________________
૨૨૬ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણમહોત્સવ ગ્રન્થ
એ પોતાને ‘સેવક’ જ માનતો. લોકશાહીનાં મૂળ આ પ્રકારની મધ્યકાલીન ગુજરાતની સમાજવ્યવસ્થામાં જોઈ શકાય છે. તેથી જ ગુજરાત-સૌરાષ્ટ્રના રાજ્યવ્યવહારમાં, તેના સમાજજીવનમાં, તથા તેની સંસ્કારિતામાં, ‘ મહાજનમંડળો ’એ અને ‘ નગરશેઠો ’એ, અગત્યનું સ્થાન સાચવ્યું છે.
સાહિત્યપોષક મધ્યમવર્ગ
આ પ્રકારનો ખાધેપીધે સુખી, સંસ્કારી, સંયમી છતાં સાથે વિલાસી, અને ભાતભાતના વ્યાપાર દ્વારા પ્રાપ્ત થતા વૈભવોનો સંયમિત ઉપભોગ કરનારો મધ્યમવર્ગ જ સાહિત્ય, સંગીત, કલા, શિલ્પ, સ્થાપત્ય અને ધર્મનો પોષક હોય એમાં આશ્ચર્ય નથી. વલભીપુરમાં મૈત્રકરાજા ધરસેનના રાજ્યકાળમાં આશ્રય પામેલો ‘ ભટ્ટીકાવ્ય ’ અથવા ‘ રાવણવધ ' રચનાર ભટ્ટીકવિ, શ્રીમાલ(ભિન્નમાલ)માં ‘ શિશુપાલવધ ’ રચનાર શ્રીમાલી કવિ માત્ર, ગુર્જર પ્રતિહારવંશના મહેન્દ્રપાલ તથા મહીપાલના રાજ્યમાં સન્માનિત કવિ રાજશેખર, સિદ્ધરાજ-કુમારપાળના રાજ્યમાં સન્માનિત ‘કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય અને એમનું શિષ્યમંડલ, તથા અનેક કાવ્ય-નાટકના રચનાર ગુર્જરેશ્વર પુરોહિત શ્રી સોમેશ્વરદેવ સિવાય, ખીજા કોઈ સાહિત્યકારોને ગુજરાતમાં રાજ્યાશ્રય મળ્યાનું જાણવામાં નથી.
વસ્તુપાલ-તેજપાલ જેવા રાજ્યમંત્રીઓએ તથા એવા બીજા શ્રેષ્ઠીઓએ, સેનાપતિઓએ અને નગરપતિઓએ જ, ભારતીય સંસ્કૃતિના સંસ્કારોને સમાજના નીચલા થર સુધી પહોંચતા કરવાની સેવા ગુજરાતમાં ઉપાડી લીધી હતી. કવિ પ્રેમાનંદને નંદુરબારના દેસાઈ મહેતા શંકરદાસે (અત્યારસુધી મનાતું હતું તેમ નંદુરબારના ઠાકોરે નહિ) કવિના ‘આખ્યાન-સાહિત્ય તે ખીલવવામાં સારી આર્થિક અનુકૂળતા કરી આપી હતી. શામળભટ્ટને એક ઠીક ઠીક કહીએ એવા સામાન્ય જમીનદાર રખીદાસે, તેમની પદ્યવાર્તાઓને રસભેર સાંભળી, તેમને પોતાના ગામ સિંહુજમાં કાયમ માટે વસાવ્યા હતા.
કલાપોષક મધ્યમવર્ગ
જેવું સાહિત્યમાં હતું તેવું જ લલિતકલાઓમાં—ખાસ કરીને પોથીનાં ચિત્રોની કલામાં, મધ્યમ છતાં પોસાતા વર્ગનું જ પ્રોત્સાહન તથા પ્રેરણા ગુજરાતમાં સુલભ બન્યાં હતાં. એટલે જ ગુજરાતની ચિત્રકલા રાજ્યાશ્રિત હતી નહિ, પરંતુ મોટે ભાગે શ્રીમંત મધ્યમવર્ગના જૈનો તથા ભાવિક હિંદુઓ દ્વારા પોષાઈ હતી. પુણ્ય કમાવાની ઇચ્છાથી મધ્યમવર્ગ આ રીતે કલાને પોષણ આપી કૃતાર્થ બનતો હતો.
એ જ પ્રમાણે શિલ્પસ્થાપત્યમાં પણ ગુર્જરેશ્વરના મંત્રીઓ વિમળશાહે અને વસ્તુપાલ-તેજપાલે આયુ–દેલવાડાનાં અને કુંભારિયાનાં મંદિરોની તથા ગિરનાર અને શત્રુંજય ઉપરની જે શિલ્પસમૃદ્ધિ ખડી કરાવી તેઓ પણુ, ગુજરાતી સમાજમાં ઉપલા મધ્યમ વર્ગના જ હતા. આ ઉપરાંત અસંખ્ય વાવ, કૂવા અને તળાવ જેવાં સાર્વજનિક બાંધકામો ભાવિક પ્રજાજનોની સંપત્તિમાંથી જ નિર્માણુ થયેલાં છે. આમ ગુજરાતમાં આ પ્રકારની લોકશૈલીને જે ઉત્તેજન મળ્યું તેને, રાજ્યાશ્રયથી વિકસેલી શિષ્ટકલા સાથે સરખાવવાની ભૂલ કદી ન થવી જોઈ એ.
ગુજરાતનું લોકાશ્રિત સંગીત
ગુજરાતનું સંગીત~~ખાસ કરીને લોકસંગીત——રાસ, ગરબા, ગરબી, ભજન, પદ-એ પણ મોટે ભાગે લોકભોગ્ય અને લોકાશ્રિત એવું દેશી સંગીત જ છે. ‘ માર્ગી ’ અથવા શાસ્ત્રીય સંગીત તથા નૃત્ય વગેરે, જે રાજસભાઓમાં જ વિકાસ પામતું રહે છે તે, ગુજરાતમાં બહુધા જોવા મળતું નથી. જોકે શાસ્ત્રીય સંગીતના કેટલાક વિશિષ્ટ રાગોને ગુજરાતનાં કેટલાંક સ્થળો ઉપરથી ઓળખાવવામાં આવે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org