________________ જળ સંબંધીના કામભોગ, તેમજ મનોહારિણી સ્ત્રીઓના મુખવચનનું મધુરું શ્રવણ છતાં એ સઘળાંનો ત્યાગ કરીને મુનિત્વમાં તમે મહા ઉદ્યમ કરો છો એનું શું કારણ ? તે મને અનુગ્રહથી કહો.” રાજાનાં વચનનો આવો અર્થ સાંભળીને મુનિએ કહ્યું, “હું અનાથ હતો. હે મહારાજા ! મને અપૂર્વ વસ્તુનો પ્રાપ્ત કરાવનાર તથા યોગક્ષેમનો કરનાર, મારા પર અનુકંપા આણનાર, કરુણાથી કરીને પરમસુખનો દેનાર, સુહનું - મિત્ર લેશમાત્ર પણ કોઈ ન થયો. એ કારણ અનાથીપણાનું હતું.” શ્રેણિક, મુનિનાં ભાષણથી સ્મિત હસી પડયો. “અરે ! તમારે મહા રિદ્ધિવંતને નાથ કેમ ન હોય ? લો, કોઈ નાથ નથી તો હું થઉં છું. હે ભયત્રાણ ! તમે ભોગ ભોગવો. હે સંયતિ ! મિત્ર ! જ્ઞાતિએ કરી દુર્લભ એવો તમારો મનુષ્યભવ સુલભ કરો !" અનાથીએ કહ્યું, “પરંતુ અરે શ્રેણિક, મગધદેશના રાજા ! તું પોતે અનાથ છો તો મારો નાથ શું થઈશ ? નિર્ધન તે ધનાઢ્ય કયાંથી બનાવે ? અબુધ તે બુદ્ધિદાન ક્યાંથી આપે ? અજ્ઞ તે વિદ્વત્તા ક્યાંથી દે ? વંધ્યા તે સંતાન ક્યાંથી આપે ? જ્યારે તું પોતે અનાથ છો, ત્યારે મારો નાથ ક્યાંથી થઈશ ?" મુનિનાં વચનથી રાજા અતિ આકુળ અને અતિ વિસ્મિત થયો. કોઈ કાળે જે વચનનું શ્રવણ થયું નથી એવાં વચનનું યતિમુખપ્રતિથી શ્રવણ થયું એથી તે શંકાગ્રસ્ત થયો. “હું અનેક પ્રકારના અશ્વનો ભોગી છું, અનેક પ્રકારના મદોન્મત્ત હાથીઓનો ધણી છું, અનેક પ્રકારની સેના અને આધીન છે; નગર, ગ્રામ, અંતઃપુર અને ચતુષ્પાદની મારે કંઈ ન્યૂનતા નથી, મનુષ્ય સંબંધી સઘળા પ્રકારના ભોગ મને પ્રાપ્ત છે; અનુચરો મારી આજ્ઞાને રૂડી રીતે આરાધે છે; પાંચ પ્રકારની સંપત્તિ મારે ઘેર છે; સર્વ મનવાંછિત વસ્તુઓ મારી સમીપે રહે છે. આવો હું જાજ્વલ્યમાન છતાં અનાથ કેમ હોંઉં ? રખે હે ભગવન ! તમે મૃષા બોલતા હો.” મુનિએ કહ્યું, “હે રાજા ! મારા કહેલા અર્થની ઉપપત્તિને તું બરાબર સમજ્યો નથી. તું પોતે અનાથ છે, પરંતુ તે સંબંધી તારી અજ્ઞતા છે. હવે હું કહું છું તે અવ્યગ્ર અને સાવધાન ચિત્તે કરીને તું સાંભળ, સાંભળીને પછી તારી શંકાનો સત્યાસત્ય નિર્ણય કરજે. મેં પોતે જે અનાથપણાથી મુનિત્વ અંગીકૃત કર્યું છે તે હું પ્રથમ તને કહું છું. કૌશાંબી નામે અતિ જીર્ણ અને વિવિધ પ્રકારના ભેદની ઉપજાવનારી એક સુંદર નગરી છે. ત્યાં રિદ્ધિથી પરિપૂર્ણ ધનસંચય નામનો મારો પિતા રહેતો હતો. પ્રથમ યૌવનવયને વિષે હે મહારાજા ! અતુલ્ય અને ઉપમારહિત મારી આંખોને વિષે વેદના ઉત્પન્ન થઈ. દુ:ખપ્રદ દાહજ્વર આખે શરીરે પ્રવર્તમાન થયો. શસ્ત્રથી પણ અતિશય તીક્ષ્ણ તે રોગ વૈરીની પેઠે મારા પર કોપાયમાન થયો. મારું મસ્તક તે આંખની અસહ્ય વેદનાથી દુઃખવા લાગ્યું. ઇંદ્રના વજાના પ્રહાર સરખી, બીજાને પણ રૌદ્ર ભય ઉપજાવનારી, એવી તે અત્યંત પરમ દારણ વેદનાથી હું બહુ શોકાર્ત હતો. શારીરિક વિદ્યાના નિપુણ, અનન્ય મંત્રમૂળીના સૂત્ત વૈદરાજ મારી તે વેદનાનો નાશ કરવાને માટે આવ્યા; અનેક પ્રકારના ઔષધોપચાર કર્યા પણ તે વૃથા ગયા. એ મહાનિપુણ ગણાતા વૈદરાજો મને તે દરદથી મુક્ત કરી શક્યા નહીં. એ જ હે રાજા ! મારું અનાથપણું હતું. મારી આંખની વેદના ટાળવાને માટે મારા પિતાએ સર્વ ધન આપવા માંડ્યું, પરંતુ તેથી કરીને પણ મારી તે વેદના ટળી નહીં. હે રાજા ! એ જ મારું અનાથપણું હતું. મારી માતા પુત્રના શોકે કરીને અતિ દુઃખાર્ત થઈ;