________________
134
SAMBODHI
નીલાંજના શાહ ર૬). નર્મદા સુંદરીની કથા વળી વિચિત્ર છે. સમુદ્રમાં પતિ સાથે વહાણમાં જતાં, તેણે દૂર રહેલા વહાણમાં બેસીને ગીત ગાતા પુરુષનું, તેના સ્વર પરથી આબેહૂબ વર્ણન કર્યું, તેથી પતિએ વહેમાઈને તેનો ત્યાગ કર્યો. ત્યારબાદ નર્મદા સુંદરીએ વેઠેલી પારાવાર મુશ્કેલીઓની પરાકાષ્ટા તો ત્યારે આવી જ્યારે એક અજાણ્યા પ્રદેશમાં, ત્યાંના રાજાને ત્યાં તેને વેશ્યા તરીકેની કામગીરી કરવી પડે, એવા સંજોગો ઊભા થયા. તેમાંથી ઉગરવા બુદ્ધિ વાપરી તેણે પોતે ગાંડી સ્ત્રી હોવાનો દેખાવ કરીને, પોતાનું શીલ જાળવ્યું. પૂર્વજન્મમાં તેણે ધર્મરુચિ નામના મહાત્માને પ્રતિમારહિત જોઈને તેમને ઘણા ઉપસર્ગ કર્યા હતાં, તેના પરિણામે આ વિપત્તિઓ તેને સહેવી પડી(કથા નં.૨૭).
- ચંદ્રરાજાને પરણેલી રતિસુંદરીએ નેત્રોની સુંદરતાને લીધે, તેના પર મોહાંધ બનેલા મહેન્દ્ર રાજાનો રાગ નિર્મૂળ કરવા, પોતાનાં લોચન કાઢીને, તે રાજાના હાથમાં મૂક્યાં. તેને નવાં લોચન આપીને શીલદેવતાએ તેના શીલને પ્રમાણિત કર્યું. (કથા નં. ૨૮) ઋષિદત્તાની લાંબી અને અવનવી કથા બધી કથાઓમાં સાવ જુદી જ ભાત પાડે છે. તેની સપત્ની રુકિમણીએ સુલસા નામની મેલી વિદ્યાની જાણકાર યોગિનીને સાધી, ઋષિદત્તા પર મનુષ્યઘાતક હોવાનું આળ ચઢાવ્યું. પરિણામે તેના પતિએ ન છૂટકે તેનો ત્યાગ કર્યો. સમય જતાં સાચી વાત જાણતાં, તેનો પતિ રુકિમણીનો તિરસ્કાર કરે છે, ત્યારે ઋષિદત્તા પતિ પાસે તેનો સ્વીકાર કરાવી, પોતાની નિરતિશય ઉદારતાનો પરિચય આપે છે. તેણે ગતજન્મમાં ઈર્ષાથી પ્રેરાઈને કોઈ પવિત્ર તપસ્વિની પર માંસ ખાવાનું આળ ચઢાવેલું, તેનાં પરિણામ તેણે આ જન્મમાં ભોગવ્યાં (કથા નં. ૨૯). દવદંતીની એટલે કે દમયંતીની કથા પણ “શી. મા.”માં મળે છે અને તે મહાભારતમાંની નલકથાને ઘણી મળતી આવે છે. “શી. મા."ની કથા પ્રમાણે, તેણે પૂર્વજન્મમાં સામે મળેલા એક મુનિને અપશુકન માની બાર ઘડી રોકી રાખ્યા હતા, તેથી નલે આ જન્મમાં તેનો બાર વર્ષ માટે ત્યાગ કર્યો. પોતાના શીલના ઉત્કર્ષ વડે તેણે પોતાને રક્ષણ આપતા કાફલાને ભીલોથી લૂંટાતો બચાવ્યો, વરસાદને થંભાવ્યો અને સૂકી નદીને પાણીથી છલકાવી દીધી(કથા નં. ૩૦).
સામાન્ય રીતે શીલવતી સ્ત્રીઓને લગતી “શી. મા.”ની કથાઓમાં ચમત્કારો વગેરેનો ઉલ્લેખ અને અદ્ભુત તત્ત્વનું નિરૂપણ વારંવાર આવે છે, ત્યારે શીલવતી નામની એક બુદ્ધિમતી સ્ત્રીની કથા બીજી કથાઓથી જુદી પડે છે. તેમાં કોઈ શાસન દેવતાનો ચમત્કાર નથી, પણ જે બધું બને છે, તે બુદ્ધિના ચમત્કારથી બને છે. આ શીલવતી પશુપક્ષીઓની ભાષા જાણતી હતી અને તેનો લાભ લઈને એક રાત્રે ધન મેળવે છે. તેના શ્વસુર તેના આ વિશિષ્ટ વિજ્ઞાનથી અજાણ હોવાથી, તેના શીલ પર શંકા કરી, તેને પિયર મૂકવા જાય છે. રસ્તામાં શીલવતીના અસાધારણ બુદ્ધિ કૌશલ્યનો પરચો તેમને મળે છે અને તેમને તેના પ્રત્યે માન જાગે છે.
આ શીલવતીએ, રાજાએ તેના શીલની પરીક્ષા કરવા જે ચાર મિત્રો મોકલ્યા, તેમની પોતાના અપ્રતિમ બુદ્ધિચાતુર્યથી અવદશા કરીને રાજાને એવો પાઠ શીખવાડ્યો કે રાજાને પણ એના શીલની પ્રશંસા કરવી પડી(કથા નં. ૩૩). વિષયસુખમાં લલચાઈ જવાને લીધે, દ્રૌપદીએ પૂર્વજન્મમાં નિયાણું કર્યું, તેથી મોક્ષદાયક તપને ગુમાવ્યું, તે સંદર્ભમાં તેની કથા છે (કથા નં. ૩૭).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org