________________ દ્વિતીય ચિત્ર- અશરણભાવના (ઉપજાતિ) સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાંહ્ય હાશે. વિશેષાર્થસર્વજ્ઞ જિનેશ્વર દેવે નિઃસ્પૃહતાથી બોધેલો ધર્મ ઉત્તમ શરણરૂપ જાણીને મન, વચન અને કાયાના પ્રભાવ વડે હે ચેતન ! તેને તું આરાધ, આરાધ. તું કેવલ અનાથરૂપ છો તે સનાથ થઈશ. એના વિના ભવાટવીભ્રમણમાં તારી બાંય કોઈ સાહનાર નથી. જે આત્માઓ સંસારનાં માયિક સુખને કે અવદર્શનને શરણરૂપ માને તે અધોગતિ પામે, તેમજ સદૈવ અનાથ રહે એવો બોધ કરનારું ભગવાન અનાથી મુનિનું ચરિત્ર પ્રારંભીએ છીએ, એથી અશરણભાવના સુદ્રઢ થશે. અનાથી મુનિ દ્રષ્ટાંતઃ- અનેક પ્રકારની લીલાથી યુક્ત મગધ દેશનો શ્રેણિક રાજા અશ્વક્રીડાને માટે મંડિકુક્ષ એ નામના વનમાં નીકળી પડ્યો. વનની વિચિત્રતા મનોહારિણી હતી. નાના પ્રકારનાં તરુકુંજ ત્યાં આવી રહ્યાં હતાં, નાના પ્રકારની કોમળ વલ્લિકાઓ ઘટાટોપ થઈ રહી હતી, નાના પ્રકારનાં પંખીઓ આનંદથી તેનું સેવન કરતાં હતાં; નાના પ્રકારનાં પક્ષીઓનાં મધુરાં ગાયન ત્યાં સંભળાતાં હતાં; નાના પ્રકારનાં ફૂલથી તે વન છવાઈ રહ્યું હતું; નાના પ્રકારનાં જળનાં ઝરણાં ત્યાં વહેતાં હતાં; ટૂંકામાં સૃષ્ટિ-સૌંદર્યના પ્રદર્શનરૂપ હોઈને તે વન નંદનવનની તુલ્યતા ધરાવતું હતું. ત્યાં એક તરુ તળે મહા સમાધિવત પણ સુકુમાર અને સુખોચિત મનિને તે શ્રેણિકે બેઠેલા દીઠા. એનું રૂપ દેખીને તે રાજા અત્યંત આનંદ પામ્યો. એ અતુલ્ય ઉપમારહિત રૂપથી વિસ્મય પામીને મનમાં તેની પ્રશંસા કરવા લાગ્યો. અહો ! આ મુનિનો કેવો અદભુત વર્ણ છે! અહો ! એનું કેવું મનોહર રૂપ છે ! અહો ! આ આર્યની કેવી અદભુત સૌમ્યતા છે ! અહો ! આ કેવી વિસ્મયકારક ક્ષમાના ધરનાર છે ! અહો ! આના અંગથી વૈરાગ્યની કેવી ઉત્તમ સ્કૂરણા છે ! અહો ! આની કેવી નિર્લોભતા જણાય છે ! અહો ! આ સંયતિ કેવું નિર્ભય અપ્રભુત્વ-નમ્રપણું ધરાવે છે! અહો ! એનું ભોગનું અસંગતિપણું કેવું સુદ્રઢ છે ! એમ ચિંતવતો ચિંતવતો, મુદિત થતો થતો, સ્તુતિ કરતો કરતો, ધીમેથી ચાલતો ચાલતો, પ્રદક્ષિણા દઈને તે મુનિને વંદન કરીને અતિ સમીપ નહીં તેમ અતિ દૂર નહીં એમ તે બેઠો. પછી બે હાથની અંજલિ કરીને વિનયથી તેણે મુનિને પૂછ્યું, “હે આર્ય ! તમે પ્રશંસા કરવા યોગ્ય એવા તરુણ છો; ભોગવિલાસને માટે તમારું વય અનુકૂળ છે; સંસારમાં નાના પ્રકારનાં સુખ રહ્યાં છે; ઋતુ-ઋતુના કામભોગ,