SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ‘અમારા નગરનું એ બેનમૂન મોતી છે. એ રાજની વફાદાર સેવિકા છે, એ મહાત્માની શિષ્યા છે, અજબ વિદ્યા-શિલ્પ શીખેલી છે, એને કોઈ બહારનો પરણી જાય તો અમારું બધું સારું બહાર ચાલ્યું જાય.' ‘અરે ! પણ હું તો એને પરણેલો એનો પતિ છું.’ ‘મારો દુષ્ટને ! વળી પાછી એની એ જ વાત !' લોકો ઉશ્કેરાયા. ‘સારું. હું એને પરણવાની વાત નહિ કરું, મારી મુલાકાત તો કરાવશો ને ?’ ‘પુછાવીએ છીએ, હા પાડશે તો મળી શકાશે.' થોડીવારમાં સંદેશવાહકો ગયા અને આવ્યા. તેઓ સમાચાર લાવ્યા કે મથાસુંદરી સ્વયંવરની વ્યવસ્થામાં પડ્યાં છે, હમણાં નહિ મળી શકે. કાળો અસવાર મૂંઝાઈ ગયો. એ મહેલમાં પાછો ફર્યો અને શહેનશાહના હુકમનો અમલ કરવા માટે શકરાજને શોધી રહ્યો. અને બધી દાઝ શકરાજ પર કાઢવી હતી; એમનું માથું ઉતારી લેવું હતું, પણ કમનસીબી તો જુઓ : શકરાજ તો ન મળ્યા, બલ્કે એમનું માથું લેવાને બદલે પોતાનું માથું દેવાનો ઘાટ રચાઈ ગયો ! ત્યાં તો ગામમાં પડહ વાગતો સંભળાયો કે મઘા સુંદરી સ્વયંવર રચતાં પહેલાં ‘સંજીવની રોપ’ નામનું નાટક ખેલવાની છે. આ નાટ્યવિદ્યા એણે મહાત્મા પાસેથી હાંસલ કરી છે : અને સ્વયંવર પછી આ નાટિકા કરતાં કરતાં દેશ-દેશનો મઘાસુંદરી પ્રવાસ ખેડવાનાં છે. આખા મીનનગરમાં મઘાની અને એના નાટકની જ ચર્ચા થઈ રહી. કેટલાક રાજકીય પ્રવાહો વાતાવરણમાં હતા, પણ જાણે એમાં કોઈને રસ રહ્યો નહિ. યમરાજ કરતાં પણ ભયંકર લેખાતા કાળા અસવારનો પણ કોઈ ભાવ જ પૂછતું નહોતું. માથું લઈ જાય કે ન લઈ જાય, એની તમા કોઈને રહી નહોતી. જ્યાં જુઓ ત્યાં જોબનસુંદર મઘાના સૌંદર્યની અને મઘાના નાટકની બોલબાલા હતી. શકદ્વીપની મહાન સુંદરી તરીકે તેની ગણના થતી હતી. કાળા અસવારે ખાનગી રીતે મઘાને મળવા પ્રયાસ કર્યો. એણે કહેવરાવ્યું કે હું બૈરૂત છું, જીવતો છું, અને તું આ શું કરે છે ? મઘાએ એટલી જ ખાનગી રીતે સંદેશ પાઠવ્યો કે તું બૈરૂત હોય એમ હું માનતી નથી અને હોય તો, તે સ્વામી બદલ્યો છે. શહેનશાહની સેવામાં સોનાનો મહેલ મળે, એના કરતાં શકરાજની સેવાની ઝૂંપડી ઉત્તમ હતી. તેં સત્તાને સન્માની 368 – લોખંડી ખાખનાં ફૂલ સ્નેહને ઠોકરે માર્યો છે. કાળા અસવારે ફરીથી પોતાની ખાતરી કરાવવા પ્રયત્ન કર્યો. એણે કહ્યું : ‘આપણો મોટો સ્વામી શહેનશાહ છે. એણે મને પ્રથમ તો ઘણો હેરાન કર્યો. તું બધી બાતમી જાણે છે ને કહેતો નથી, માટે હાથીને પગે કરીશ, એમ મને કહ્યું. મેં કહ્યું કે હું તો રાજનો વફાદાર સેવક છું. તો શહેનશાહે કહ્યું કે મારી સેવામાં રહી જા. શકરાજનું મસ્તક મંગાવું છું, પછી એ રાજનો શાહી તને બનાવીશ. તારી પત્નીની ખ્યાતિ પણ સાંભળી છે. એને અહીં બોલાવી લઈશું. મેં શહેનશાહની સેવા સ્વીકારી. શકરાજનું મસ્તક લઈ આવવાનું ફરમાન મને થયું. મેં જાણી જોઈને વેશપલટો કર્યો. હું બૈરૂત છું, એની ખબર પડી જાય તો કદાચ લોક મને હણી નાખે એ બીકે.’ મઘાએ કહેવરાવ્યું : ‘તું મફતનો ખાંડ ખાય છે. તને મહાત્માજીએ ઓળખી લીધો હતો અને શહેનશાહ ગમે તેવો મોટો હોય તોય આપણે તો શકરાજનું લૂણ ખાધું છે. વિશ્વાસઘાતીની બધી વિદ્યા નિષ્ફળ : ગુરુનું એ વચન છે.’ કાળા અસવારે ફરી કાકલૂદી કરી : ‘તારા માટે ત્યાં શહેનશાહે સુંદર મહેલ રાખ્યો છે, દાસ-દાસીઓ રાખ્યાં છે. તું, હું અને ગુલ્મ-ત્રણે જણાં મોજ કરીશું. વસ્તુને વસ્તુની રીતે સમજ, મોટાની સેવામાં મોટો લાભ હોય છે.' મઘા ઝટ પંજામાં આવે તેવી નહોતી. એણે કહેવરાવ્યું, ‘ગમે તેવા મોટા દુન્યવી લાભ માટે માણસ માણસાઈ વેચતો નથી. સાચું દિલ વેચાતું નથી. બેવફા માણસનો હું સંગ કરતી નથી. તારાથી થયેલો ગુલ્મ તને પાછો. જેને સ્વાતિનું જળ જાણી મેં ઝીલ્યું, એ ફટકિયું મોતી નીકળ્યું. એટલે તારું તને મુબારક. હવે હું તો કોઈ મોતી પકવીશ નહિ. તને છોડ્યો; હવે જગતનો કોઈ પુરુષ મને ભાવશે નહિ. શકરાજ ને મહાત્માની સેવામાં દેશ અને ધર્મની ભક્તિમાં—મારું બાકીનું જીવન પૂરું કરીશ. નાટ્યવિદ્યા મેં શીખી લીધી છે. મારું ગુજરાન એનાથી ચલાવી લઈશ, પણ કોઈ કાળે તને નહિ સંઘરું !' કાળો અસવાર ઢીલો થઈ ગયો; એણે કહેવરાવ્યું : ‘હઠીલી મળ્યા ! કંઈક તો સમજ. તારો સ્વયંવર મારું સ્મશાન બનશે.’ મઘાએ કહેવરાવ્યું : ‘મારી લીલી વાડી તેં વેરાન કરી છે. તેં કેટલું ખરાબ કર્યું છે, તે તને ભવિષ્યમાં સમજાશે. તેં સ્વામી બદલ્યો. સ્વામી બદલવાનો જો તને હક છે, તો હું પણ શા માટે સ્વામી ન બદલું ? સ્ત્રી કે પુરુષ બન્નેને માટે મૂળભૂત સેવા-તત્ત્વ તો વફાદારી જ છે ને !” કાળા અસવારની મનની બધી મહેલાતો ભાંગી પડી અને એનો નવા હોદ્દાનો મિજાજ ઠંડો પડી ગયો. પતિપત્નીનો સ્વામી બદલો D 369
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy