________________
૩૭.
શ્રી સિદ્ધચક્ર
તા. ૭-૧૧-૩૪
(દીપાલિકા પર્વનો દિવ્ય મહિમા) જે શાસનને આધારે આપણે જીવાજીવાદિક તત્ત્વને સમજી શકીએ છીએ, પાપના અત્યંત કટુક અને દુરંત વિપાકોને વિચારીને તેના કારણભૂત હિંસા, જૂઠ, ચોરી, સ્ત્રીગમન અને પરિગ્રહ વિગેરેથી સર્વથા દૂર રહેવા માગીએ છીએ, ભવાંતરમાં મોક્ષને માટે જોઇતી બાદરપણું, ત્રસેપણું, પંચેદ્રિયપણું, મનુષ્યપણું, પહેલું સંઘયણ વિગેરે સામગ્રી મેળવી આપનાર એવા પુણ્યના કારણોથી બેદરકાર રહેતા નથી, ઇંદ્રિય, કષાય, અવ્રત વિગેરે આવ્યવોને આત્માથી અલગ રાખવામાં અહર્નિશ ઉદ્યમ થવાય છે. મહાવ્રત, સમિતિ, ગુપ્તિ, ભાવના પરિષહોનું જિતવું વિગેરેથી અનાદિકાલથી આત્મામાં સતત આવવા પ્રવર્તેલા કર્મોને રોકવારૂપ સંવરને સિદ્ધ કરવા માટે જે સામર્થ્ય વપરાય છે, અનશન, ઉણોદરી વિગેરે તથા પ્રાયશ્ચિત્ત, વિનય વિગેરેમાં થતી નિર્જરાનું લક્ષ રાખી કોઈપણ ભોગે જે પ્રવૃત્તિ કરાય છે, અંતમાં સર્વથા પામવાલાયક એક જ જે પદ મોક્ષ નામનું છે તેને માટે તેના સાધનભૂત નિગ્રંથ પ્રવચન સિવાયના સર્વ પદાર્થોને અનર્થ કરનાર માનવા જે આ આત્મા ઉદ્યમવંત થાય છે તે સઘળો પ્રતાપ આ શાસનના પ્રણેતા શ્રમણ ભગવાન શ્રી મહાવીર મહારાજનો જ છે.
જો શ્રમણ ભગવાન મહાવીર મહારાજે પોતાના પહેલાના મનુષ્યભવમાં લાખ વરસ સુધી માસખમણની લાગલગાટ તપસ્યા કરવાપૂર્વક ચારિત્રઆરાધન કરીને આપણા જેવા જીવોના ઉદ્ધારને માટે તીર્થકર નામ ગોત્ર ન બાંધ્યું હોત તો અને જો વર્તમાન શાસન ન પ્રવર્તાવ્યું હોત તો આ દુષમ કાલના આપણા જેવા અનાથ પ્રાણીઓની ધર્મરહિત દશા થઈ શી વલે થાત ? આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજના વર્તમાન શાસનને નહિ પામેલા જીવો ઘણા જ તીવ્ર બુદ્ધિવાળા છતાં, રાજામહારાજની સ્થિતિમાં આવેલા છતાં, ન્યાયાધીશ અને દેશનેતાઓના નામે દેશમાં ગૌરવ પામ્યા છતાં, યુક્તિથી રહિત, શાસ્ત્રથી બાધિત એવા ઇશ્વરકર્તાપણાના અસદ આલંબનમાં ટિંગાઈ રહેલા જ હોય છે. આરંભ, પરિગ્રહમાં સદાકાલ આસક્ત, સ્ત્રી, પુત્ર-આદિ પરિવારના પોષણમાં પ્રતિદિન પરાયણ થયેલા, મોટી મોટી ઋદ્ધિ અને મોટી મોટી સમૃદ્ધિઓમાં સંડોવાયેલાના ગાદીપતિને નામે, તે જાદવકુલના બાળકને નામે કે મઠપતિના નામે માનવા તૈયાર થાય છે અને જગતમાત્રના જીવની ઉપર દયાની દૃષ્ટિ દાખવવારૂપી ધર્મના સ્વરૂપ કે હકીકત સાંભળતાં, સંતોષ પામવો તો દૂર રહ્યો, પણ આંખમાંથી અંગારા વરસે છે તો આપણે પણ જો આ ત્રિકાલાબાધિત અવિચ્છિન્ન પ્રભાવશાળી સર્વજ્ઞ વીતરાગ શ્રમણ ભગવાન મહાવીર મહારાજનું શાસન ન પામ્યા હોત તો શું ભવભ્રમણના ભરદરિયામાં ભટકવામાં કમી રહેત ખરા? કહો કે એવા ભયંકર ભવસમુદ્રના ભ્રમણથી કંઇપણ આપણે બચી શક્યા હોઇએ તો તે પ્રભાવ સર્વજ્ઞ ભગવાન મહાવીર મહારાજનો અને તેમના શાસનનો જ છે. | સામાન્ય રીતે સજ્જનતા એજ જગા ઉપર રહેલી ગણાય કે બીજાએ ઉપકારદૃષ્ટિ વિના પણ કરેલું કાર્ય જો આપણને ઉપકાર કરનારું થાય, તો તે કાર્ય કરનારને આપણે કૃતજ્ઞતાની દૃષ્ટિએ ઉપકારી માનવો