________________ ભક્તિ કેવી રીતે આત્મજ્ઞાન તરફ લઈ જઈ શકે ? આત્માને વાસ્તવિક વિકાસનું રહસ્ય શું છે ? પરમ વીતરાગ ભગવંતોના ઉદાત્ત ગુણ અને સ્વભાવ સહજ ઉમદા ધર્મો–લક્ષણોનું શ્રવણ કરવું, તેમની પ્રતિમા કે છબિના દર્શન કરવા વગેરે. શાસ્ત્રોક્ત સાધન–ઉપાય આત્મ વિષયક પરમ જ્ઞાનની સિદ્ધિમાં કેટલી હદ સુધી સહાયક થઈ શકે ? આત્મ સાક્ષાત્કારનો માર્ગ શા માટે પ્રભુની ભક્તિપૂર્ણ આરાધનાના પ્રદેશમાં થઈને નીકળે છે ? છેવટની મુક્તિ અર્થાત મોક્ષની ઉપલબ્ધિમાં તર્ક, વિવેકબુદ્ધિ અને તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોની જટિલતાનું જ્ઞાન કેટલુંક સહાયકારી નીવડી શકે? આવા તમામ પ્રશ્નોના સમાધાનકારક અને સાચા ઉત્તર આ સ્તવન ગ્રંથની ગાથાઓની પાવન યાત્રામાં સહજતાથી મળી રહે છે. સ્વરૂપના પરમ સાક્ષાત્કારમાં ધ્યાનનું મહત્ત્વ, કર્મદોષના પરિમાર્જનથી શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ, પ્રભુનામજપની પરંપરાનું મહત્ત્વ, આત્માના વિશુદ્ધ સ્વરૂપની અસલી ઓળખ કરવામાં નયશાસ્ત્ર અને તર્કસંગત બૌદ્ધિક વિવેચનાના જ્ઞાનની ભૂમિકા, પ્રભુના વિભિન્ન સ્વરૂપોની વૈવિધ્યપૂર્ણ આરાધનાનું રહસ્ય, પરમાત્માની ઈચ્છાની સર્વોપરિતા, ઉપાસક અને ઉપાસ્ય વચ્ચેનો અભેદ (એકત્વ), પ્રભુ અને તેમની પ્રતિમાની તાત્ત્વિક એકતા, પ્રભુ માહાભ્યના ગુણગાનનું ગૌરવ, આત્માની લાક્ષણિક શક્તિ (સામર્થ્ય), સત્સંગનું ફળ તેમ જ આત્માની તીક્ષ્ણ-તીવ્ર આગવી વિશુદ્ધતા-નિર્મળતા દ્વારા મોહનો વિનાશ. આવા સઘળા વિષયોનું પ્રસ્તુત ગ્રંથમાં રસાળ અને વેગવંતી ભાષામાં વિશદ વિવેચન કરવામાં આવ્યું છે. આ રચનામાં ઉત્કૃષ્ટ સાહિત્યિક સૌંદર્ય અને દાર્શનિક ચૈતન્યના ઓજસથી ભરપૂર, અત્યંત પ્રભાવકારક અને મનોહારી શબ્દાવલિઓનો સહજ સુંદર પ્રવાહ વાચકના ચિત્તને જાણે કે ખેંચી લઈ જાય છે. અધ્યાત્મ વિષયક સિદ્ધાંતોનું નિરૂપણ પણ એવી સરસ રીતે કરવામાં આવ્યું છે કે જેથી ગ્રંથકારના ઉપદેશનો બોધ સહજતા અને સુગમતાથી થાય છે. પ્રત્યેક સ્તવન પછી સંપાદકે તે તે સ્તવનનો સંક્ષિપ્ત સાર પણ આપ્યો છે, જેથી ક્રમશઃ પ્રત્યેક સ્તવનમાં ચર્ચાયેલા મુખ્ય વિષયને તરત જ સમજવામાં વાચકને ઘણી જ સહાય પ્રાપ્ત થાય છે અને આનાથી નાનું એવું આવર્તન પણ થઈ જાય છે. કાળજી કૃતિઓમાં છૂપાયેલાં મર્મ-રહસ્ય તો તેના વારંવાર કરેલા પઠન, અવગાહન, પારાયણથી જ અનાવૃત્ત થતા હોય છે. આ ગ્રંથને ચારસોથીયે વધુ નાનાં-મોટાં ખૂબ જ રમણીય અને નેત્રોત્સવકારક ચિત્રો, લઘુચિત્રો, સુશોભન કલાકૃતિઓ તેમ જ છબિઓ-ફોટોગ્રાફસથી સુંદર રીતે સજાવવામાં આવ્યો છે. આથી આ ગ્રંથ ખરેખર કલા જગતમાં, ખાસ કરીને ચિત્રકલાના ક્ષેત્રે, જૈન સંસ્કૃતિ અને પરંપરાના માતબર પ્રદાનની ઝલકને અંકિત કરનાર એક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ તરીકે આપણી સામે આવે છે. ગાથાઓના કલામય સુલેખને આ ઉત્કૃષ્ટ પ્રકાશનની ગુણવત્તા અને શોભા બંને વધારી દીધા છે. આ ગ્રંથના પરિશિષ્ટમાં વિશિષ્ટ દાર્શનિક, પારિભાષિક શબ્દોના સરળ અર્થ, ગ્રંથમાં રજૂ થયેલા ચિત્રોની વિગત તથા કલા સંગ્રહાલય જેવા ચિત્રોના સ્ત્રોતો પ્રત્યે આભાર પ્રકટન વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરમ સત્યના સાક્ષાત્કારમાં સહાયભૂત થનાર ભક્તિ જેવા વિષયની વૈજ્ઞાનિક ઢબે થયેલી વિવેચનાને રજૂ કરનાર આ ગ્રંથ કે જેની આજના યુગમાં કદાચ વધારે પ્રાસંગિકતા છે, તેવા મહત્ત્વપૂર્ણ ગ્રંથનું પ્રકાશન કરવા બદલ સંપાદક અને પ્રકાશક બંને આપણા હાર્દિક અભિનંદનને પાત્ર છે. આશા છે કે, દર્શનશાસ્ત્ર અને ભક્તિ સાહિત્યના વિદ્યાર્થીઓ તેમ જ વિદ્વાનો તથા ચિત્રકારો અને ભારતીય કલા-વારસના મર્મજ્ઞ રસિકજનો આ ગ્રંથનું ઉમળકાભેર સ્વાગત કરશે.