________________
19
ફાળો આકાર
રાજગૃહીને માથે આવી એક શોકભરી રાત્રિનો શ્યામ પડદો પથરાઈ રહ્યો હતો. દેવાલયોના છેલ્લા ઘંટારવ હમણાં જ શમી ગયા હતા, ને તુરીઘોષ વાગવાની તૈયારીમાં હતો. કોટના કાંગરે પ્રગટાવેલા દીપકો ધીમા ધીમા ઝળઝળી રહ્યા હતા. રાજમહાલયના બુરજો ઉપર તો દીપકોનો કંઈ પાર નહોતો. રોજ ત્યાં દીપાવલી રચાતી.
રાત વધતી ચાલી. શેઠાણી ને વિરૂપા જેવી બે આદર્શ સખીઓનાં મૃત્યુનો શોકસમય પળાતો હોય તેમ રાજ ગૃહીનાં રાજ ભવનોમાં નૃત્યગીત બંધ હતાં. મેતાર્યની કુળહીનતા પ્રગટ થઈને જાણે પરોક્ષ થઈ ગઈ હતી અને કન્યાઓના દિલ પરથી પણ આ બે સખીઓના સ્વાર્પણે કુળનો ભારે બોજ હળવો કર્યો હતો. છતાં લગ્નના દિવસો દૂર ઠેલાયા હતા. કન્યાઓ રાજ કુલની મહેમાન બની હતી.
આવી એક રાત આગળ ને આગળ વધતી જતી હતી. તૂરીઘોષ પણ થઈ ગયો હતો ને રસ્તાઓ નિર્જન બન્યા હતા. ધીરે ધીરે દીપકો પણ ઝાંખા પડતા ગયા, ને મધરાતે તો આકાશમાં તારલિયાઓ સિવાય કોઈ ન રહ્યું. ચોકીદારે દરવાજા બંધ કર્યા.
| દુર્ગના એક છેડે આવેલાં નૃત્યઘરો તરફથી કોઈ કોઈ દીવાનાઓ આવતાજતા. રૂપજીવિનીઓના આવાસો પણ હવે સૂના થયા હતા.
આવા ઘોર અંધકારમાં રૂપજીવિનીઓનાં નિવાસસ્થાનોની બાજુમાં એક કાળો આકાર ઘૂમી રહ્યો હતો, એની પડછંદ ઊંચાઈ એમ માનવા પ્રેરતી હતી કે એ પુરુષ હશે. તીર જેવી ઝડપ અને સસલા જેવી ચકોરતા દર્શાવતી હતી કે એ પડછાયો કોઈ ભૂત-પ્રેતનો નહિ, પણ કોઈ પયંત્રકારી કાબેલ વ્યક્તિનો હશે.
નિશાચર હશે, એમ સહેજે કલ્પના થઈ આવે; કારણ કે આવે સ્થળે કોણ સારો માણસ રખડે ? સારા માણસને આવા સ્થળે આવવાનું કારણ શું ? મગધની
મહાનગરીમાં મહાઅમાત્યની જાગતી ચોકીમાં કાળા માથાના માનવીની તો ફરવાની શી મજાલ ! અરે, નક્કી કોઈ ભૂત હશે; પૃથ્વી પર ભમવા આવી ચડ્યું હશે. પણ આ પ્રશ્ન કરનાર ત્યાં કોઈ નહોતું. કાળો આકાર ધીરે ધીરે રૂપજીવિનીઓના આવાસો વટાવી ગયો. એનાં પગલાં મક્કમ હતાં, એની દિશા ચોક્કસ હતી.
ધીરે ધીરે એ નર્તકીઓના આવાસ તરફ વળ્યો. કેટલીક પરદેશી પ્રીતમોને રિઝવવા માટે સજેલા સાજ ઉતારીને છેલ્લો આરામ લેવાની તૈયારી હતી. ઘણીખરી મુખમોહિની અને ભપકા માટે રંગ, રાગ અને કાજળથી પોતી નાખેલા આખા દેહને શ્રેમપૂર્વક ધોઈ રહી હતી. વય બધીની ખીલતી હતી, અને સંસારમાં સ્વર અને સૌંદર્યભરી આ કિન્નરીઓનું દિલ કોના ઉપર હશે, તે કળી શકાવું શક્ય નહોતું.
સુવાસિત જળભર્યા કુંડમાં માંસલ ગૌર પગથી છબછબિયાં કરતી એક નર્તકીએ સહેજ કંટાળાપૂર્વક કહ્યું :
સુનેત્રા ! પ્રવાસીઓની તો કંઈ ખોટ નથી, પણ લીધેલું કામ પૂરું ન થયું. પેલો પરદેશી સાર્થવાહ ન દેખાયો તે ન દેખાયો.”
“દેવદત્તા, એ પરદેશી સાર્થવાહ તે જ ચાલાક ચોર રોહિણેય એમ કેમ માન્યું ?”
બુદ્ધિનિધાન મહામંત્રીની એ જ બલિહારી છે. મેં આપણે ત્યાં આવેલા તમામ પરદેશીઓનાં ભૂજપત્ર પર આળેખેલાં ચિત્રો બતાવ્યાં. એમણે એ છબી જોતાં જ કહ્યું કે, એ જ રોહિણેય ! અદ્ભુત વેશપલટો !”
દેવદત્તા, તને તો એના પર ખૂબ હેત હતું. અને આજે એનું જ ગળું કાપવા તૈયાર થઈ બેઠી !”
ગમે તેમ તોય આપણે તો રાજગૃહીનાં પ્રજાજન ! આપણાંય કર્મધર્મ ખરાંને ! રાજ આજ્ઞા માટે મસ્તક આપવું પડે ! પણ બેન, મને એક વાતની ખાતરી થતી નથી. ચોર થઈને આટલો ચતુર ! અને કદાપિ ચતુર હોય તો પણ આટલો સંયમી ?” વાત કરતી કરતી દેવદત્તા જરા પાસે સરી અને સુનેત્રાના કાન પાસે મુખ રાખીને કહ્યું :
અલી, મારી અનેક વાર માગણી છતાં, અરે, જે દેહની પ્રાપ્તિ માટે મોટા મોટા શાહ સોદાગરો સહસ સુવર્ણમુદ્રાઓ ન્યોછાવર કરવા તૈયાર છે, એ દેહ મેં અને અર્પણ કર્યા છતાં એણે કદી મારો સ્વીકાર કર્યો નથી."
બેન, તો તો નક્કી મહામંત્રી ભૂલ્યા. ચોરબદમાશનો તો મને ચિરપરિચય છે. બહાર રોજ ખૂનનાં ખૂન કરતાં ન અચકાય એવા બહાદુરો આપણી સુલલિત દેહલતાઓ જોતાં જ જાણે રાંકમાંના રાંક થઈ જાય છે ! માણસનું ખૂન કરતાં આંચકો ન ખાય, પણ આપણી વેણીનું એકાદ ફૂલ ચૂંથતાં પણ ધ્રુજે ! એક ચોર અને આટલો સંયમ, મને તો અશક્ય લાગે છે !'
પ્રેમની વેદી પર 1 163