________________
મોહનવિજયકૃત ચંદરાજાનો રાસ
B ડૉ. કિીર્તિદા જોશી
‘ચંદરાજાનો રાસ” રૂપવિજયના શિષ્ય મોહનવિજયની રચના છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની આ રાસકૃતિની રચના સંવત ૧૭૮૩ને પોષ સુદ પાંચમ છે. ૪ ઉલ્લાસમાં વિભાજીત આ રાસની ૧૦૮ ઢાળ છે અને તેની ગાથા સંખ્યા ૨૬૭૯ છે. આટલી વિસ્તૃત આ રચનાનું વૃત્તાંત અદ્દભુતરસિક છે.
એકવાર અજાણતાં જ વક્રગતિવાળા ઘોડા પર સવારી કરતા કરતા રાજા વીરસેન જંગલમાં પહોંચી જાય છે. ત્યાં પાણી પીવા અને સ્નાન કરવા નિમિત્તે તે પુષ્કરણી નામની વાવમાં ઊતરે છે. આંતરપ્રાસ અને અંત્યકાસની યોજનાથી કવિએ કરેલું વાવનું વર્ણન ધ્યાનાર્હ છે :
સકૃપ તવ નૃપ ઉતર્યો, બાંધ્યો હયવર છાંહિ, પાણી પીવા કારણે, પેઠો પુષ્કરણિ માંહિ, જલપૂરી સગૂરી ભૂ તાટુંક સમાન; ઘટિત જટિલ બહુફટિકના નિવડ નિવડ સોપાન, વિમળ કમળ જળ ઉપરે પરિમલ બહુ પ્રકાર; ગુણ લીણા સ્વર ઝીણા, ખીણા દ્વિરેફ ઝંકાર, નફરી સમ શફરી તિહાં, અવિફરિફરિય અનેક; પંથ શ્રમ મંથર પથિકને પુચ્છથી કરે જળ સેક.
કવિને વિશેષ રસ કથાવર્ણનમાં છે તેથી તરત કથાતંતુ સાથે છે. વાવમાં ઊતરેલો રાજા વીરસેન જોગીના બંધનમાં ફસાયેલી એક યુવતિને જુવે છે ને તેને બંધનમાંથી મુક્ત કરે છે. યુવતિ પોતાનો પરિચય આપતાં કહે છે કે જલક્રીડા કરવા જતાં જોગીએ મારું અપહરણ કરેલું હતું. હું રાજકુંવરી ચંદ્રાવતી છું અને
જ્યોતિષીઓએ મારા માટે ભવિષ્ય ભાખ્યું હતું કે આભાપુરીનો રાજા વીરસેન આ કન્યાનો પતિ થશે. રાજા તેની સાથે લગ્ન કરે છે. વીરસેનના આ નવા સંબંધથી તેની આગલી રાણી વીરમતીને દુઃખ થાય છે. સમય જતાં ચંદ્રાવતીને પુત્ર થાય છે તેનું નામ ચંદ રાખવામાં આવે છે. ચંદ આ રચનાનું નાયક પાત્ર છે. અપરમાતા વીરમતી કથાનું બીજ છે. વીરમતીના મનનો સંતાન ન થવાનો અસંતોષ ચંદરાજાના જીવનમાં દુ:ખોની હારમાળા સર્જે છે.
અપત્યસુખથી વંચિત હોવાને કારણે હતાશ થયેલી રાણી વીરમતી એકવાર વિવિધ સ્ત્રીઓને પોતાનાં સંતાનો સાથે આનંદ કરતી જુએ છે ને મનમાં વિચારે છે.
અંગજ લેઈ ઉત્સંગમાં રે ન રમાડ્યો જિણે નાર રે તે કાં સરજી સંસારમાં ધિક ધિક અવતાર રે.”
અપત્યસુખની પ્રાપ્તિ માટે રાણી વીરમતી વિદ્યાધર પાસે વિઘા પ્રાપ્ત કરેલા એક પોપટની મદદ લે છે. પોપટ ચૈત્રી પૂનમની રાતે ઋષભદેવ સ્વામીના મંદિરે આવતી અપ્સરાઓને મળવાનું કહે છે. વીરમતી અપ્સરાને મળે છે અને પોતાનું દુઃખ કહે છે ત્યારે અપ્સરા કહે છે :
‘ભાગ્યમાં સુત નથી તાહરે, નિસુણ એક વિચાર રે માટે હું તને તે સુખને બદલે, ' ગગનચરણી, શત્રુહરણી, વિવિધકરણી રૂપ રે, નીરતરણી આદિ વિદ્યા દેઉં તુજ અનૂપ રે.'
વિવિધ વિદ્યાઓ પ્રાપ્ત થતાં અપત્યસુખની ખેવના છોડી વીરમતી ઉન્મત્ત બને છે. વિદ્યાપ્રાપ્તિ સજ્જનને થાય તો એ એનો ઉપયોગ પારાવાર ઉપકાર માટે કરે છે પણ,
વીરમતી વિદ્યા થકી મદમાતી નિરબીહ, જિમ અહિ પંખાળો થયો, જિમ પાખરીઓ સિહ”
હવે કથામાં વળાંક આવે છે. વીરસેન અને ચંદ્રાવતી જરાવસ્થાનું જ્ઞાન થતાં ચંદકુમારનાં ગુણાવલી સાથે લગ્ન કરાવીને પુત્ર ચંદકુમારને વિમાતાને સોંપી દીક્ષા લે છે. ચંદકુમાર અપરમાતાને કથન ન લોપીશ તુમ તણું” કહી માનાં વચન શિરોધાર્ય કરે છે. ચંદકુમાર-ગુણાવલીનું સહજીવન આનંદથી પસાર થાય છે. અહીં કવિએ ચંદરાજાના વૈભવ અને ઠાઠનું દુહામાં કરેલું વર્ણન નોંધપાત્ર છે. એમાં ખાસ કરીને સમકાળે છએ ઋતુ ચંદરાજાના દરબારમાં વર્તી રહી હતી એ દર્શાવતા વર્ણનમાં કવિની કવિત્વશક્તિનો પરિચય થાય છે :
મદજળતનું કાળી ઘટા, દંત દામિની રંગ; પાઉસ (= વર્ષા =) પરે દરબારમાં, ઉદ્ધત અતિ માતંગ, નાસા કેસર પિચરકી, ફીણ અબીર લસંત; હીષ ધમાલ ગુલાલ ગતિ, ખેલે તુરગ વસંત. નૃપમયંક વાણી સુધા, પ્રજા કર્ણ જિમ સીપ: અવિતથ મોતી નીપજે, સદા શરદ ઉદીપ. નિત નિત નવલાં ભટણાં, મુખ આગળ દીપંત; કીધાં ધાન ખળાં મનુ, ઋતુ આવે હેમંત ભય હિમથી આનન કમળ, દાધા વેપથુ શીત; અનામી જે આવિ નમ્યા, તિહાં શિશિર સુપવિત્ત. નચ પુર નચ ઘર નચ વચે, નહીં જક કોઈને આધ; અન્ય દેશ રાજા ભણી, સદા દુરંત નિદાધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org