________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુવાણી
આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજી યોગનિષ્ઠ આચાર્યની અમર ભાવના
(જૈન ગુરુકુળ) આર્યસમાજીઓએ હરદ્વારમાં ગુરુકુળ સ્થાપ્યું છે. તેઓ તેની પ્રશંસા ઘણી કરે છે. એમ કહે છે કે ગુરુકુળના વિદ્યાર્થીઓ બધી બાબતમાં હોંશિયાર છે. તેઓ અભ્યાસ કરીને બહાર આવશે, ત્યારે લોકો એમની શક્તિને જોઈને આશ્ચર્ય પામશે.
આ બાબતમાં વિચાર કરીએ તો મુક્તકંઠે એમ કહેવું પડે, કે જૈન ગુરુકુળની અત્યંત આવશ્યક્તા છે. સ્ત્રીઓ વગેરેના પરિચયથી દૂર રહી પચીસ વર્ષ સુધી ધાર્મિક તથા વ્યવહારિક વિદ્યાનો (અંગ્રેજી ભાષા વગેરેનો) અભ્યાસ કરવો, દરરોજ કસરત કરવી, ખાવાનો ખોરાક પણ પૌષ્ટિક તેમજ જંગલની હવા પણ ઉત્તમ હોવાથી આ સ્થળે શરીરબળ અને જ્ઞાનબળ સારી રીતે વધે છે.
વળી અહીં ધર્મક્રિયાઓ કરવા માટે એક જુદો ઉપાશ્રય હોય, પૂજા કરવા માટે એક જિનમંદિર સારી રીતે તૈયાર કરેલું હોય, ભાષણો આપવા માટે હજારો વિદ્યાર્થીઓ બેસી શકે એવો એક સભામંડપ રચેલો હોય, વિદ્યાર્થીઓને રહેવા માટે જુદા જુદા ખંડ હોય, ભોજનશાળાનું સ્થાન પણ અલાયદુ હોય, વળી બીમાર વિદ્યાર્થીઓની સારવાર માટે પણ વ્યવસ્થા હોય.
આવા ગુરુકુળમાં વ્યવહારિક અને નીતિશિક્ષણનાં ધોરણો ઘડવામાં આવે. નીતિમાન અને ધર્મપ્રેમી શિક્ષકો શિક્ષણ આપતા હોય. વળી ધાર્મિક શિક્ષણનું જ્ઞાન આપવા માટે ઉચ્ચ ધાર્મિક કેળવણી પામેલા ગુરુઓ અને શિક્ષકોની પણ, સગવડ કરવામાં આવી હોય, વળી જુદી જુદી વિદ્યાઓ શીખવવા માટે જુદા જુદા શિક્ષકો પણ રોકવામાં આવેલા હોય. અનેક પ્રકારના હુન્નરો શીખવવા માટે કેટલાક નિષ્ણાતો પણ રાખવા જોઈએ. આવી જ રીતે આમાં એક સમૃદ્ધ લાઈબ્રેરી પણ હોવી જોઈએ.
આવા ગુરુકુળમાં ધ્યાન કરવા માટે જુદી જુદી જગ્યાઓ હોય, વિદ્યાર્થીઓ પાસે અમુક વર્ષ સુધી ખાસ નિયમો પાળીને ભણવાની કબૂલાત કરાવેલી હોય.
For Private and Personal Use Only