SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ જીર્ણદુર્ગ-જૂનાગઢ વિશે સન્ ૧૯૨૫-૧૯૫૯ દરમિયાન જૂનાગઢના સરકારી સંગ્રહાલયના રક્ષપાલ તરીકે હું કામ કરતો હતો ત્યારે, બપોરે વિશ્રાંતિસમયે, ત્યાંનાં પ્રાણીસંગ્રહસ્થાનનો વિદ્વાન્ અને ઇતિહાસપ્રેમી ચોકીદાર ભાઈ જૂમો મારી પાસે અવારનવાર બેસવા આવતો. (જૂમાનાં ઊર્દૂ અને ફારસી ઉચ્ચારણોની ખુમારીભરી, મીઠી, ખાનદાની અસલિયત ફરીને સાંભળવા મળી નથી.) વાતો દરમિયાન જૂમાએ ઘણી વાર એ બાબતનો ઉલ્લેખ કરેલો કે જૂનાગઢનું નામ “જૂનાખાં” પરથી પડેલું છે; ને મિરાતે અહમદીમાં એવી નોંધ લેવાઈ છે, વગેરે. મિરાતે અહમદી ગ્રંથમાં એ સંદર્ભ છે કે નહીં તે તપાસી જોવા જેટલી ઉત્સુકતા ત્યારે થઈ નહોતી (ને આજે પણ નથી), પણ ભાઈ જૂમાની વાત તથ્યપૂર્ણ હોવા અંગે તે ઘડીએ મનોમન વિશ્વાસ બેઠેલો નહીં. મધ્યકાલીન જૈન લેખકોના કથિત “જીર્ણદુર્ગ” નામ પરથી જ “જૂનાગઢ' નામ જનભાષામાં પછીથી આવી ગયું હશે, અને “જીર્ણ' એટલે જૂનું' અને “દુર્ગનો પર્યાય “ગઢ’ હોઈ, તેમ જ ઉચ્ચારણની દૃષ્ટિએ જીર્ણદુર્ગ” કરતાં “જૂનાગઢ' શબ્દમાં સુગમતા રહેતી હોઈ, નગરની નામ-સંજ્ઞાનો મૂલાર્થ કાયમ રાખી રૂપાંતર-ભાષાંતરની પ્રક્રિયાના આશ્રયે જેમ અન્યત્ર પરિવર્તન થયાનાં દષ્ટાંતો છે તેવું જ અહીં પણ બન્યું હશે તેવું મનમાં ઘોળાતું હોવાનું યાદ છે. પણ “શિલાલેખોમાં કુતિયાણા” નામક લેખ અંતર્ગત જૂનાગઢના નામોત્પત્તિ વિશે શ્રી છો. મ. અત્રિ(અમદાવાદ ૧૯૭૦)એ કરેલ જે રસમય ચર્ચા જોવા મળી, તેમાં ભાઈ જૂમાએ કહેલ મતનું એક રીતે સમર્થન મળી રહે છે : આથી આ સમસ્યા પર વધુ વિચારવાની હવે જરૂરિયાત ઊભી થતી હોવાનું મને લાગતાં અહીં તેનાં વિવિધ પાસાંઓ તપાસી જે કંઈ નિર્ણયો થઈ શકે તે રજૂ કરીશ. શ્રી અત્રિએ “કુનિપુર' પરથી “કુતિયાણા” નામ ઊતરી આવ્યું છે કે નહીં તે મૂળ મુદ્દાની કાળજીપૂર્વકની કરેલી તપાસણીમાં નામ-પરિવર્તનના નિયમોની શોધ ચલાવતાં ત્યાં જે સંદર્ભગત સામગ્રી રજૂ કરી છે તેમાં “જૂનાગઢ' નામોત્પત્તિ સંબંધ વિશે જે બન્યું હોવું જોઈએ તે સંભાવ્ય હકીકત પુરાવા તરીકે મૂકી છે. અહીં શ્રી અત્રિની ચર્ચાના સંબંધભૂત મૂળ લેખન ભાગ ટાંકી, તેમની તારવણીઓ પરથી ઉપસ્થિત થતા મુદ્દાઓ વિશે અવલોકીશું. શ્રી અત્રિએ અન્ય ગામોની સાથે જૂનાગઢના પર્યાયો વિશે અભિલેખોના આધારે પ્રથમ તો કાલક્રમબદ્ધ તાલિકા રજૂ કરી છે : “જૂનાગઢ' ગામ તેમાં પ્રારંભે મૂક્યું છે; એ જૂનાગઢવાળા ભાગને જ અહીંની ચર્ચા સાથે નિસબત હોઈ મૂળ લાંબી તાલિકાના તેટલા ભાગને જ અહીં ઉદ્ધત કરી આગળ ચર્ચા કરીશું: ક્રમ તળપદી સંજ્ઞા સંસ્કારેલું રૂપ લેખ-વર્ષ પ્રકાશન-સંદર્ભ વિક્રમ-ઈસુ ૧. જૂનાગઢ જીર્ણપ્રાકાર ૧૪૩પ ! ૧૩૭૮ ડિસકળકર ૨. જૂનાગઢ જીર્ણદુર્ગ ૧૪૪૫ ૧૩૮૯ ડિસકળકર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249368
Book TitleJirndurga Junagadh Vishe
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherZ_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
Publication Year2002
Total Pages6
LanguageGujarati
ClassificationArticle & History
File Size355 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy