________________ જિજીવિષા - 235 ઊભા રહીને મોટા અવાજો કરીએ, અને પછી જ પ્રવેશ કરીએ. સાથે ઝગમગતી બેટરીનો દીવો રાખેલ ખરો. સવારના પહોર હતો, એટલે ભય જેવું કશું હતું નહીં. ગુફાઓ જોઈને અમને એમ તો જરૂર લાગ્યું કે આમાં રહેવું, સ્થિર ચિત્તે ધ્યાન કરવું અને નિર્ભય રહેવું એ બચ્ચાના ખેલ નથી. આ માટે તો મોટા મોટા છાતીકઢા પણ તૈયાર થઈ શકે નહીં. પણ પછી તો અમે આઠદસેક ગુફાઓ ફરી વળ્યા અને મઢુલીમાં પાછા ફરી જમી લીધું. પછી પરવારી, સ્ટેશન ભેગા થઈ ગયા. શેઠ તો પહોંચ્યા ભાવનગર. મુનિજી મારે ત્યાં રાજકોટ આવેલા, પણ વધારે ન રોકાયા. તેઓ તે વખતે “ગુજરાત પુરાતત્ત્વ મંદિરના આચાર્ય હતા. જો કે શેઠને અને મુનિજીને શરીરે સારી રીતે ઉઝરડા થયેલા, છોલાયેલું અને લોહી પણ નીકળેલ, છતાં તેમને કોઈ કુટુંબીએ કે મિત્રે આ શું થયું, એવું કશું પૂછ્યું હશે કે કેમ તેની મને ખબર નથી. પણ મારે ઘેર પહોંચ્યા પછી વળતે દિવસે જ્યારે હું ના'વા બેઠો ત્યારે મારી પત્નીએ મારું શરીર જોતાં જ જરા અચંબો પામી, મારાં માતાજીને કહ્યું કે, “મા! આમનું શરીર તો જુઓ. ગિરનારમાં વાઘવરુ સાથે લડાઈ થઈ હોય અને લોહીલુહાણ થયા હોય એવું લાગે છે. તે તો કશું બોલતા નથી અને હસ્યા કરે છે.” પછી મારી મા પાસે આવ્યાં અને આમ થવાની ખરી હકીકત કહેવાની મને સૂચના કરી. એટલે ગરમ પાણીએ નાહી, થાક ઉતારી, બધી વાત તેમને વિગતથી કહી સંભળાવી. મને પણ આ પ્રસંગે એમ તો લાગ્યું, કે જિજીવિષા ન હોત તો ઘરે પાછા પહોંચાત કે કેમ? વળી પરમેશ્વરે પેલા સાધુને રસ્તો બતાવવા ન મોકલ્યો હોત તો શા હાલ થાત? અમે જે ઊંચા ઊંચા પથ્થરો ઠેકેલા તેથી તો અમને ઠેકનારાને જ એ વખતે અચંબો થાય કે આ શી રીતે ઠેકી શકાય? જાણી જોઈને ઠેકવા જઈએ તો તે કદી જ ન ઠેકી શકાય એવા અને એટલા બધા ઊંચા હતા. પણ પરમેશ્વરે માણસના મનમાં જિજીવિષા મૂકેલી છે એની જ આ બનાવ સાબિતી છે. - જનકલ્યાણ, ફેબ્રુ. - 1967 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org