SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ચિરંજીવ રહે, તેમ કરવું એ આપણા સહુની ફરજ છે.’ આ દેશમાં એક અદ્ભુત તખ્ત હતું. આજે તો કોઈ બાદશાહ તેના પર બેસતો નહીં, પણ તેની નકલ કરીને દરેક રાજા પોતાને ત્યાં તેવું તખ્ત બનાવરાવતો. ઇન્સાફ વખતે રાજા આ સિંહાસન પર બેસતો, અને તે વખતે તેને હાથે જે ન્યાય થતો, તે દૈવી લેખાતો. મૂળ તખ્તની ઊંચાઈ ૧૦૦, લંબાઈ ૧૨૦ અને પહોળાઈ ૭૦ ગજની હતી. એની કિંમતનો અડસટો કાઢવો કઠિન હતો. આ તખ્તની રચના એવી હતી કે એનો સીધો સંબંધ સૂર્ય સાથે રહેતો. અને બાર રાશિ તથા સાત ગ્રહોનું એના બુરજમાં દાખલ થવું દેખાતું. ને એના પર બેઠાં બેઠાં રાત અને દહાડો કેટલો પસાર થયો, તે ચોક્કસ થઈ શકતું. આ તખ્તમાં એવી કરામત હતી કે સૂર્ય મેષ રાશિના બુરજમાં આવતો ત્યારે તખ્તની આગલી બાજુએ બાગ અને પાછલી બાજુએ મેદાન નજરે પડતાં. આ બાગમાં પાકેલા મેવા પરથી ખેડૂત પાસેથી રાજ્યે શું લેવું એ રાજા નક્કી કરતો. અને આ મેદાનમાં જતા વણઝારા પરથી વેપારના નિયમો રાજા ચોક્કસ કરતો. આમ બીજી બીજી રાશિઓમાં સૂર્ય આવતાં નવા નવા દેખાવો તખ્ત પર પેદા થતા, ને રાજા એ પરથી ઘણા નિર્ણયો બાંધતો. અહીં જૂઠું બોલવું એ સૌથી મોટો ગુનો લેખાતો; બાકી બધા ગુના એની નીચેના ગણાતા. અહીંના રાજાઓની પાસે નીચેની ચીજો હોવી ખાસ આવશ્યક લેખાતી. (૧) સુંદરમાં સુંદર રાણી, કારણ કે સુંદર સંતાનોનો આધાર તેના પર રહેતો. (૨) શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કાળો ઘોડો; આ ઘોડો વિજય અપાવનારો લેખાતો. (૩) સુંદર ચિતારો. રાજવંશની કીર્તિને સુંદર રીતે ચીતરીને ચિતારો ચિત્ર દ્વારા એને અમર બનાવતો. (૪) ગવૈયો. સંગીત એ ઉત્તમ પ્રકારનો શોખ લેખાતો. આવા મીનનગરમાં જ્યારથી મહાત્મા આવીને વસ્યા, ત્યારથી હજારો લોકો તેમના ચરિત્રને અને તેમના ચમત્કારોને જોવા ને જાણવા દોડ્યા આવતા પણ મહાત્મા તો મોટે ભાગે મૌન રાખતા અને બહુ ઓછો સમય બોલતા. પણ એ દિવસ મીનનગરના ઇતિહાસમાં ધન્ય બની ગયો, જે દિવસે મહાત્માએ એક પવિત્ર ઊનના આસન પર બેસીને ડહાપણના ભંડાર સમો પેલો ગ્રંથ ખોલ્યો. 324 – લોખંડી ખાખનાં ફૂલ રાજા આ અમર ડહાપણ અને હોશિયારીથી ભરેલા ગ્રંથ વિશે જાણવા ખૂબ ઉત્સુક હતો. એની અમર થવાની ઝંખના હવે શમી ગઈ હતી અને નીતિ તથા ડહાપણભર્યું જીવન જીવવું એ અમરતાથી પણ અધિક વસ્તુ છે, એમ એ માનતો થયો હતો. આજે આ ગ્રંથનો સાર મહાત્મા કહેવાના હતા. આખી રાજસભા માનવમેદનીથી ઊભરાઈ ગઈ હતી. પોતાના ઇષ્ટદેવનું સ્મરણ કરી મહાત્માએ ગ્રંથ ખોલ્યો, અને વિવેચનનો આરંભ કર્યો. ‘સુંદર ભારતવર્ષ છે. વિશાળ એવો દક્ષિણ દેશ છે, ત્યાં દક્ષિણરોપ્ય નામે નગર છે. ત્યાં અમરશક્તિ નામનો રાજા રાજ કરે છે. અમરશક્તિ સર્વ કળાઓમાં પારંગત હતો. અનેક ખંડિયા રાજાઓનો મુગટમણ હતો. દાન દેવામાં કલ્પવૃક્ષ હતો. આ રાજાને ત્રણ પુત્રો હતા. તેઓનાં નામ વસુ, ઉગ્ર અને અનેકશક્તિ હતાં. એક દિવસ રાજાએ ભરી સભામાં કહ્યું, ‘મારે આ પુત્રો છે કે ભયંકર આફત છે ?’ મંત્રીએ કહ્યું, “મહારાજ, માણસ તો પુત્ર માટે મરે છે અને આપ આમ કેમ કહો છો ?' રાજાએ કહ્યું, ‘મંત્રીરાજ ! આવા મૂર્ખ પુત્ર કરતાં તો નહીં જન્મેલ કે જન્મીને મરી ગયેલા પુત્ર સારા.’ રાજાના હૃદયની આ વેદના જોઈ મંત્રીએ કહ્યું, ‘પ્રભુ ! આ માટે આપ કહો તે ઉપાય કરીએ.' રાજા કહે, ‘મારા આ મહામૂર્ખ પુત્રોને જ્ઞાનવાન બનાવે તેવો કોઈ પ્રયત્ન કરી. સિંહણનો એક પુત્ર પણ શ્રેષ્ઠ છે, અને ગર્દભીના સો પુત્ર પણ નિરર્થક છે. એક પુત્રથી સિંહણ નિરાંતે સૂર્ય છે, સો પુત્ર છતાં ગર્દભી બોજ વહે છે.” ‘મહારાજ, ચિંતા ન કરો. આપણા દરબારમાં પાંચસો પંડિતો છે, તેઓ આપના મનોરથો સિદ્ધ કરશે.' મંત્રીએ કહ્યું. રાજાએ કહ્યું, ‘તો તેમ કરો.’ મંત્રીએ પરિચારકોને દોડાવ્યા. થોડીવારમાં પાંચસો પંડિતો હાજર થયા અને શાસ્ત્ર અને વિદ્યાઓની કંઈ કંઈ અલકમલકની મોટી મોટી વાતો કરવા લાગ્યા - જાણે પોતાની પંડિતાઈનું પ્રદર્શન કરતા ન હોય ! પંડિતોને મોટી મોટી વાતો કરતા સાંભળી મંત્રીરાજ બોલ્યા, 'રે જ્ઞાનીજનો ! જીવન ટૂંકું છે અને શાસ્ત્રો ઘણાં છે. અત્યારે તો મુખ્ય વાત એટલી જ છે કે આ રાજકુમારો શાણા અને જ્ઞાની થાય એવું કંઈક કરવું જોઈએ.' પંચતંત્રનો પરિચય D 325
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy