________________ ચતુર્થ ચિત્ર- અન્યત્વભાવના (શાર્દૂલવિક્રીડિત) ના મારાં તન રૂપ કાંતિ યુવતી, ના પુત્ર કે ભ્રાત ના, ના મારાં ભૂત સ્નેહીઓ સ્વજન કે, ના ગોત્ર કે જ્ઞાત ના: ના મારાં ધન ધામ યૌવન ધરા, એ મોહ અજ્ઞાત્વના; રે રે! જીવ વિચાર એમ જ સદા, અન્યત્વદા ભાવના. વિશેષાર્થ આ શરીર તે મારું નથી, આ રૂપ તે મારું નથી, આ કાંતિ તે મારી નથી, આ સ્ત્રી તે મારી નથી, આ પુત્ર તે મારા નથી, આ ભાઈઓ તે મારા નથી, આ દાસ તે મારા નથી, આ સ્નેહીઓ તે મારા નથી, આ સંબંધીઓ તે મારા નથી, આ ગોત્ર તે મારું નથી, આ જ્ઞાતિ તે મારી નથી, આ લક્ષ્મી તે મારી નથી, આ મહાલય તે મારાં નથી, આ યૌવન તે મારું નથી, અને આ ભૂમિ તે મારી નથી, માત્ર એ મોહ અજ્ઞાનપણાનો છે. સિદ્ધગતિ સાધવા માટે હે જીવ! અન્યત્વનો બોધ દેનારી એવી તે અન્યત્વભાવનાનો વિચાર કર ! વિચાર કર ! મિથ્યા મમત્વની ભ્રમણા ટળવા માટે, અને વૈરાગ્યની વૃદ્ધિને માટે પ્રભાવથી મનન કરવા યોગ્ય રાજરાજેશ્વર ભરતનું ચરિત્ર અહીં આગળ ટાંકીએ છીએઃ રાજરાજેશ્વર ભરતનું ચરિત્ર દ્રષ્ટાંતઃ- જેની અશ્વશાળામાં રમણીય, ચતુર અને અનેક પ્રકારના તેજી અશ્વના સમૂહ શોભતા હતા, જેની ગજશાળામાં અનેક જાતિના મદોન્મત્ત હસ્તીઓ ઝૂલી રહ્યા હતા, જેના અંતઃપુરમાં નવયૌવના સુકુમારિકા અને મુગ્ધા સ્ત્રીઓ સહસગમે વિરાજી રહી હતી, જેના ધનનિધિમાં ચંચળા એ ઉપમાથી વિદ્વાનોએ ઓળખેલી સમુદ્રની પુત્રી લક્ષ્મી સ્થિરરૂપ થઈ હતી, જેની આજ્ઞાને દેવ દેવાંગનાઓ આધીન થઈને મુકુટ પર ચડાવી રહ્યાં હતાં, જેને પ્રાશન કરવાને માટે નાના પ્રકારનાં ષટુરસ ભોજનો પળે પળે નિર્મિત થતાં હતાં, જેના કોમલ કર્ણના વિલાસને માટે ઝીણાં અને મધુરસ્વરી ગાયનો કરનારી વારાંગનાઓ તત્પર હતી. જેને નિરીક્ષણ કરવા માટે અનેક પ્રકારનાં નાટક ચેટક હતાં. જેની યશસ્કીર્તિ વાયુરૂપે પ્રસરી જઈ આકાશ જેવી વ્યાપ્ત હતી; જેના શત્રુઓને સુખથી શયન કરવાનો વખત આવ્યો ન હતો; અથવા જેના વૈરીની વનિતાઓનાં નયનોમાંથી સદૈવ આંસુ ટપકતાં હતાં, જેનાથી કોઈ શત્રુવટ દાખવવા તો સમર્થ નહોતું, પણ સામાં નિર્દોષતાથી આંગળી ચીંધવાયે પણ કોઈ સમર્થ નહોતું; જેની સમક્ષ અનેક મંત્રીઓના સમુદાય તેની