________________
૮
- ૨૯
માત્ર ભીતરનું સત્ય જ શાશ્વત છે
ખોટા નિર્ણયનો ભય રાખવો નહીં ! પ્રત્યેક વ્યક્તિ એના ધ્યેયનું નિર્ધારણ પોતાની આર્થિક, માનસિક કે શારીરિક સ્થિતિ પ્રમાણે કરે છે. ગરીબ માનવીનું ધ્યેય શ્રીમંત બનવાનું હોય છે, તો શ્રીમંતનું ધ્યેય સૌથી શ્રેષ્ઠ ધનિક બનવાનું હોય છે. સર્જકનું ધ્યેય ઉત્કૃષ્ટ સર્જનનું હોય છે અને રાજકીય નેતાનું ધ્યેય વધુ રાજ કીય સત્તા હાંસલ કરવાનું હોય છે. આમ નાનાં કે મોટાં ધ્યેય સહુ કોઈ રાખે છે.
ઘણી વખત વ્યક્તિ જીવનમાં અતિ ઊંચું ધ્યેય રાખે, કિંતુ જીવનભર તળેટીમાં રહીને ધ્યેયના પર્વતના શિખરને જોઈને નિસાસા નાખતી રહે છે. ધ્યેય રાખ્યા પછી એને ભય હોય છે કે ધ્યેયસિદ્ધિ માટે એ અમુક પ્રકારની પ્રવૃત્તિ કરે અથવા તો કોઈ નવું સાહસ આદરે તો તેમાં એને સફળતા મળશે કે નહીં ?
ખોટા નિર્ણયનો ભય રાખવાની જરૂર નથી. આવો ભય સેવનાર ઘણી વાર નિર્ણય કરવાથી દૂર ભાગે છે, અથવા કમને, અનિચ્છાએ કે લાચાર મનથી નિર્ણય કરે છે. આવા નિર્ણય પાછળ કાર્યસિદ્ધિ માટેના બળનો અભાવ હોય છે. આવી વ્યક્તિ પહેલા પગથિયે જ પરાજિત થાય છે.
હકીકતમાં બહુ ઓછી વ્યક્તિઓ સાચા નિર્ણયો લઈ શકતી હોય છે, પરંતુ સફળ વ્યક્તિઓ પાસે એ દઢતા હોય છે કે એ પોતાના નિર્ણયને પુરુષાર્થથી સાચો ઠેરવતી હોય છે. પરિણામે ધ્યેય નક્કી કર્યા બાદ એના તરફ પુરુષાર્થ ખેડવો એ મહત્ત્વની વાત છે. જેમણે જીવનમાં પોતાના ધ્યેય સિદ્ધ કર્યા છે, એમણે ઘણી નિષ્ફળતાઓનો સામનો કરીને સફળતા હાંસલ કરી હોય છે, આથી જ સફળતા કે નિષ્ફળતાની ઝાઝી ખેવના કર્યા વિના ધ્યેય પર દૃષ્ટિ રાખીને નવી ક્ષિતિજો ઉઘાડવા માટે કામ કરવું જોઈએ. એને માટે માનવીએ સતત પોતાના જાગ્રત મનની સાથોસાથ અજાગ્રત મનને પણ ધ્યેય પ્રતિ જાગ્રત કરતા રહેવું જોઈએ.
આ જગતને ભારતીય દાર્શનિકોએ સ્વપ્નવત્ કહ્યું અને ગમ્યું. બાહ્યજગત અને બાહ્યજીવન એ તો સ્વપ્નમાં દેખાતાં ચિત્રવિચિત્ર કે ગમતાં-અણગમતાં દેશ્યો છે. માનવી એના સુખમાં મહાલે છે અને એ સ્વપ્ન ચાલ્યું જતાં એને સમજાય છે કે આ તો માત્ર ભ્રમ હતો. આ જગત મિથ્યા કે માયાવી છે એમ કહેવાયું છે. એની ભ્રમ તરીકે ઓળખ આપી છે, પરંતુ આમ કહેવાનો અર્થ શો? બાહ્યસંબંધો બદલાય છે, આસપાસના સંજોગો પલટાય છે. જીવનહેતુ અને શૈલીમાં પરિવર્તનના પલટા આવતા રહે છે. બાલ્યાવસ્થાની મુગ્ધતાનો આનંદ યુવાનીનો રંગ ઝાંખો કરી દે છે અને યુવાનીની શક્તિ અને તાકાત વૃદ્ધાવસ્થામાં વસવસાનું કારણ બને છે.
આજે વિજ્ઞાન એક સિદ્ધાંત પર આવીને કરે છે, એ આવતી કાલે સાવ બદલાઈ જાય છે. આજે શોધાયેલી દવા રોગના રામબાણ ઇલાજ રૂપ માનવામાં આવે છે, પરંતુ સમય જતાં એ દવાની આડઅસરો જ્ઞાત થતાં એને જાકારો મળે છે અને એને સ્થાને અન્ય દવા શોધાય છે . આઇન્સ્ટાઇન કે ન્યૂટનના સિદ્ધાંતમાં પણ આજે કેવાં પરિવર્તન આવ્યાં છે ! આમાં કશું નિશ્ચિત કે શાશ્વત નથી.
જેને આજે સત્ય માનીએ છીએ, તે અંતે અસત્ય પુરવાર થાય છે, બાહ્યજગતને માયાવી કહેવાનો હેતુ એટલો કે સત્યમય જગત તો તમારું આંતરજગત છે. આ આંતરજગતમાં સત્યનાં મોતી છુપાયેલાં છે, એને તમારે શોધવાનાં છે, આથી સત્ય માટે અંતરયાત્રા આવશ્યક છે. બાહ્યમાયામાંથી મન કાઢીને ભીતરની ચેતના સાથે અનુસંધાન સાધો, તો આપોઆપ સત્ય સાંપડશે. તમે સંપાદિત કરેલું જ્ઞાન ભ્રામક હોઈ શકે. શેય ભ્રાંત હોઈ શકે, પરંતુ જ્ઞાતા કદી ભ્રાંત હોતો નથી અને તે જ્ઞાતા, તે ભીતરનું સત્ય એ જ અપરિવર્તનશીલ એવું શાશ્વત સત્ય છે.
30
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
31