SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ શ્રી સિદ્ધચક્ર તા. ૨૨-૧૦-૩૪ - . , , , , , , , જિનેશ્વરની વાણીનું પાન કરતી એક ડોસી. સામાન્ય રીતે ત્રિલોકનાથ શ્રી જિનેશ્વર મહારાજની વાણી અનેક પ્રાણીઓને પોતપોતાની ભાષામાં પરિણમનારી છે, તેમજ નરકાદિક ગતિના ભયથી રક્ષણ કરનારી છે. વળી તે સાંભળતાં બધી દુન્યવી વસ્તુમાં કંટાળો આવે છે, પણ શ્રી જિનેશ્વરની વાણી સાંભળતાં કંટાળો આવતો નથી. જેમ તરુણ પુરુષ ચિંતા વગરનો, સુંદર શરીરસંપત્તિયુક્ત હોય અને દેવાંગના સરખી મનોહર સ્ત્રીનું મધુર સ્વરવાળું ગીત ગવાઈ રહ્યું હોય તે સાંભળતાં વૃદ્ધિ પામતો નથી, તેવી જ રીતે શ્રી જિનેશ્વરની વાણી સાંભળતાં તૃપ્તિ થતી નથી. તે માટે ઉદાહરણ આપતાં શાસ્ત્રકાર જણાવે છે કે કોઈક વણિકને ત્યાં એક ઘરડી દાસી છે. તે દાસીના શરીરે કરચલીઓ વળી ગઈ છે. વૃદ્ધપણાનાં ચિહ્નો જેના શરીરમાં તરી આવે છે. તે વણિકની સ્ત્રીએ એક દિવસ તે વૃદ્ધ દાસીને સવારના પહોરમાં લાકડાં (બળતણ) લાવવા જંગલમાં મોકલી. ખાધાપીધા વિના બિચારી શેઠાણીના હુકમને આધીન થઈ, હાથમાં ભારો બાંધવાનું દોરડું લઈ ચાલી નીકળી. જંગલમાં ઘણે દૂર ગઈ, ત્યાંથી લાકડાં વીણી વીણી એકઠાં ક્ય ને ભારો બાંધી ઘેર આવી. અત્યારે બરોબર મધ્યાહ્નનો સમય છે. સૂર્ય પોતાનું સામ્રાજ્ય જગતમાં સમાનપણે ચલાવી રહ્યો છે. જેઠ મહિનો છે એટલે જમીન ઉપર પગ તો મૂકી શકાતો નથી. આવા સખત તાપના વખતમાં ડોસી તરસથી તરફડતી અને ભૂખથી પીડાતી જેવી આંગણામાં ભારો લઈને આવી કે શેઠાણીએ બુમરાણ પાડી-તને બળાય તેટલાં પણ પૂરાં લાકડાં લાવી નથી, માટે જા ફરી જંગલમાં અને બીજાં લાકડાં લઈ આવ. ડોસી પરાધીન, ગુલામ જેવી, જિંદગીનો આધાર શેઠાણી ઉપર એટલે કરે શું? ફરી જંગલ તરફ ચાલી. સૂર્યદેવ પોતે છત્રની માફક મસ્તક ઉપર આવી રહ્યા છે. શરીરમાંથી પરસેવાના રેલા ચાલી રહ્યા છે, તરસથી ગળું સુકાય છે, જમીન પર પગ મૂકી શકાતો નથી, છતાં પેટની ખાતર ડોસી તો જંગલમાં પહોંચી. લાકડાં વીણી વીણીને થાકીને લોથપોથ થઈ ગઈ. ભારી બાંધી પાછી ઘર તરફ વળે છે, એટલામાં ભારીમાંથી એક લાકડું સરી પડ્યું તે લેવા માટે મારી માથા પર એક હાથે ટેકવી, બીજા હાથે પડેલું લાકડું લેવા જાય છે. તેવામાં યોજનગામિની વાણીના સ્વરથી દેશના દેતા, શ્રી જિનેશ્વર ભગવાનની મધુર અને કલ્યાણકારી દેશના સંભળાઈ. ઉપર વર્ણવેલી સ્થિતિમાં ડોસી એક પહોર સુધી એક ચિત્તે ભગવાનની વાણી સાંભળવામાં લીન થઈ ગઈ. માથા પર ભાર છે, એક હાથ લાકડું લેવા લાંબો ર્યો છે, સવારથી અત્યાર સુધીમાં કશું ખાધું નથી, તરસ પણ સજ્જડ લાગી છે, જંગલના તડકામાં આટલી મહેનત કરી છે, થાક ખૂબ લાગ્યો છે, છતાં ભગવાનની વાણી સાંભળવામાં આ અજ્ઞાન ડોસીને એટલો બધો રસ પડ્યો કે ભૂખ, તરસ, તડકો, ભાર, શેઠાણીનો ઠપકો બધું દુઃખ વિસરાઈ ગયું, અને શ્રીજિનેશ્વરની વાણીમાં એવી તરબોળ થઈ ગઈ કે પોતે બેઠી છે કે ઉભી છે તેનો પણ તેને ખ્યાલ નથી. તે માત્ર ભગવાનની વાણીમાં જ લીન થઈ ગઈ છે, એટલામાં સૂર્ય અસ્ત પામવાનો વખત થયો. શ્રી જિનેશ્વરે દેશના પૂરી કરી, પછી ડોસી પડેલું લાકડું ભારીમાં ઘાલી ઘર તરફ ચાલી. જિંદગીમાં આ વાણી સાંભળવાનો પ્રથમ અવસર પ્રાપ્ત થયો છે, છતાં એવો અપૂર્વ આનંદ થયો કે પોતાનું બધું દુઃખ તે ભૂલી ગઈ. આથી કલ્યાણના અથએ હંમેશાં જિનેશ્વરના વચનામૃતનું હૃદયસરોવરમાં સિંચન કરવું, જેથી શ્રદ્ધાવેલડી અંકુરિત થાય, સ્થિર રહે અને વૃદ્ધિ પામે, અને જ્ઞાન અને ચારિત્રરૂપ ફળફૂલ ખીલી નીકળે, અને મોક્ષરૂપ મધુર સ્વાદનું આસ્વાદન થાય.
SR No.520953
Book TitleSiddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages696
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy