંને ખાસ ઘસારો લાગ્યો નથી. એનો અર્થ એ થયો કે મેરુડુંગના સમય પછીના તરતના કાળમાં વાવ પુરાઇ ગઇ હશે ! અલબત્ત, કૂવાની ઉપયોગિતા હોવાને કારણે કૂવો પાછો ખોદીને ગળાવવાનું કામ વખતોવખત થયા કર્યું હશે! કૂવાનું પાણી સારું ગણાતું રહ્યું છે અને કેટલોક વખત તો એવી માન્યતા પણ પ્રવર્તી હતી કે નાના છોકરાંઓને ઊંટાટિયું (મોટી ઉધરસ) થયું હોય તો આ કૂવાનું પાણી પીવાથી તે મટી જાય છે.
પાણી મનુષ્ય જીવન માટેનું અનિવાર્ય તત્ત્વ છે. પાણી વગર જીવન ટકી શકે નહિ. ‘જલ વિના કો જીવઇ નહિ, જલ જીવન જગમાંહિ' એમ કહેવાયું છે તે સાચું જ છે. જલ એ જીવનના પર્યાય રૂપ હોવાથી ‘જીવન' શબ્દનો એક અર્થ ‘પાણી' એવો પણ થાય છે. વીજળી અને યંત્રોની શોધ પછી પાણીની સમસ્યા, હેંડપંપ, ટ્યૂબ વેલ, મોટા બંધ, વગેરેને કારણે દુનિયાના ઘણાખરા ભાગોમાં પહેલાં જેવી ગંભીર રહી નથી. પ્રાચીન સમયમાં નગરો સમુદ્ર કિનારે, નદી કિનારે અને સરોવર કિનારે વસતાં કે જેથી પાણી સુલભ રહ્યાં કરે. ઊંડો કૂવો ખોદીને પાણી મેળવવાની પદ્ધતિ જ્યારથી અમલમાં આવી ત્યારથી માનવ વસતી નદી અને સરોવર ઉપરાંત દૂર દૂરના વિસ્તારોમાં વસવા લાગી. ગામ હોય ત્યાં કૂવો હોય જ. એ રીતે કૂવો ગામ-નગરનું અનિવાર્ય અંગ બની ગયો. પરંતુ દરેક કૂવામાંથી એક સરખું સારું મીઠું પાણી નીકળે નહિ અને વસ્તીની સંખ્યા અનુસાર એક કરતાં વધારે કૂવાની જરૂર પડે. એમ કરતાં ગામ-નગરની શેરીઓ વચ્ચે કૂવો હોય અને ગામના પાદરે પણ કૂવો હોય એવી સ્થિતિ નિર્માઇ. દુકાળના વખતમાં કૂવાઓ સુકાઇ જાય તો સ્થળાંતર કરવાની પણ ફરજ હતી.
કૂવો ખોદવાની અને જમીનમાં પાણી ક્યાં કેટલે ઊંડે નીકળશે એ જાણવાની વિદ્યાનો વિકાસ જૂના વખતમાં ઘણો થયો હતો, કારણ કે જીવનની એ મહત્ત્વની આવશ્યકતા હતી. માટીમાં ખોદતાં ખોદતાં વચ્ચે મોટો ખડક આવે તો ખોદવાનું છોડી દેવું પડતું. જમીન પોચી હોય તો કૂવો ખોદતાં બહુ સાવધાની રાખવી પડતી કે જેથી આસપાસની માટી ધસી પડે નહિ અને ખાડામાં નીચે કામ કરવા ઊતરેલા માણસો દટાઈ જાય નહિ, કૂવો ખોદતાં અકસ્માતો નહોતા થતા એવું નથી. પરંતુ અનુભવ વધતાં સાવચેતીના ઉપાયો વિચારતા, કૂવા ખોદવાની જગ્યાએ ત્રણ કે ચાર મજબૂત થાંભલાનો મજબૂત ઊંચો માંચડો બાંધી તેમાં ગરગડી ભરાવી, દોરડાને છેડે મજબૂત મોટો ટોપલો બાંધી તેના વડે માટી બહાર કાઢવામાં આવતી અને કૂવામાં ઊતરેલાં માણસો એ ટોપલામાં બેસીને અંદર-બહાર આવજા કરતા. કેટલાંક કૂવામાં તો ઉપરથી દિવાલમાં ઇંટો કે પથ્થરનું ચણતર કરતાં કરતાં નીચે જવાનું રહેતું અને ચણતર તૂટી ન પડે એ માટે ઝાડની મજબૂત ડાળી વર્તુળકાર
બનાવીને ખાડામાં ભરાવીને એના ઉપર ચણતર થતું.
આજથી સાઠેક વર્ષ પહેલાં કૂવા ખોદાતા નજરે મેં જોયા છે. માણસ
નવું ઘર બંધાવે એટલો જ ઉત્સાહ કૂવો બંધાવવામાં રહેતો. એની પૂજન-વિધિ ઉત્સાહપૂર્વક થતી. મારાં એક માસીએ ખેડા જીલ્લામાં ઓડ ગામ પાસે પોતાના ખેતરમાં કૂવો ખોદાવ્યો ત્યારે ભૂમિપૂજન થયું ત્યારથી કૂવામાંથી તળિયે પાણી ફૂટ્યું અને નાળિયેર વધેરવામાં આવ્યું