________________
પોતાના પર પ્રયોગ વિખ્યાત દંત-ચિકિત્સક ડૉ. વેલ્સ પાસે અનેક લોકો દંતચિકિત્સા માટે આવતા હતા. એ સમયે દુઃખતા, હલતા કે સડી ગયેલા દાંતને કાઢવાની પદ્ધતિ ઘણી યાતનાજનક હતી. ખુરશી પર બેઠેલા દર્દીને બાંધવો પડતો, આમ છતાં દાંત ખેંચતી વખતે જે પીડા થતી ત્યારે એ વેદનાથી હાથપગ પછાડે નહીં તે માટે ચાર ચાર વ્યક્તિઓ એને પકડી રાખતી. ત્યાર બાદ બૅક્ટર તેનો દાંત પાડતા હતા.
દાંત પાડવાની આ પદ્ધતિનો બીજો કોઈ વિકલ્પ નહોતો. ડૉ. વેલ્સ એક જાદુગરનો પ્રયોગ જોવા ગયા અને એમણે જોયું તો આ જાદુગર નાઇટ્રસ ઑક્સાઇડ સુંઘાડીને માણસને એવો ઉત્તેજિત કરતો કે એ પાગલની માફક ભાન ભૂલીને નાચવા-કૂદવા લાગતો. એને ઘા વાગે તોપણ એના દુઃખદર્દનો ખ્યાલ આવતો નહીં. આ વાયુને લોકો ‘હસવાનો ગેસ” કહેતા હતા. વેલ્સને થયું કે દાંત પાડતી વખતે જો આ વાયુ દર્દીને સુંઘાડીએ તો એને એની વેદનાનો કશો ખ્યાલ ન આવે અને આસાનીથી દાંત પાડી શકાય. મનમાં મૌલિક વિચાર તો આવ્યો, પણ એનો પ્રયોગ કરવો કોના પર ?
આખી રાત વિચાર કરતા બેઠા. એમ પણ થયું કે કોઈ દર્દી પર આવો પ્રયોગ કરે અને તે જીવલેણ સાબિત થાય તો શું ? પછી એમણે નિર્ણય કર્યો કે પોતાની જાત પર જ આ પ્રયોગ કરવો. તેઓ પોતાના સાથી ડૉ. રિઝ પાસે પહોંચ્યા અને પોતાના નિર્ણયની વાત કરી. ડૉ. વેલ્સના બધા જ દાંત સાબૂત હતા, આમ છતાં પ્રયોગ માટે ગૅસ સુંઘાડીને સાજો-સમો દાંત મૂળમાંથી ખેંચી કાઢવાનો હતો. પહેલાં તો ડૉ. રિઝે અસમર્થતા પ્રગટ કરી, પરંતુ આ પ્રયોગ સફળ થાય તો તે અનેક લોકોને ઉપકારક બની રહેશે એવું લાગતાં તેઓ તૈયાર થયા. ડૉ. વેલ્સ દર્દીની ખુરશી પર બેઠા. એમને વાયુ સુંઘાડવામાં આવ્યો. ડૉ. રિઝે મૂળમાંથી દાંત ખેંચી કાઢ્યો. ડૉ. વેલ્સને સહેજેય પીડા થઈ નહીં..
આમ ડૉક્ટર વેલ્સનો પોતાની જાત પર કરેલો પ્રયોગ સફળ થયો અને દંતચિકિત્સા માટે થયેલી આ નવી શોધ સહુને માટે આશીર્વાદરૂપ બની.
મંત્ર માનવતાનો
141