________________
પર્વારાધના
૪૦૩
વધારે ભયંકર કમ છે. જ્યાં સુધી આ કર્મ જીવને લાગેલું છે ત્યાં સુધી જીવ સમ્યગુદર્શન પામી શકતો નથી. અને સમ્યગુદર્શન ન હોય ત્યાં સુધી કેવળજ્ઞાન અને મોક્ષની તો વાત જ શાની હોય ?
આમ, આ આઠ કર્મોમાં મર્મરૂપ જો કોઈ કર્મ હોય તો તે મોહનીય કર્મ છે, તેમાં પણ મિથ્યાત્વ મોહનીય કર્મ છે. એ મિથ્યાત્વ મોહનીય કર્મને ભેદવામાં આવે તો ત્યારપછી બાકીનાં કર્મોનો ક્ષય કરવાનું તેના જેટલું કઠિન નથી. એટલા માટે પર્યુષણ પર્વ મિથ્યાત્વ મોહનીય કર્મને હણવા માટેનું પર્વ છે અને એથી જ કહેવાયું છે કે જિનશાસનમાં જે જુદાં જુદાં પર્વ છે તેમાં પર્યુષણ પર્વ જેવું બીજું કોઈ પર્વ નથી. પર્યુષણ પર્વાધિરાજ છે, પર્વશિરોમણિ છે.
આઠ પ્રકારનાં કર્મને હાથીની ઉપમા આપવામાં આવે છે. હાથીના ચાર પગ તે આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય કર્મ છે. હાથીની બે આંખો તે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ છે. હાથીની પૂંછડી તે અંતરાય કર્મ છે. હાથીનું આખું શરીર તે મોહનીય કર્મ છે. અને હાથીનું ગંડસ્થળ તે મિથ્યાત્વ મોહનીય કર્મ છે. તોફાને ચઢેલા મદોન્મત્ત હાથીને વશ કરવો હોય તો એના પગ કે સુંઢ બાંધવાથી તે વશ થતો નથી, પરંતુ અંકુશ વડે એના ગંડસ્થળને ભેદવામાં આવે તો તે તરત શાંત થઈ જાય છે, વશ થઈ જાય છે, કારણ કે મર્મસ્થાન ઉપર પ્રહાર તે સહન કરી શકતો નથી. અંકુશ એક નાનું સરખું હથિયાર છે. એની બે અથવા ત્રણ તીક્ષણ પાંખ જરાક સરખી ભોંકાતાં હાથી શાંત થઈ જાય છે. આ અંકુશ ક્ષમા, વિનય, કૃતજ્ઞતારૂપી છે. એ ગુણો વડે જીવે મિથ્યાત્વ મોહનીય કર્મને હટાવવાનું છે.
જિનશાસનમાં જે જુદાં જુદાં પર્વ છે તેમાંનાં કેટલાંક પર્વ દર્શન વિશુદ્ધિ માટે છે, કેટલાંક પર્વ જ્ઞાનવિશુદ્ધિ માટે છે અને કેટલાંક પર્વ ચારિત્રવિશુદ્ધિ માટે છે. પર્યુષણ પર્વ મુખ્યત્વે દર્શનવિશુદ્ધિનું મોટું પર્વ છે, કારણ કે પર્યુષણા પર્વ મિથ્યાત્વને દૂર કરી સમ્યક્તને પ્રાપ્ત કરવા માટેનું પર્વ છે. પર્યુષણ પર્વ એટલા માટે સમક્તિની આરાધના માટેનું પર્વ છે.
પર્યુષણ પર્વની રૂડી પેરે આરાધના કરવી હોય તો તેને માટે પૂર્વાચાર્યોએ પાંચ મહત્ત્વનાં કર્તવ્યો બતાવ્યાં છે : (૧) અમારિ પ્રવર્તન (૨) સાધર્મિક વાત્સલ્ય (૩) અઠ્ઠમતપ (૪) ચૈત્યપરિપાટી અને (૫) ક્ષમાપના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org