________________
“હું જે કહું તે તમારે તમારી રીતે તેની પરીક્ષા કરી અને તમારા પોતાના અનુભવ દ્વારા ખાતરી કરી સ્વીકારવું.
હું જે કહું તેને જ્યાં સુધી તર્ક દ્વારા તેના લિટમસ ટેસ્ટમાં તે પાસ ન થાય ત્યાં સુધી માત્ર આંધળી શ્રદ્ધાથી એટલે કે આંખો મીંચીને સ્વીકારી લેવું નહિ. અન્યથા તે તમારું પોતાનું બનશે નહિ.
પવિત્ર શાસ્ત્રોના આધારે હું જે શીખવું તેનો જો તમે મેં દર્શાવેલા કારણોથી અથવા મારા અપૂર્વ પ્રભાવના કારણે સ્વીકાર કરશો પરંતુ તમારા પોતાના પરીક્ષણ, કારણો અને અનુભવથી નહિ સ્વીકારો તો તે તમારામાં અજ્ઞાન અંધકાર પેદા કરશે પરંતુ જ્ઞાનનો પ્રકાશ પેદા નહિ કરે.”
ભગવાન મહાવીરસ્વામી
માંસ મેળવતી વખતે ગાયને તાત્કાલિક ઝડપથી મારી નાંખવામાં આવે છે. જ્યારે વ્યાપારી ધોરણે દૂધ ઉત્પાદન કરતી વખતે ગાયોને સખત રિબાવવામાં આવે છે અને બળજબરીથી પાંચ જ વર્ષમાં ૩ થી ૬ ગણું દૂધ પેદા કરવામાં આવે છે અને ત્યાર પછી તેને પાંચ વર્ષની ઉંમરમાં જ તેને કતલખાને ધકેલી દેવામાં આવે છે. જ્યારે તેનું આયુષ્ય લગભગ ૨૦ વર્ષ હોય છે. આ બતાવે છે કે દૂધ-ઉત્પાદનમાં પણ માંસ ઉત્પાદન જેટલી જ ખતરનાક ક્રુરતા ગાય-ભેંસ પ્રત્યે આચરવામાં આવે છે. પર્યાવરણની દૃષ્ટિએ વનસ્પતિજન્ય પદાર્થો કરતાં દૂધ, ચામડું, રેશમ, ઊન વગેરે પ્રાણીજન્ય પદાર્થો પર્યાવરણને ઘણું જ નુકશાનકારક છે. વનસ્પતિજન્ય પદાર્થ જેટલી જલ્દીથી કુદરતમાં વિસર્જિત થાય છે તેના કરતાં પ્રાણીજન્ય પદાર્થને કુદરતમાં વિસર્જન થતા ૭થી ૧૦ ગણી વાર લાગે છે.
શ્વેતાંબર અને દિગંબર બંને સંપ્રદાયવાળા દૂધ અને દૂધમાંથી બનેલ ઘી, મીઠાઈ વગેરેનો વાર-તહેવારે દેરાસરોમાં ઉપયોગ કરે છે અને તે પ્રાચીન પરંપરા છે. આમ છતાં આપણા જ ધર્મગ્રંથો દર્શાવે છે કે કોઈપણ પ્રાચીન પરંપરાને આંખો મીંચીને અનુસરવી ન જોઈએ. જૈન ધર્મના શ્રેષ્ઠ સિદ્ધાંત સ્વરૂપ અહિંસાના ભોગે અને તેમાંય આજના સંજોગોમાં જેમાં પંચેન્દ્રિય જીવોની હત્યા, રિબામણી અને શોષણ થતું હોય તેવી પરંપરાની સાથે સમાધાન ન કરવું જોઈએ. અર્થાત દૂધ કે દૂધજન્ય પદાર્થોનો દેરાસરમાં અને જૈન તહેવારમાં ઉપયોગ ન જ થવો જોઈએ.
દૂધ અને ઘી વગેરેનું જૈન ધાર્મિક વિધિમાં વિશિષ્ટ મહત્ત્વ છે જ. આમ છતાં આપણે જે વસ્તુનો ઉપયોગ કરીએ તેનો સ્રોત અહિંસક હોવો જોઈએ.
કોઈપણ ધાર્મિક વિધિ કે રીતરિવાજનું યંત્રવતુ અનુકરણ કરવું એ કાંઈ ધર્મ નથી એમ ભગવાન મહાવીરસ્વામિનું કહેવું છે. આપણા રીતરિવાજનો હેતુ એ છે કે તે અધ્યાત્મમાં આપણને પ્રેરણા કરતો હોય, આપણી આધ્યાત્મિક ઉન્નતિમાં સહાયક હોય. કોઈપણ રીતરિવાજનું સીધું પરિણામ આપણા ક્રોધ, અભિમાન, માયા અને લોભ, પરિગ્રહના ક્ષયમાં અથવા કષાયોને પાતળા કરવામાં આવવું જોઈએ.