________________
અને આમ ને આમ રાજાનો હર્ષાતિરેક વધવા લાગ્યો. અને પોતાના ભૂતકાળનાં અપકૃત્યની સ્મૃતિ હૃદયને દંશ દેવાને બદલે હવે એ કૃત્યો યથાયોગ્ય હોવાની ખાતરી આપવા લાગી. પાપ-પુણ્ય પણ છેવટે સંયોગાધીન જ છે ને !
આ નવીન પ્રકારની માનસસૃષ્ટિમાં રાચી રહેલા અજાતશત્રુને એક દહાડો સમાચાર મળ્યા કે જ્ઞાતપુત્ર મહાવીર ચંપાનગરીમાં પધાર્યા છે.
રાજ ગૃહીમાં પિતાનું મૃત્યુ થયા પછી અજાતશત્રુએ મગધની રાજધાની ચંપાનગરીમાં ફેરવી હતી. ચંપાનગરી શુકનિયાળ નગરી હતી. કારણ કે એ નગરીને વસાવ્યા પછી એણે ગણરાજ્યો પર વિજય મેળવ્યો હતો અને એનો સ્વામી-પોતે ચક્રવર્તી જેટલો મહાન બન્યો હતો.
આજ ચંપાનગરીમાં પ્રભુ પધારે છે, અહિંસાના સિરતાજ આવે છે. આજે એની પાસે પોતાની ભક્તિની મહોર મંજૂર કરાવું તો જગ આખાનો જશ મને મળે અને અપકીર્તિની જૂની કાલિમા ધોવાઈ જાય.
વૈશાલી ઉપરના વિજયનો ઉત્સવ ઊજવીને પ્રજા હમણાં જ નિવૃત્ત થઈ હતી, ત્યાં રાજ આજ્ઞા છૂટી કે પ્રભુ મહાવીર પધારે છે, માટે ચંપાનગરીને પ્રભુના સ્વાગતને યોગ્ય શણગાર સજાવજો ! આ આજ્ઞાનું પાલન નિઃશંક રીતે પ્રજા કરતી, કારણ કે રાજ આજ્ઞા અવિચારણીયા અને અનુલ્લંઘનીયા-રાજ શાસનનાં આ બે મહાસૂત્રો હતાં. એના ઉલ્લંઘનનું પરિણામ સીધું તેઓના લાભ પર અસર કરતું. એમાં કોઈ છટકબારી શોધી ન શકાતી. પાણીમાંથી પોરા શોધવાની - કોઈ કામ માટે ન ચઢવા દેવાની – ગણતંત્રીય રીતો આજે જોખમભરી બની હતી. સહુ રાજ આજ્ઞા પ્રત્યે કર્તવ્યતત્પર દેખાતા.
આખી નગરીને સુશોભિત કરવામાં આવી. પછી બીજું ફરમાન નીકળ્યું કે યોગ્ય અને સશક્ત તમામ નર-નારીઓએ સ્વાગતને યોગ્ય પોશાક પહેરીને અને ભેટને યોગ્ય દ્રવ્ય લઈને સામૈયામાં સામેલ થવું.
ધર્મની કૃપાનો યુગ હવે રહ્યો નહોતો, કારણ કે અનેક ધર્મપયગંબરો મળીને પણ એક યુદ્ધને ખાળી શક્યા નહોતા, ને એક યુદ્ધ જગતમાં ભારે પરિવર્તન આણી દીધું હતું : સહુ માનતાં થયાં હતાં કે જે યુદ્ધમાં જીતે તે જ સાચો અગ્રણી !
ધર્મવાળા પાસે પરલોકનો જાદુ હતો. યુદ્ધવાળા પાસે આ ભૂમિના સ્વર્ગની માલિકી હતી. એ સ્વર્ગના સહુ યાચક હતા, મળવું-ન મળવું નસીબના ખેલ હતા !
આખું નગર સ્વાગત માટે ઊલટું !
પ્રશંસા તો પ્રભુને પણ મારી છે; અને એમ ન હોત તો આટઆટલાં સ્તુતિશ્લોકો જમ્યા જ ન હોત !
382 | શત્રુ કે અજાતશત્રુ
ચંપાનગરીએ જે સ્વાગત કર્યું. એ અભૂતપૂર્વ હતું. રાજ્ય તરફથી સુવર્ણ, રોય ને મોતી-પરવાળાનો વાટે ને ઘાટે વરસાદ વરસાવવામાં આવ્યો. નગરમાં એ દિવસે રંક પણ રાય બની જાય, એટલી સંપત્તિ વરસી હતી !
આખું નગર ધુમાડાબંધ જગ્યું હતું. કોઈના રસોઈઘરમાં આજે અગ્નિ ચેત્યો નહોતો, ને ધુમાડાની એક સેર પણ નીકળી નહોતી.
વાહ પ્રભુ, વાહ ! ધન્ય તમારાં પગલાં ! વાહ રાજન વાહ ! ધન્ય તમારાં સ્વાગત ! ચારે તરફ જાણે ચોથો આરો (સુવર્ણયુગ) પ્રવર્તતો લાગ્યો. ઉલ્લાસ, આનંદ અને તૃપ્તિનાં તોરણો ચારે તરફ હવામાં ફરફરી રહેલાં જણાયાં.
રાજા અજાતશત્રુના મહાન દાન-શીલથી એના કેટલાક દોષો ચંદ્રમાના કલંકની જેમ શોભાસ્પદ બની ગયા હતા, જ્યારે એના કેટલાક ગુણો તો ખરેખર અમર કીર્તિરૂપ હતા.
એ પરસ્ત્રીસહોદર હતો. એને કામ કોઈ દિવસ સતાવી ન શકતો. આ બાબતમાં શંકર કરતાંય એની વિશેષ ખ્યાતિ હતી. ગમે તેવું રૂપ એને લોભાવી ન શકતું.
સ્ત્રીઓ એને બંધુ લેખતી. જૂના રાજવીઓથી સુંદરીઓને જે ડર હતો, એ આ રાજવીથી નહોત.
વળી એ દાની હતો. ભંડારમાં વરસે દહાડે સંપત્તિ શેષ ન રહે, એમ એ વર્તતા. એ કહેતો કે સંપત્તિનો સંગ્રહ સંગ્રામ કે દુર્મિક્ષ સિવાય શા માટે જોઈએ ?
અને દેવોને પણ દુર્લભ આ બે ગુણો જેનામાં હોય, એ પૃથ્વીનો દેવ બની રહે, એમાં નવાઈ પણ શી ?
રાજા અજાતશત્રુ ચઢી સવારીએ પ્રભુ મહાવીરને સત્કારવા નીકળ્યો. આખા નગરમાં ભક્તિનું મોજું પ્રસરી રહ્યું.
સુંદર સમવસરણ (વ્યાસપીઠ) પર બેઠા પ્રભુ ધર્મદેશના આપી રહ્યા હતા. એ વાણીની મીઠાશ પાસે તો સાકર-શેરડીના સ્વાદ પણ ઓછા લાગતા. અને મનુષ્ય તો શું, મનુષ્યતર જીવોને પણ એ વાણી મોહ પમાડી જતી !
ચારે તરફ દેવપુષ્પોનો પમરાટ હતો. અશોક વૃક્ષની મીઠી છાયા ઢળી હતી. તેજનું એક વર્તુળ ભગવાનના મુખમંડળની પાછળ સુંદર આભા રચતું હતું.
આ વ્યાખ્યાન અવસરે રાજા અજાતશત્રુ પણ આવીને બેઠો - નત મસ્તકે, નમ્ર ચહેરે એક ભક્ત રાજવીની જેમ.
તૃષાતુર ચાતક જેમ સ્વાતિનાં બુંદેબુંદને ગ્રહે, એમ પ્રભુ-વાણીને એ ગ્રહી રહ્યો.
વા ફર્યા, વાદળ ફર્યો [ 383