SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ 178 પં. સુખલાલજી SAMBODHI લગતું વિવિધ કાર્ય ગુજરાતી ભાષામાં થયું છે. અને એ પ્રમાણમાં ઓછું નથી; ગુણવત્તામાં તો કદાચ એ, તે વિષયના બંગાળી સાહિત્ય કરતાં બીજે જ નંબરે આવી શકે, તેમ મને લાગ્યું છે. આ સાહિત્યમાં વૈદિક, બૌદ્ધ, જૈન, જરથૉસ્ટ્રી, યાહૂદીય, કિશ્ચિયન અને ઇસ્લામ એ બધાનો સમાવેશ થાય છે. માત્ર ગુજરાતી ભાષા દ્વારા કોઈ તત્ત્વજ્ઞાન વિષે પરિચય કરવા ઇચ્છે તોય, એને પુષ્કળ સામગ્રી મળી શકે તેવી ભૂમિકા તૈયાર છે. આ સામગ્રીમાં થોડું પણ એવું લખાણ મળી આવશે, કે જેને મહદંશે મૌલિક પણ કહી શકાય. આવા તત્ત્વજ્ઞાનીય સાહિત્યના વિવિધ પ્રકારોનું વિસ્તૃત વર્ણન આપવા જેવું છે જ; તે વર્ણન શ્રીયુત મુકુલભાઈ કલાર્થી, એમ.એ., એમણે તૈયાર કર્યું છે, જે અહીં યથાસમયે વંચાશે, અને જે ઘણું જ માહિતીપૂર્ણ છે. આ બીજી બાબતો ચર્ચવાની પાછળ મારી નેમ એ છે કે જેઓ તત્ત્વજ્ઞાનમાં રસ લેતા હોય અને જેઓ ભારતીય તત્ત્વજ્ઞાનની પરંપરાઓને ઠીક-ઠીક સમજવા ઇચ્છતા હોય, તેઓને એના મૂળ પ્રવાહોનો તેમ જ તેના વિકાસનો ટૂંકમાં પણ પ્રામાણિક ખ્યાલ આવે. પહેલાં હું તત્ત્વજ્ઞાનનો વિકાસ કયા ક્રમે થયેલો મને જણાય છે તે જણાવવા પ્રયત્ન કરું છું. તાત્ત્વિક મુદ્દાઓ અને તેનો વિકાસક્રમ સામાન્ય રીતે તત્ત્વજ્ઞાનના મુખ્ય ત્રણ વિષયો મનાય છે અથવા છે : ૧. ભૌતિક યા અચેતન તત્ત્વ-અધિભૂત; ૨. જીવ, આત્મા યા ચિત્તતત્ત્વ-અધિદેવ; ૩. પરમચેતન પરમાત્મા યા બૃહતુંઅધિબ્રહ્મ. આમાંથી જે ભૌતિક જગત છે, તે નેત્ર આદિ બાહ્ય ઇન્દ્રિયો દ્વારા એક યા બીજી રીતે ગમ્ય થવાની શક્યતા ધરાવે છે અને તે જગત સર્વ ચેતન માટે યા સર્વ દ્રષ્ટાઓ માટે સાધારણ છે. અર્થાત ભૌતિક વિશ્વ યા તેની ઘટનાઓ એ કેવળ એક જ વ્યક્તિ દ્વારા ગમ્ય થઈ શકે તેવી નથી હોતી. તેથી ભૌતિક વિશ્વ પરત્વે અનેક ચિંતકો પોતપોતાની શક્તિ અને રુચિ અનુસાર અવલોકન તેમ જ ચિંતન કરતા રહ્યા છે. પણ આથી ઊલટું અધિદેવ યા ચિત્તતત્ત્વ વિશે છે. ચિત્ત એ આંતરિક તત્ત્વ છે. એનું સીધું અવલોકન કે ચિંતન એ માત્ર તે જ કરી શકે છે. * ચિત્ત યા વરુ જીવનું સાક્ષાત્ નિરીક્ષણ યા ચિંતન એ કે વ્યક્તિ કરી ન શકે. તેથી જીવ, આત્મા કે ચિત્ત પરત્વેનાં અવલોકનો યા અનુભવો એ દરેક વ્યક્તિનાં આગવાં હોય છે; ભલે એમાં પરસ્પરના વિચાર વિનિમયથી સામ્ય દેખાય. ભૌતિક વિશ્વના નિરીક્ષણ વખતેય અનુભવ કરનારને પોતાના ચિત્તનું કાંઈક ને કાંઈક ભાન તો થતું જ રહે છે; પણ જ્યારે અનુભવિતા મુખ્યપણે અંતર્મુખ થઈ પોતાના આંતરિક સ્વરૂપનું અવલોકન કરે છે, ત્યારે એનું ભાન અને ચિંતન વધારે વિશાળ તેમ જ સ્પષ્ટ બને છે. અંતરિન્દ્રિયની યા મનની ગૂઢ શક્તિનો વિકાસ થયા પછી એની એવી પણ ભૂમિકા આવે છે કે જ્યારે તે સર્વ જીવાત્મા કે સર્વ ચિત્તતત્ત્વના અધિષ્ઠાન થા અન્તર્યામી તત્ત્વનો વિચાર કરવા પ્રેરાય છે. અને તે જાણવા પ્રયત્ન કરે છે કે કીટ-પતંગથી મનુષ્ય સુધીની ચડતી ઊતરતી કક્ષાઓના ચેતનવર્ગમાં કાંઈ એવું છે કે જે વસ્તુસ્થિતિએ એક જ હોય યા સમાન હોય ? આ પ્રયત્ન છેવટે પરમાત્મા, ઈશ્વર કે બૃહત્ તત્ત્વની શોધમાં પરિણમે છે. તત્ત્વજ્ઞાનને લગતો આ વિકાસક્રમ ભારતીય પરંપરાઓમાં કેવી રીતે વ્યક્ત થયો છે, તે હવે આપણે જોઈએ.
SR No.520791
Book TitleSambodhi 2018 Vol 41
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2018
Total Pages256
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy