________________
દયાપ્રેરિત હત્યા ઇતર અને જૈન તત્ત્વદૃષ્ટિ
૩૮૩
કોઈક વ્યક્તિને જ્યારે અસહ્ય શારીરિક પીડા થતી હોય ત્યારે મોતની ઇચ્છા કરે પણ ખાવાનું આપવામાં આવે ત્યારે એને ગમે, એને ભાવે, એમાં એટલો જ રસ પડે, તો તે વ્યક્તિની મૃત્યુની ઇચ્છા ક્ષણિક અને સંયોગવશાત્ છે એમ સમજાય. વસ્તુત: એને જીવવું ગમે છે એવો જ અર્થ થાય. આવી વિસંગત પરિસ્થિતિમાં એની મૃત્યુની ઇચ્છાને કેટલી ગંભીર ગણવી એ વિચારણીય પ્રશ્ન છે. એક તરફ પોતાના જીવનનો અંત આણવો છે અને બીજી બાજુ પોતાના જીવનનું પોષણ પણ કરવું છે એવી બેય ઇચ્છાઓ એક સાથે અથવા વારાફરતી ન થાય એવું નથી. જીવન અને મૃત્યુની સમસ્યા આપણે ધારીએ છીએ એટલી સરળ નથી. મનુષ્યના ચિત્તના વ્યાપારો કેટલા બધા ચંચલ અને સંકુલ હોય છે એની પ્રતીતિ આવે વખતે થાય છે.
અસહ્ય પીડા ભોગવતી જે વ્યક્તિ ખરેખર મૃત્યુની ઇચ્છા જાગ્રતપણે ધરાવતી હોય તે વ્યક્તિ પોતાના જીવનનો અંત બીજાઓ દ્વારા આણવામાં આવે એવી ઇચ્છા કરવાને બદલે પોતે સ્વેચ્છાએ આહાર-પાણી લેવાનું સદંત૨ બંધ કરે તો તેના જીવનનો જલદી અંત આવી શકે છે. તેમાં કાયદાનો કોઈ પ્રશ્ન આવતો નથી.
જે માણસો અતિશય વેદના ભોગવતી વખતે એમ બોલતા હોય છે કે ‘હે ભગવાન ! હવે તો મોત આવે તો સારું', એવા કેટલાક યુવાનો કે વૃદ્ધો જ્યારે ખરેખર મૃત્યુ આવીને ઊભું રહે છે ત્યારે તેનાથી દૂર ભાગવાનો વિચાર કરતા હોય છે. જે કેટલાક લોકો અંતિમ અવસ્થાનું દર્દ, આખરી માંદગી કે terminal diseaseના તબક્કામાં હોય છે, અને મૃત્યુ હવે બેચાર દિવસમાં પોતાનો કોળિયો કરી જશે એવો ભાસ થાય છે ત્યારે અત્યંત અસ્વસ્થ થઈ જાય છે. અલબત્ત કેટલાક એવા પણ હોય છે કે જેઓ તે સમયે જાગ્રત અવસ્થામાં સમાધિપૂર્વકની શાંતિ અનુભવતા હોય છે. પરંતુ તેમની ટકાવારી ઘણી ઓછી હોવાની.
કોઈક વાર એવા બનાવ પણ જોયા કે સાંભળ્યા છે કે જ્યારે કોઈ એક વૃદ્ધ વ્યક્તિ બીમાર હોય, બેભાન અવસ્થામાં હોય અને ડૉક્ટરોની ટીમે બધા રિપૉર્ટને આધારે એવો અભિપ્રાય આપ્યો હોય કે આ વ્યક્તિ હવે ગણતરીના કલાકોમાં જ પોતાનો દેહ છોડશે, પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે એવી ઘટના બને છે કે એ બેભાન વ્યક્તિ ભાનમાં આવે છે, આંખ ખોલે છે, ઉપચારો થતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org