________________
૧૫૬ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ
પણ પછી તેઓ હળવેથી અલંકારમંડિત વાણીમાં સરી જાય છે. કવિએ યોજેલા અલંકારોમાં અનુરૂપતા છે પણ અવનવીનતા નથી. કેટલાક અલંકારો સામાન્ય પણ લાગે. છતાં કવિનું સતત ધ્યાન કોશાને મદનરસની મૂર્તિ તરીકે નિરૂપવા તરફ રહ્યું છે એ એક નોંધપાત્ર હકીકત છે. કોશાના વર્ણનમાં અવારનવાર ફરકી જતી ઉપમા-ઉત્પ્રેક્ષાઓ જુઓ : એનો વેણીદંડ તે જાણે મદનખડ્ગ, એના પયોધર તે જાણે કુસુમબાણે મૂકેલા અમૃતકુંભ, એના કર્ણયુગલ તે જાણે મદનના હિંડોળા, એના ઊરુ તે જાણે મદનરાજના વિજયસ્તંભ, એના નખપલ્લવ તે જાણે કામદેવના અંકુશ ! આ અલંકારોનો એક ઠેકાણે ખડકલો નહિ કરતાં આખા વર્ણનમાં વેરી દઈ ને કવિએ એકવિધતાનો કે કૃત્રિમતાનો ભાસ થવા દીધો નથી.
*
સ્થૂલિભદ્ર–કોશાના મિલનનો પ્રસંગ નાટ્યોચિત છે. આ કવિની નજરે એ નાટ્યોચિતતાને કંઈક પારખી છે. કોશા-સ્થૂલિભદ્રના ટૂંકા પણ અત્યંત માર્મિક સંવાદ દ્વારા એમણે રાગ-વિરાગની આછી અથડામણુ રજૂ કરી છે. એક ખાજુ પ્રેમધેલી વિદગ્ધ નારી છે, બીજી બાજુ છે સંયમધર્મી, પણ કોશાની સાથે વિવાદમાં ઊતરવા તત્પર મુનિવર. આ નાટ્યાત્મક રજૂઆતને કારણે કોશાનું ચરિત્ર આપણી કલ્પનામાં મૂર્ત આકાર લે એવું બની જાય છે, તો સ્થલિભદ્રમાં પણ કંઇક સન્નતા લાગે છે. પહેલાં કોશા પોતાની કામાર્તિને પ્રગટ કરે છે : હે નાથ ! સૂર્ય સમાન તમારો દેહ મારા દેહને સતાવે છે' અને પૂર્વસ્નેહની યાદ આપી સ્થૂલિભદ્રને ઉપાલંભ આપે છે : ‘ બાર વર્ષનો સ્નેહ તમે શા કારણે છોડી દીધો ? આવું નિષ્ઠુરપણું મારી સાથે કેમ આચર્યું ? ’ સ્થૂલિભદ્ર જ્યારે કહે છે કે, લોઢે ઘડયું મારું હૈયું તારાં વચનોથી ભીંજાશે નહિ (લોઢે ઘડેલું પણ હૈયું તો છે !), ત્યારે કોશા પોતાની દુઃખિત દશા આગળ કરીને દીનભાવે અનુરાગની યાચના કરે છે. પણ સ્થૂલિભદ્ર તો નિશ્ચલ રહે છે. એમનું ચિત્ત તો, એ પોતે કહે છે તેમ સંયમશ્રી સાથે ભોગ રમવામાં લાગેલું છે. આ છેલ્લી વાત સાંભળી કોશા પ્રત્યુત્પન્ન મતિથી એક તીક્ષ્ણ ભંગ કરે છે : ‘અહો, લોકો નવી નવી વસ્તુમાં રાચે છે એમ કહેવાય છે તે સાચું ર્યું. જુઓને, તમારા જેવા મુનિવર પણ મને મૂકીને સંયમશ્રીમાં આસક્ત થઈ ગયા !' મુનિવરના જ રૂપકને કોશાએ મુનિવર પ્રત્યે જ કેવી ચતુરાઈથી ફેંકયું ! પછી પણ કોશા જે પ્રલોભન આપે છે એમાં પણ એની ચતુરાઈ દેખાઈ આવે છે. એ કહે છે : ‘ પહેલાં યૌવનના ફળ રૂપ ઉપભોગનો આનંદ ભોગવી લો; પછી સુખેથી સંયમશ્રી સાથેનું સુખ માણજો. એનો અવસર તો યૌવન ગયા પછી પણ રહેશે ને !’ કોશાનું વ્યકિતત્વ કેવું પ્રાણવાન છે !
કવિ વાણીની સૂક્ષ્મ શક્તિના જ્ઞાતા છે એમ આપણે આરંભમાં કહ્યું હતું. નિરાભરણ કે આર્લકરિક વર્ણનોમાં, નાદવ્યંજનામાં કે ભાવવ્યંજનામાં કવિની વાણી કેવી સરળતાથી અને સમર્થતાથી પ્રવર્તે છે તે હવે પ્રતીત થયું હશે. અંતમાં સ્થલિભદ્રના કામવિજયને યુદ્ધના રૂપકથી કવિ આલેખે છે ત્યાં એમની વાણીનું ઓજસ્ પણ પ્રગટ થાય છે.
કવિનું ધાર્મિક પ્રયોજન અહીં સ્પષ્ટ અને પ્રગટ છે જ. છતાં એની સાથે કાવ્ય કેવું નિર્વિઘ્ને પ્રગટ થઈ શકે છે એ આ કૃતિ આપણને બતાવે છે.
જયવંતસરનું એકમાત્ર લક્ષ્ય કોશાનો હક્યભાવ છે. જયવંતસૂરિની કોશા પ્રિયતમને માટે સૂતી એક સામાન્ય વિરહિણી સ્ત્રી છે. એની વિશિષ્ટ વ્યક્તિતાનો કવિએ લોપ કરી નાખ્યો છે. પણ એ વિરહિણી સ્ત્રીના ઉત્કટ પ્રેમાનુબંધને કવિએ વિશિષ્ટ વ્યક્તિતા અર્પી છે ખરી—એ ઉત્કટ પ્રેમાનુબંધરૂપી હીરદોરમાં ઔત્સુકય, ઉન્મત્તતા, આશાભંગ, આત્મનિર્વેદ, રોષ, વ્યાકુળતા આદિ ભાવોનાં મોતી ગૂંથીને. આ સર્વે ભાવોને વળી ભિન્ન ભિન્ન સંદર્ભો, નિમિત્તો, વિભાવો, પ્રતીકો અને ઉકિતલઢણોથી વ્યક્ત કરી એમણે પોતાના કવિકર્મનો પણ પરિચય આપ્યો છે. એ પરિચય જ અહીં કરવા જેવો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org