________________
જિતેન્દ્ર શાહ
Nirgrantha
ત્યારે ભર્તૃહરિનું દેહાવસાન થયે ૪૦ વર્ષ વીતી ચૂકયા હતાં. અને તે સમયની દષ્ટિએ તે (મલ્લવાદી) વિક્રમની લગભગ આઠમી-નવમી શતાબ્દીના વિદ્વાન્ હોઈ શકે છે, અને તેમનું એકત્વ ન્યાયબિંદુની ધર્મોત્તર ટીકા પર ટિપ્પણ લખવાવાળા મલ્લવાદીની સાથે થઈ શકે”. પં૰ મુખ્તાર પોતાના મતની પુષ્ટિ માટે વિશેષમાં કહે છે કે વિક્રમની ૧૪મી સદીના વિદ્વાન્ પ્રભાચન્દ્રે પોતાના પ્રભાવકચરિતના વિજયસિંહસૂરિ પ્રબંધમાં બૌદ્ધો અને તેમના વ્યંતરોને વાદમાં જીતવાનો જે સમય મલ્લવાદીના વીરવત્સરથી ૮૮૪ વર્ષ પછીનો અર્થાત્ વિ. સં. ૪૧૪ આપ્યો છે. તેમાં ચોકકસ કોઈ ભૂલ થઈ છે. ડૉ. પી. એલ. વૈધે ન્યાયાવતારની પ્રસ્તાવનામાં આ ભૂલનું કારણ શ્રી વીર વિક્રમાતાની જગ્યાએ શ્રી વીરસંવત્સરાત પાઠાંતરનું થવું જણાવ્યું છે. આ પ્રસ્તાવ અનુસાર પંડિત મુખ્તાર મલ્લવાદીનો સમય વિ. સં. ૮૮૪ સુધી લઈ જાય છે.
ઉપરોકત ચર્ચામાં પં૰ મુખ્તારે જે નિષ્કર્ષ કાઢ્યો છે તેનો સ્વીકાર કરવાથી અનેક વિસંવાદો ઊભા થાય છે. મલ્લવાદીને નવમી સદીના વિદ્વાન્ માનવાથી ટીકાકાર સિંહસૂરિ તથા હરિભદ્રસૂરિ આદિનો સમય નિર્ધારિત કરવામાં અનેકાનેક પ્રશ્ન ઉપસ્થિત થઇ શકે છે. પી એલ વૈધે જે સૂચન કર્યું છે તે પણ સ્વીકારી શકાય તેમ નથી કારણ કે કોઈપણ પ્રતમાં (હસ્તલિખિત) શ્રી વીરસંવત્સરાના સ્થાને શ્રી વીરવિક્રમાતું એવો પાઠ ઉપલબ્ધ નથી થતો અને જો મળી પણ જાય તો પણ અન્ય ઉપલબ્ધ પાઠ અને ગ્રંથમાં ચર્ચાયેલા વાદોના આધારે આપણે એમ કહી શકીએ કે શ્રી વીર વિક્રમાત્ વાળો પાઠ સ્વીકાર કરવા યોગ્ય નથી. આ રીતે મલ્લવાદીને નવમી સદી સુધી લઈ જવા કોઈ રીતે યોગ્ય નથી.
નયચક્રના વિદ્વાન્ સંપાદક મુનિ જંબૂવિજયનો મત છે કે મલ્લવાદીના સમયની બાબતમાં જે ઉલ્લેખ પ્રભાવક ચરિત્રમાં વિજયસિંહસૂરિ પ્રબંધમાં પ્રાપ્ત થાય છે કે મલ્લવાદીએ વીર સંવત્ ૮૮૪(અર્થાત્ વિ. સં. ૪૨૪)માં બૌદ્ધોને પરાજિત કર્યા છે તે યોગ્ય છે. તદુપરાંત મુનિજીએ એક મહત્ત્વપૂર્ણ વાત કહી છે તે એ છે કે નયચક્રમાં જયાં જ્યાં આગમ પાઠો ઉદ્ધૃત કર્યાં છે, તેમાં આજના પ્રચલિત પાઠોથી કેટલીક ભિન્નતા મળે છે; એટલું જ નહીં પરંતુ કેટલાક પાઠ તો પ્રચલિત આગમ પરંપરામાં છે જ નહીં. તેમના કથન અનુસાર વર્તમાન પ્રચલિત પાઠ પરંપરા ભગવાન દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે વલભીમાં સંકલિત કરી હતી. દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે વીર નિર્વાણ ૯૮૦(વિ સં. ૫૯૦)માં વલભીમાં સંકલના કરી હતી. જ્યારે મલ્લવાદી વીર નિર્વાણ સં. ૮૮૪(વિ સં૰ ૪૧૪)માં હતા. આથી - પાઠભેદનું કારણ પણ સહજ છે. આ રીતે તેઓ મલ્લવાદીનો સમય વિ૰ સં૰ ૪૧૪ સુધી સ્થિર કરે છે.
પં. માલવણિયા પણ ઉપરોકત સમયને સ્વીકારતા કહે છે કે નયચક્રમાં એક બાજુ દિગ્બાગના પ્રમાણસમુચ્ચયનો ઉલ્લેખ છે અને બીજી બાજુ કુમારિલ, ધર્મકીર્તિ, આદિના ઉલ્લેખોનો અભાવ છે, જે મૂળ નયચક્રથી તો શું ટીકાથી પણ સિદ્ધ થાય છે. આચાર્ય સિદ્ધસેનનો ઉલ્લેખ મૂળ અને ટીકા બંનેમાં છે. આચાર્ય દિગ્નાગનો સમય ઇ. સન્ ૩૪૫-૪૨૫ (વિ. સં. ૪૦૨-૪૮૨) સુધી મનાય છે. આચાર્ય સિંહગણિએ નયચક્રટીકામાં અપોહવાદ સમર્થક બૌદ્ધ વિદ્વાનો માટે ‘અદ્યતન બૌદ્ધ’ વિશેષણનો પ્રયોગ કર્યો છે. એનાથી એમ સૂચિત થાય છે કે દિગ્વાગ જેવા બૌદ્ઘ વિદ્વાન માત્ર મલ્લવાદીના જ નહીં, પરંતુ સિંહગણિના પણ સમકાલીન છે. પ્રભાવકચરિતના એ શ્લોકના આધારે એ સિદ્ધ થાય છે કે મલ્લવાદી વિ સં૦ ૪૧૪માં હૈયાત હતા. આથી દિગ્નાગના સમય વિક્રમ સંવત્ ૪૦૨-૪૮૨ની સાથે જૈન પરંપરા દ્વારા સંમત મલ્લવાદીના સમયનો કોઈ વિરોધ નથી, અને આ દૃષ્ટિએ મલ્લવાદી વૃદ્ધ અને દિગ્બાગ યુવાન એ કલ્પનામાં પણ વિરોધની સંભાવના નથી, આચાર્ય સિદ્ધસેનની ઉત્તરાવધિ વિક્રમની પાંચમી શતાબ્દી માનવામાં આવે છે. વિશેષમાં મલ્લવાદીએ આચાર્ય સિદ્ધસેનનો ઉલ્લેખ કર્યો છે. આથી બંને આચાર્યોને પણ સમકાલીન માનવામાં આવે તો પણ વિસંગતિ નથી. આ પ્રકારે પં માણવણિયા, શ્રી મલ્લવાદીનો સમય વિ. સંવત્ ૪૧૪ જ નિશ્ચિત કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org