SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ 1. પૂર્વાર્ધ - “મૃત્યુ” - પૂર્વમીમાંસા બધી કલાઓમાં, જીવન, પ્રેમ અને મૃત્યુ મહત્ત્વના વિષયો રહ્યા છે, ને માનવચિંતનના કેન્દ્રસ્થાને છે “મૃત્યુ'. શોપનહોવરે તેથીજ મૃત્યુને Muse of Philosophy' તરીકે બિરદાવ્યું છે. “મૃત્યુ' “જિંદગી' જેટલુંજ, કદાચ એના કરતાં પણ વિશેષ, રહસ્યમય રહ્યું છે. તો કવિ પણ તત્ત્વષ્ટા થયા વિના મહાન બની શકતો નથી. “મૃત્યુ' જ્યારે કલાત્મક રૂપ ધરીને આવે છે, ત્યારે એ “સૌંદર્ય તત્ત્વ' બની જાય છે. આમ તો “મૃત્યુ' એ ચિંતન કે વિચારનો પ્રદેશ જ નથી, અનુભવનો પ્રદેશ છે. શરીરભાવથી અલગ થઈ આત્મભાવનો અનુભવ કરીએ ત્યારે સમજાય છે કે “મૃત્યુછે જ નહિ. ને છતાં જીવનનું એક પણ ક્ષેત્ર એવું નથી, જેમાં મૃત્યુનો વિચાર ન કરાયો હોય. એક ધબકતું અસ્તિત્વ, ચૈતન્યસભર એક વ્યક્તિત્વ જ્યારે ધબકવાનું બંધ કરી દે છે, ત્યારે સૌને વિચાર તો આવે જ છે કે આ શું થયું ? કયું છે એ તત્ત્વ, જે થનગનતા વ્યક્તિત્વને એકાએક નિશ્ચેતન બનાવી દે છે? ને તેથી જ અવિરત વહેતી જીવનધારાના બે અનિવાર્ય તત્ત્વો “જીવન” અને “મૃત્યુ' ને આપણે ઓળખવા મથીએ છીએ. “જીવન' ને તો થોડુંઘણુંયે ઓળખી શકીએ કે સમજી શકીએ છીએ પણ “મૃત્યુને હજુ કોઈ સમજી કે ઓળખી શક્યું નથી. એને સમજવાની મથામણ માનવજાત યુગોથી કરતી આવી છે. “જીવન” અને “મૃત્યુ'ની સીધીસાદી વ્યાખ્યા આ રીતે આપી શકાય. “શ્વાસનું આવવું, શરૂ થવું, એ જીવન. શ્વાસનું જવું, થંભી જવું, એ “મૃત્યુ'. જે દિવસે કોઈ મૃત્યુને પ્રેમથી આલિંગન આપે છે, ત્યારે મૃત્યુનો ડંખ, મૃત્યુનો ભય અદૃશ્ય થઈ જાય છે. મૃત્યુને આશ્લેષવાવાળા મૃત્યુંજ્યી બની જાય છે. કોઈના મૃત્યુનો પ્રસંગ આપણને આપણા મૃત્યુની સંભાવના વિશે વિચારતા કરી મૂકે છે. પ્રત્યેક મૃત્યુ એ આપણું પણ મૃત્યુ છે. સોક્રેટીસને મૃત્યુ જોવાની ખૂબ ઉતાવળ હતી. એ જાણવા માગતો હતો કે મોતની ઘટનામાં કોણ મરે. છે, મૃત્યુ કે માનવ? તેથી તો છેક અંતિમ ક્ષણ સુધી એ કહેતો રહ્યો. “ધીરે ધીરે બધું ડૂબવા માંડ્યું છે, ને છતાં હું તો એનો એ જ છું, સદાય જીવંત.” આપણે પણ સોક્રેટીસની જેમ આપણું મૃત્યુ જતાં શીખીશું, ત્યારે મૃત્યુ અદૃશ્ય થઈ જશે. અસ્તિત્વની અનેકવિધ ચિંતાના બોજ હેઠળ કેટલાક લોકો “મૃત્યુ” વિષે વિચારતા જ નથી. વિચારવા માગતા પણ નથી. ને પછી અચાનક મૃત્યુના ઓળા એમના પર ઊતરી આવે છે, ત્યારે તેઓ મૂઢ બની જાય છે. પારણાથી સ્મશાન સુધીની કૂચનો આરંભ એટલે જન્મ અને અંત એટલે મૃત્યુ. જીવનની સૌથી ઊડીને આંખે વળગે એવી વિશેષતાનું નામ છે “મૃત્યુ'. જે ક્ષણે આ વિશેષતાનો સાક્ષાત્કાર કરવાની ઘડી આવી પહોંચી કે તરત જ બધી જ શક્યતાઓનો અંત આવી જવાનો. “મરવું એટલે આ દુનિયામાં ન હોવું, અથવા આ દુનિયામાં હોવા છતાં અન્ય વસ્તુઓ, નિર્જીવ વસ્તુઓના જેવા હોવું કે બનવું. પછી એનો સંબંધ વ્યવહારમાં માત્ર ઉત્તરક્રિયા પૂરતો જ મર્યાદિત રહે છે. ઉત્તરક્રિયા પતી ગયા પછી તે આ જગતમાં નથી. એ હકીકત વાસ્તવિક્તા બની જાય છે અને વ્યક્તિ તરીકે વિસારે પડતી જાય છે. “મૃત્યુનો અનુભવ મરનાર વ્યક્તિને જ થાય. એ અનુભવ કેવો હોય, મૃત્યુ વખતે મરનારની માનસિક સ્થિતિ કેવી હોય છે, તેનું વર્ણન મળી શકે નહિ. P.P.AC. Gunratnasur M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy