SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ પરંતુ તે પણ મને તે દરદથી મુકાવી શકી નહીં, એ જ હે મહારાજા ! મારું અનાથપણું હતું. એક ઉદરથી ઉત્પન્ન થયેલા મારા જયેષ્ઠ અને કનિષ્ઠ ભાઈઓ પોતાથી બનતો પરિશ્રમ કરી ચૂક્યા પણ મારી વેદના ટળી નહીં. હે રાજા ! એ જ મારું અનાથપણું હતું. એક ઉદરથી ઉત્પન્ન થયેલી મારી જયેષ્ઠા અને કનિષ્ઠા ભગિનીઓથી મારું દુઃખ ટળ્યું નહીં. હે મહારાજા ! એ જ મારું અનાથપણું હતું. મારી સ્ત્રી જે પતિવ્રતા, મારા પર અનુરક્ત અને પ્રેમવતી હતી, તે આંખે પરિપૂર્ણ આંસુ ભરી મારા હૃદયને સિંચતાં ભીંજાવતી હતી. અન્ન, પાણી, અને નાના પ્રકારનાં અંઘોલણ, ચૂવાદિક સુગંધી દ્રવ્ય, અનેક પ્રકારનાં ફૂલ ચંદનાદિકનાં વિલેપન મને જાણતા અજાણતાં કર્યા છતાં પણ હું તે યૌવનવંતી સ્ત્રીને ભોગવી ન શક્યો. મારી સમીપથી ક્ષણ પણ અળગી નહોતી રહેતી, અન્ય સ્થળે જતી નહોતી, હે મહારાજા ! એવી તે સ્ત્રી પણ મારા રોગને ટાળી શકી નહીં, એ જ મારું અનાથપણું હતું. એમ કોઈના પ્રેમથી, કોઈના ઔષધથી, કોઈના વિલાપથી કે કોઈના પરિશ્રમથી એ રોગ ઉપશમ્યો નહીં. મેં એ વેળા પુનઃ પુનઃ અસહ્ય વેદના ભોગવી. પછી હું અનંત સંસારથી ખેદ પામ્યો. એક વાર જો હું મહાવિડંબનામય વેદનાથી મુક્ત થાઉં તો ખંતી, દંતી અને નિરારંભી પ્રવૃજ્યાને ધારણ કરું, એમ ચિંતવતો હું શયન કરી ગયો. જ્યારે રાત્રી અતિક્રમી ગઈ ત્યારે તે મહારાજા ! મારી તે વેદના ક્ષય થઈ ગઈ; અને હું નીરોગી થયો. માત, તાત અને સ્વજન, બંધવાદિકને પ્રભાતે પૂછીને મેં મહા ક્ષમાવંત ઇંદ્રિયને નિગ્રહ કરવાવાળું, અને આરંભોપાધિથી રહિત એવું અણગારત્વ ધારણ કર્યું. ત્યાર પછી હું આત્મા પરાત્માનો નાથ થયો. સર્વ પ્રકારના જીવનો હું નાથ છું.” અનાથી મુનિએ આમ અશરણભાવના તે શ્રેણિકરાજાના મન પર દ્રઢ કરી. હવે બીજો ઉપદેશ તેને અનુકૂળ કહે છે. હે રાજા ! આ આપણો આત્મા જ દુઃખની ભરેલી વૈતરણીનો કરનાર છે. આપણો આત્મા જ ક્રૂર શાલ્મલિ વૃક્ષનાં દુઃખનો ઉપજાવનાર છે. આપણો આત્મા જ મનવાંછિત વસ્તુરૂપી દૂધની દેવાવાળી કામધેનુ ગાયનાં સુખનો ઉપજાવનાર છે. આપણો આત્મા જ નંદનવનની પેઠે આનંદકારી છે. આપણો આત્મા જ કર્મનો કરનાર છે. આપણો આત્મા જ તે કર્મનો ટાળનાર છે. આપણો આત્મા જ દુ:ખોપાર્જન કરનાર છે. આપણો આત્મા જ સુખોપાર્જન કરનાર છે. આપણો આત્મા જ મિત્ર ને આપણો આત્મા જ વૈરી છે. આપણો આત્મા જ કનિષ્ઠ આચારે સ્થિત અને આપણો આત્મા જ નિર્મળ આચારે સ્થિત રહ્યો છે.” એ તથા બીજા અનેક પ્રકારે તે અનાથી મુનિએ શ્રેણિકરાજા પ્રત્યે સંસારનું અનાથપણું કહી બતાવ્યું. પછી શ્રેણિકરાજા અતિ સંતોષ પામ્યો. યુગ હાથની અંજલિ કરીને એમ બોલ્યો કે, “હે ભગવન ! તમે મને ભલી રીતે ઉપદેશ્યો. તમે એમ હતું તેમ અનાથપણું કહી બતાવ્યું. હે મહાઋષિ ! તમે સનાથ, તમે સબંધવ અને તમે સધર્મ છો, તમે સર્વ અનાથના નાથ છો. હે પવિત્ર સંયતિ ! હું ક્ષમાવું છું. જ્ઞાનરૂપી તમારી શિક્ષાને વાંછું છું. ધર્મધ્યાનમાં વિઘ્ન કરવાવાળું ભોગ ભોગવવા સંબંધીને મેં તમને હે મહાભાગ્યવંત ! જે આમંત્રણ કીધું તે સંબંધીનો મારો અપરાધ મસ્તકે કરીને ક્ષમાવું છું.” એવા પ્રકારથી સ્તવીને રાજપુરુષકેસરી પરમાનંદ પામી રોમરાયના વિકસિત મૂળસહિત પ્રદક્ષિણા કરીને વિનયે કરી વંદન કરીને સ્વસ્થાનકે ગયો.
SR No.330021
Book TitleVachanamrut 0016 02 Asharan Bhavana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy